વસંતપંચમી ના વધામણા
વસંતપંચમી ના વધામણા
વસંત પંચમી... સરસ્વતીમાંની આરાધનાનો દિવસ..
|| નમસ્તે શારદે દેવી, સરસ્વતી મતિ પ્રદે|
વસત્વમ મમ જીહવાગ્રે, સર્વ વિદ્યા પ્રદા ભવ||
અને ભારતીયોનો પ્રેમનો દિવસ...
આજે રાધા અને કૃષ્ણ.. પ્રેમ જેનો પર્યાય છે...
એમના મધુર વદનથી નીકળતા મધુર શબ્દો કંઈક આવા હશે એવુ હું માની ને... એમનો કાવ્યાત્મક વાર્તાલાપનું વર્ણન કરવાની ચેષ્ટા કરું છું..
રાધા:
સમજે જો તું મને તો હું જ તારા શબ્દો છું..
પરોવી લે તું મને તારામાં તો હું જ તારું વાકય છું.
લય અને તાલની તો ખબર નથી..
પણ હું જ તારું ગીત છું.
ગણગણી લે તું મને તારા હદય ના ધબકારે ચાલતું સંગીત છું.
કૃષ્ણ:
તારી એ નમણી આંખોમાં મને મારુ હ્ર્દય દેખાય છે,
તારી અમી ભરી નજરોથી આ દિલમાં હૂંફ જણાય છે,
કરી સ્પર્શ તારા હાથનો જાણે દુનિયા જીતી એમ જણાય છે,
તારા ગાલના એ મખમલમાં અનંત નિંદ્રા પ્રાપ્ત થાય છે,
ને એ ખંજનમાં ડૂબકી મારી દિલ મારુ ભીંજાય છે,
હ્દય કેવું કે નિર્મળ તારું, નવજાત બાળક સમ નિર્દોષ જે,
બસ તું છે જે એ મારો જીવ અને દરેક શ્વાસમાં(તને જીવું છું)
મને મારું જીવન દેખાય છે.