સરદારનું ગીત - ૩૭
સરદારનું ગીત - ૩૭
બારડોલી સત્યાગ્રહ-પ (ઈ,સ, ૧૯ર૮)
લોકોના મનમાં બેઠા, પોતાના સરદાર રે;
ને સરદાર લોકોના, થયા સલાહકાર રે,
આ સરદારની આજ્ઞા, શિર માથે રખાય રે;
વાણી નીકળતાં સાથે, એનો અમલ થાય રે,
કાઢેલ તરકીબોની, ખૂબ મોટી બખોલ રે;
કલેકટર આવે તો, વાગે ધડાંગ ઢોલ રે,
ધડાધડ ઘરનાંયે, બારણાં બંધ થાય રે;
બધે સાહેબને તેથી, સૂનકાર કળાય રે,
જપ્તીઓને કદી કોઈ, વાહનો ન અપાય રે;
જપ્તીના કામમાં કોઈ, મદદ ન કરાય રે,
સરદારે કરી વાત, જેમાં શીખ અપાય રે;
કે જપ્તી કરતા હોય, ત્યાં ટોળે ન વળાય રે,
જપ્તીઓ મૂકતા માઝા, પકડે ખૂબ ઢોર રે;
ઢોરોને રાખતા ગોંધી, આપતા ત્રાસ ઘોર રે,
આવો ત્રાસ ન જોવાતા, કર્યો એક ઉપાય રે;
ઢોરો ને માણસો સાથે, ઘરો બંધ રખાય રે,
આમ રાખેલ લોકોએ, આ કારાગૃહવાસ રે;
રાત-દી’ બારણાં બંધ, સા’બ થાય નિરાશ રે,
હરાજી માલની થાય, કોઈ લેવા ન જાય રે;
તાપમાં પણ સાહેબો, જપ્તી માટે બફાય રે,
ભેંસો પકડવા દોડે, એક અમલદાર રે;
તેને ’ભેંસડિયો વાઘ’, કહેતા સરદાર રે,
હાસ્ય-વિનોદથી તેઓ, ભૂલાવતા વિષાદ રે;
કષ્ટો વેઠેલ લોકોને, દેતા રહેલ દાદ રે,
ગમે તેવાં બહાનાંથી, ઘણાને જેલ થાય રે;
છતાં લોકો રહી શાંત, મનમાં ગમ ખાય રે,
કમિશનરનાં વેણ, ઉદ્ઘતાઈ ભરેલ રે;
ને ચળવળિયાઓમાં, સેવકોને ગણેલ રે,
**
પઠાણો આપતા ત્રાસ, બે-લગામ બની જઈ;
બીજી તરફ લોકોની, લાગણી ભડકો થઈ.
(ક્રમશ:)