ઘરના આંગણામાં એક બીજ ફૂટે
અઢળક કાળજી બાદ એની પર કુંપળ ઉગે
પછી એક યુવા છોડ, ને ત્યારબાદ એક પરિપક્વ વૃક્ષ
હવે વીસ વર્ષ જુના આ વૃક્ષને ઉખેડીને, બીજા આંગણામાં વાવીયે
તો..વૃક્ષ જીવંત રહે ખરું?...
કદાચ ના..
પણ આ વૃક્ષ વીસ વર્ષના કાળજી પૂર્વકના જતન બાદ,
ઉખેડીને બીજા ઘરનાં આંગણામાં રોપાય..
જડમુળથી સજ્જડબંબ એ બીજા આંગણા સાથે જોડાય..
તેના પર લીલીછમ કુંપળ પણ ફૂટે...
એ પરિપક્વ ઘટાદાર બનતું જાય, પહેલાથી પણ વધુ..
જે પોતાની છાયા નીચે આખા ઘર આંગણને આવરી લે..
ઘરમાંથે હંમેશા ખુશીયોનો છાંયડો પાથરતા રહેવાનો વણકહયો વાયદો
એને જુના ઘરના આંગણા સાથે કરેલો...
પોતાનાંથી જુદા પડેલા પોતાનાજ મૂળના અવશેષો એ વારંવાર
એ જુના આંગણામાં શોધ્યા કરે છે..
એ વિખુટા પડતી વેળાએ થયેલી પીડા અને એ અવશેષોને યાદ કરતાં જ
પરિપક્વ વૃક્ષ જાણે ફરીથી પાછું નાનો કુમળો છોડ બની જાય છે..
ને એની લીલી કુંપળમાંથી આંસુનો જન્મ થાય છે..
જે થડપરથી વહીને તેના તળિયા સુધી પહોંચે...
ને એની જ ભીનાશથી સ્વસ્થ થાય છે વૃક્ષને યાદ આવે છે એ વણકહેલ વાયદો..
ને ફરી તેની પર નવી કુંપળ જન્મ લે છે...સાવ લીલીછમ..
આ વૃક્ષ બીજું કોણ હોઈ શકે?...
એક “દીકરી” જ ને...