નિવૃત્તિ
નિવૃત્તિ
રાધા આવતીકાલે નિવૃત્ત થવાની હતી, શાળામાં તેનો કાલે છેલ્લો દિવસ હતો. રાધાએ આજે એક મોટી પતરાની બેગ ખોલી અને તેમાં જોવા લાગી. પતરાની પેટીમાં ઘણી બધી વસ્તુઓ હતી, જાતજાતની ટ્રોફી, મેડલ, ભેટ સોગાત હતી, રાધા એ એક પછી એક બધી વસ્તુઓ બહાર કાઢી અને તેમાંથી લંચબોક્ષ તથા વોટરબેગ પહેલા હાથમાં લીધા. તેની આંખોની સામે તેની જિંદગીની પહેલી ભેટ નજર આવવા લાગી.
રાધાનો આજે શાળામાં પહેલો દિવસ હતો, શાળામાં જે નવા દાખલ થાય તેને શાળા તરફથી એક પાણીની બોટલ અને લંચ બોક્સ આપવામાં આવતું હતું. રાધા માટે તે ખૂબ જ કિંમતી ભેટ હતી. તેની મનપસંદ લાલ રંગની જ બન્ને વસ્તુ હતી. રાધા જેમ શાળામાં ભણતી ગઈ, તેમ દરેક ધોરણમાં તે પ્રથમ આવતી અને તેને ભેટો મળતી. રાધા શાળાની બાહ્ય પ્રવૃત્તિમાં પણ ખૂબ જ હોશિયાર હતી, આથી તેમાં પણ તેનો નંબર આવતો અને ઇનામો તથા ભેટ મળતી. રાધાને બધી જ ભેટ સાચવવાની ખૂબ જ ગમતી.
રાધાએ નાખી જિંદગીનું સરવૈયુ આજે યાદ કર્યું. એક એક પ્રસંગને તેણે ફરી ફરી યાદ કર્યા, રાધા જે શાળામાં ભણી તે જ શાળામાં નોકરી કરી અને આજે ત્યાંથી જ તે નિવૃત્ત થવાની હતી. રાધાએ આખી જિંદગી એક જ શાળામાં પસાર થઈ ગઈ. રાધા આ શાળામાં શિક્ષિકા તરીકે જોડાઈ અને પછી અહીં જ આચાર્ય બની બધાની સેવા કરી.
રાધા માટે પતરાની બેગની તમામ નાની મોટી વસ્તુ એક યાદગાર હતી. બધી વસ્તુઓ જોતાં જોતાં અચાનક તેની નજર એક રંગીન કાગળ પર પડી. કૂતુહલ પૂર્વક રાધાએ હાથમાં પત્ર લીધો અને તેને વાંચવા લાગી.
પ્રિય બેટા રાધા !
આખી જિંદગી તું અમારી સાથે અમારી દીકરી બનીને રહી, તારી માતાના મૃત્યુ બાદ પણ તે મને તને સાચવી અને આજે જિંદગીના અંત સમયે તને પત્ર લખી જણાવી રહ્યો છું, કે તું મારી દીકરી છો, હતી અને રહેશો. પણ સાચી હકીકત એ છે કે તું મારું લોહી નથી, હું અને તારી મમ્મી તને અનાથ આશ્રમમાંથી લાવ્યાં હતાં. અમને પણ તારા જન્મદાતા માતા પિતાની ખબર નથી, તું તરત જ જન્મેલી અને ત્યાં તને કોઈ તરછોડીને ગયું હતું. મારા અને તારી માતા માટે તો તું અમારા જેવા નિઃસંતાન દંપતીઓ માટે અમૂલ્ય ભેટ હતી. બેટા ! આખી જિંદગી તો તને કંઈ જણાવ્યું નહીં, પણ મૃત્યુ નજીક આવતા સત્યને પત્ર રૂપે લખી તારી ભેટની પેટીમાં મૂકી દીધો છે. ક્યારેક તારી આ પેટી જોશે તો સાથે સાથે અમારી આ અમૂલ્ય ભેટ જેવી તું છો તે પણ યાદ રાખજે. અમૂલ્ય ભેટ જેવી તને હંમેશા અમે સાચવતાં.
લિ. તારા પિતા.
રાધા પત્ર વાંચી ખુબ જ રડી, તેને જીવનનું આ સત્ય આજે જ ખબર પડી. ભેટ સાચવવાની તેની આ આવડત પ્રભુએ તેને જન્મજાત શીખવાડી હતી. તે આજે મનથી સાચે જ વિજેતા ગણવા લાગી. તેને પાલક માતા-પિતાને ક્યારેય નિરાશ નથી કર્યા, અને તેમના પ્રેમમાં ક્યારેય ઘટાડો નહોતો કર્યો. જેમ ભેટ કોઈ સારા કામ માટે મળે તેમ રાધાનું જીવન પણ તેના માતા-પિતાને ઉપયોગી બન્યું હતું.