પ્રેમ વિના ના સરે
પ્રેમ વિના ના સરે
પ્રેમ વિના ના સરે, કાર્ય તારું પ્રેમ વિના ના સરે.
કેમ કરી પ્રભુ મળે, કલેશ તારો કેમ કરીને ટળે... કાર્ય તારું
મંત્ર જપે ને અનુષ્ઠાનમાં લખલૂંટ ખર્ચ કરે,
ક્રિયાતણા આડંબર માડે, અહંકાર ના મરે... કાર્ય તારું
મમતાનાં મીઠાં જાળાં ના તારાં લેશ ખરે,
દર્દ સહીને પ્રભુને માટે કો’દી ના ટળવળે... કાર્ય તારું
તરસ તને ના તીખી લાગી, વ્યાકુલ થૈ ના ફરે,
વેશ, ગુરુ ને મંત્ર બદલ તો તેમાં તે શું વળે ?... કાર્ય તારું
ભાવ કરીને ભક્તિ કર તો પરમ પદારથ મળે
‘પાગલ’ જેમ જ પ્રેમ કરીને તું પણ કેમ ન તરે ?... કાર્ય તારું
- શ્રી યોગેશ્વરજી