સરદારનું ગીત - ૬
સરદારનું ગીત - ૬
વકીલાત (ઈ,સ, ૧૯૦૦ થી ૧૯૦ર)
થયા વલ્લભમાંથી એ, વલ્લભભૈ વકીલ રે;
પહોંચ્યા ગોધરા જલ્દી, જરા કરી ન ઢીલ રે,
મોટા વકીલ બોલાવે, તેઓને નડિયાદ રે;
ભાઈ વિઠ્ઠલ તેઓને, દે બોરસદ સાદ રે,
લાગવગ ન ઈચ્છે કે, ઈચ્છે ન ઓળખાણ રે;
દરિયો છે વકીલાતી, જાતે હાંકે વહાણ રે,
વાતને રાખવી માન્ય, જે કહે મનરામ રે;
તેથી તેણે કરી લીધો, ગોધરામાં મુકામ રે,
ખીલે નૈ પર છાંયામાં, શક્તિ પૂરબહાર રે;
જવું આગળ જાતે જ, એવો એનો વિચાર રે,
ગોધરામાં ગયા ત્યારે, પરિસ્થિતિ ગરીબ રે;
તોયે આગળ વધ્યા છે, સાથે હતું નસીબ રે,
વાસણ કાજ ફંફોસે, ગુજરી નડિયાદ રે;
સસ્તી વસ્તુ ખરીદે છે, કશી ન ફરિયાદ રે,
ધીમે ધીમે વસાવ્યાં છે, સુંદર ઘરબાર રે;
છે સુંદર ભલે સાદો, ઘરનો શણગાર રે,
વસાવી ઘર લેવાયું, કામમાં ધ્યાન ખૂબ રે;
ખંત રાખી કરે કામ, આવે કદી’ ન ઊબ રે,
ગોધરામાં રહેતા’તા, કિસ્સો એક બનેલ રે;
પ્લેગે મૂકી હતી માઝા, ગાંડોતૂર થયેલ રે,
પુત્ર નાજરનો જેને, પ્લેગે બાથ ભરેલ રે;
ત્યારે વલ્લભભાઈએ, ખૂબ સેવા કરેલ રે,
બચ્યો ન દીકરો તોયે, ન ફળી સારવાર રે;
તેને મસાણે પોં'ચાડયો, મૂંઝાયા પળવાર રે,
આવીને ઘેર જોયું તો, ગાંઠ છે નીકળેલ રે;
પ્લેગમાં પટકાયા છે, છતાંયે ન ડરેલ રે,
કરમસદ પત્ની ગ્યાં, પોતે ગ્યા નડિયાદ રે;
સાજા થયા રહીને ત્યાં, સૌએ દીધેલ દાદ રે,
**
બે વર્ષ ગોધરામાં રૈ, બોરસદ ગયા હવે;
બોરસદ જઈને તો, કુશળતા જ દાખવે.
(ક્રમશ:)