ગાંધી બાપુ રોયા હોત...
ગાંધી બાપુ રોયા હોત...


વર્ષો પછી જો જન્મ લઈને ભારત માને જોયા હોત,
સત્ય-અહિંસાના પથદર્શક ગાંધીબાપુ રોયા હોત,
સત્યના પડખે જે ચાલીને આઝાદીને દ્વાર ગયા,
જેના શબ્દો શાખ લઈને સાત સમંદર પાર ગયા,
એ જ સત્યના સાધકને દુનિયાએ વગોવ્યા હોત,
સત્ય-અહિંસાના પથદર્શક ગાંધીબાપુ રોયા હોત.
અહિંસાના પૂજારી થઈને પ્રેમ પરિમલ ફેલાવ્યો,
મૌન ધરીને આ જગતમાં સૂર સંવાદી રેલાવ્યો,
એના નામે દુનિયામાં બસ બીજ વેરના બોયા હોત,
સત્ય-અહિંસાના પથદર્શક ગાંધીબાપુ રોયા હોત.
પરિગ્રહનો ત્યાગ કર્યો ને બ્રહ્મચર્યનું પાલન,
જાતી ભેદને દૂર કરીને ઘર-ઘર કીધું પાવન,
એના માથે પણ આજે તો માછલાં કંઇક ધોયા હોત,
સત્ય-અહિંસાના પથદર્શક ગાંધીબાપુ રોયા હોત.
અભય બનીને આઝાદીના સંઘર્ષમાં નવ પ્રાણ પૂર્યો,
સ્વદેશીનો મંત્ર ભણાવી સ્વાર્થ ત્યાગનો ભાવ ભર્યો,
માનવતાના એક ધર્મમાં જનજનને પરોવ્યા હોત,
સત્ય-અહિંસાના પથદર્શક ગાંધીબાપુ રોયા હોત.