ઉદાસીની તાજપોશી
ઉદાસીની તાજપોશી
આક્રમણ એકાંતનું બની નિશાચર,
ત્રાટકે રોજ રોજ બની બેચેન ઉદાસી,
ને એકલતાના મધદરિયે મારી નૌકાને,
મારું હલેસા હું જ બની ખલાસી.
ન કોઈ સહારો દેશી કે વિદેશી,
ના લહેરાય લહેરોસમ ખુશી કોઈ સ્વદેશી,
અનંત વિસ્તરતી રણવગડાથીયે,
વેરાન ખાલી ખાલી ને ખોટી ખામોશી.
અટ્ટહાસ્ય એકલતાનું આદમી કેરા અરણ્યે,
ભાસે ભારે ભયંકર ને રાક્ષસી,
કરું કોને દાદ ફરિયાદ યારની યાદની,
ન કોઈ પક્ષી કે ન કોઈ પ્રતિપક્ષી.
ઘોર અંધારામાં મુજ એકલવાયાની,
એકલતામાં આ તમરાં પૂરે ટાપસી,
દાદુર વગાડી ડાકલાં કરે મધરાતે,
દબદબાભેર મુજ ઉદાસીની તાજપોશી.
અચાનક ઉઘડી અંતર-આંખ એક'દિ ને,
નિહાળ્યો એક ધ્યાનસ્થ મનીષી,
ઉદાસીતો છે મનની મદહોશી,
બોલ્યો માંયલો રૂઆબથી રુદિયાનો ઋષિ.
વિસ્ફોટ જાગરણ નો નથી જીરવાતો,
ને જાય છે છલકી બની શબ્દ સર્વખુશી,
અનુગ્રહી અંતરથી થાવ ઓશોનો
પારદર્શી,
દુરંદેશી બની સંસારી સન્યાસી.
પરમાનન્દમાં "પરમ" સુખે રહી જાણો,
હર અદા છે જિંદગીની અહી પ્રેયસી,
શું એકલતા શું ઉદાસી? કરો ઘોષણા,
બની"પાગલ" થશે ઉદાસીની નામોશી