નવરસ
નવરસ
એકવાર નવરસ વચ્ચે ચડસા ચડસી થઈ. હાસ્યરસ કહે, હું મહાન ! તો કરુણ રસ કહે, હું મહાન ! બિભત્સરસ તો બરાડા પાડતો આવ્યો અને કહે, "હા હા હા હા... હું જ સૌથી ચડિયાતો છું. વાચકો, દર્શકો, બધા જ મારાથી થર થર કાંપે.
આ સાંભળીને ભયાનકરસ હાકોટો મારીને મેદાનમાં આવ્યો. અને બાંયો ચડાવતા બોલ્યો, " અલ્યા તું શું સમજે છે તારા મનમાં !"
એનું સ્વરૂપ જોઈને બિભત્સરસ ડરવા લાગ્યો. આ જોઈને ભયાનક રસને વધારે ચાનક ચડી હજી તો કંઈ બોલવા જાય તે પહેલાં જ વીરરસે ભયાનક રસને નમ્રતાથી રોક્યો. અને કહ્યું કે, "જો તારી ભયાનકતાથી બધાં જ વાકેફ છે પરંતુ એનો મતલબ એ નથી તારે બિભત્સરસ સાથે જેમ તેમ વાત કરવી. માંડ માંડ તેને શાંત પાડ્યો. ત્યારે શાંતરસે કહ્યું, "જુઓ જીવનમાં પણ જેમ બધાં જ રસોનું મહત્વ છે તેમ સાહિત્યમાં પણ તેની જરૂરિયાત એટલી જ છે."
બધાં જ રસ શાંતિથી તેની વાત સાંભળતા હતાં. ત્યાં શૃંગારરસ મલપતો મલપતો આવ્યો અને કહેવા લાગ્યો, "જગતની સર્વ નારીઓને હું અત્યંત પ્રિય છું. જન્મથી માંડ
ીને મરણ સુધી તેને બસ શૃંગાર સિવાય કશું સૂઝતું જ નથી."
"બરાબર છે બરાબર છે. શૃંગારરસ તમારી વાત સાવ સાચી છે." આમ કહેતા કહેતા અદ્ભુતરસનું આગમન થયું, "ખરેખર શૃંગારરસ તમે સુંદર રીતે નારીઓના મનની વાત કરી."
આ સાંભળતા શૃંગારરસ શરમાઈ ગયો. તેની શરમ જોઈને અદ્ભુતરસને વધારે ચાનક ચડી અને બે મિનિટમાં તો એક કવિતા બોલી ગયો.
"અદ્ભુત તારી ચાલ નમણી નાર,
સદાયે રહેતો હું તારો ચાહક !"
બધાં ખૂબ જ ખુશ થતાં હતાં પણ રૌદ્રરસને શાંતિ મળતી ન હતી તેને એમ થતું હતું કે "મારું તો કોઈએ નામ જ ન લીધું." એટલે એ રિસાઈ ગયો. મોઢું ફુલાવીને એક બાજુ બેસી ગયો.
આ જોતાં જ શાંતરસે તેને વિનંતી કરી કે "હવે બધાં શાંતિથી વિચારો અને મને કહો કે કયા રસનું મહત્વ વધારે છે ?"
દસ મિનિટ થઈ પછી બધા રસો એક સાથે બોલી ઊઠયાં, "હાસ્ય રસ."
ખરેખર જીવનમાં કે સાહિત્યમાં સર્વ રસોનું ખૂબ જ મહત્વ છે. પણ જો એમાં હાસ્યનું પ્રભુત્વ ન હોય તો જીવન જીવવા જેવું નથી લાગતું.