નવરાત્રી
નવરાત્રી
મોરનો લીલો રંગ ઈચ્છાઓ અને આશાઓને દર્શાવે છે જે પૂર્ણ થાય છે. દુર્ગાષ્ટમી, મહાગૌરી કે પછી આઠમું નોરતું ખૂબ જ મહત્વનું છે. માતાજીને નૈવેદ્ય, ગોરણી જમાડવી, ચંડીપાઠ, હવન બધું જ આ દિવસે ભક્તો પોતપોતાની માન્યતા અને રિવાજ પ્રમાણે કરતા હોય છે. લલિતાવહુ સૌથી મોટા વહુ હોવાથી બધી જ જવાબદારી તેના શિરે હતી. સવારથી સાંજ સુધી નૈવેદ્ય, ગોરણી જમાડવી, માતાજીને ચૂંદડી ચડાવવી, આરતી, સ્તુતિ ચાલુ જ રહ્યું, પણ તેના મોઢા પર થાક દેખાતો ન હતો. કુટુંબની દરેક ઈચ્છાઓ સપનાંઓ અને આશાઓને પૂરી કરવાની જવાબદારી તેમણે હસતે મોંએ સ્વીકારી હતી.
ઘરે આરતી, સ્તુતિ, ગરબા ગાઈને લલિતાવહુ મંદિરે જવા નીકળ્યા ત્યારે સાંજના પાંચ થઈ ચૂક્યા હતા. આ તેમનો નિત્ય નિયમ હતો, એમ નહીં કે માત્ર આઠમના દિવસે જ. ત્યાં મંદિરની બહાર બેઠેલા ભિક્ષુકોને પ્રેમથી જમાડતા. ત્યારપછી સંધ્યા આરતીના દર્શન કરીને જ ઘરે જતા અને રાત્રિની જમણની તૈયારીમાં મદદ કરવા મંડી પડતા.
આજે પણ સાડા સાતના ટકોરે ઘરે પહોંચ્યા મન ખૂબ આનંદિત થતું, પણ મનમાં છાને ખૂણે કંઈ ખટકતું હતું. તેમને બે દીકરીઓ હતી, પુત્ર ઝંખના થાય તે સ્વાભાવિક છે. પોતે તો મનને મનાવ્યું હતું. પણ કુલદીપક તો જોઈએ એવી મોટેરાઓની માન્યતાને કોણ પહોંચે !
"એ તો જે હોય તે !" મનમાં જ બબડતા રસોડામાં ચાલ્યાં ગયાં. આજે તો બધા થાકી ગયાં હતાં તેથી ઘરે બેસીને જ ગરબા ગાવા, એમ નક્કી કર્યું પણ પૂર્વીએ આરતીની હરીફાઈમાં ભાગ લીધો હોવાથી તે બહાર જવા માટે તૈયાર થઈ રહી હતી અને માનસીને તેની સાથે જવું પણ રસ્તામાં અને હોલમાં બંનેએ ધ્યાન રાખવું, એવી વડીલોની સૂચના મળ્યા પછી માનસીએ સ્કૂટી હંકારી મૂક્યું.
ત્યાં ગરબા - દાંડિયા વગેરે કર્યા બાદ આરતી શણગારવાની હરીફાઈનું પરિણામ બહાર પડ્યું અને તેમાં પૂર્વીને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું. ઘરે આવીને સારા સમાચાર આપ્યાં. ત્યારપછીની નવરાત્રીએ લલિતાવહુએ સુંદર પુત્રને જન્મ આપ્યો હોવાથી માતાજીની પૂજા થઈ શકે તેમ ન હતી, માતાજીએ બધાની આશા ને સપનાં પૂરા કર્યા. જેમ માતાજી લલિતા વહુને ફળ્યાં એમ બધાને ફળે એવી માતાને પ્રાર્થના.