જીવન મૃગતૃષ્ણાનો મહાસાગર
જીવન મૃગતૃષ્ણાનો મહાસાગર
માનવીનું જીવન એક મૃગતૃષ્ણાનાં મહાસાગર જેવું છે. જ્યાં માનવીનાં મનમાં અનેક હસી ખુશી, સુખ દુઃખનાં મોજાઓ તરંગો ઊઠતાં રહે છે. જીવનમાં પળે પળે માનવી કંઈક અવનવું ઈચ્છે છે, અનુભવે છે. રોજ ઊઠીને બેસતી જાગતી અને પાછી પડી જતી તેની ઈચ્છાઓ, ભાવનાઓ, મનસુબા તેની કસોટી લે છે. માનવી તેના મનોરથની પાંખમાં જોર ભરીને ઊડવા માંગે છે. કંઈક મેળવવા માંગે છે. સાગર કિનારે ઊંચી ઊંચી ઉડાન ભરી થોડી થોડી વારે નીચે આવીને પોતાના જીવન નિર્વાહ માટે પોતાનો ખોરાક શોધતાં પક્ષી, બગલા, બતક, હંસલા, યાયાવર, ફ્લેમિંગોની જેમ માનવી મૃગતૃષ્ણાનાં મહાસાગરમાંથી પોતાનું ધ્યેય, હેતુ શોધી કર્તવ્ય નિભાવે છે.
મૃગતૃષ્ણાનાં અફાટ સાગરમાં ઈચ્છાનું મોતી શોધે છે. જીવનમાં ઘણી ઊંચ નીચ આવે છે, ચડતી પડતી ભરતી ઓટની જેમ આવે છે, છતાં હિંમત હાર્યા વિના પોતાના લક્ષને પામવા પ્રયત્ન કરે છે. પોતાની પાંખ પર એટલે કે બાહુબળ અને નેક ઈરાદા પર તેને ભરોસો હોય છે. આથી મક્કમતાથી તે આગળ વધે છે. જીવન ભલે ઝંઝાવાતોથી ભરેલું હોય પણ તે દરેક મુસીબતોનો સામનો કરી પ્રેમથી જીવન વિતાવે છે.
ઘણીવાર માનવી પક્ષીઓની જેમ પોતાનાં રહેણાંક પર અનુકૂળતા ન રહે તો અન્ય જગ્યાએ થોડાં સમય સુધી હવાફેર કરવાં જાય છે. કુદરતનાં ખોળે રમનાર ને જીવનાર તમામ સજીવો પોતપોતાની પ્રકૃતિ અનુસાર સૃષ્ટિમાં મનગમતી જ્ગ્યાએ અનુકૂળતા સાધી લે છે. આમ દરેકનું જીવન મૃગતૃષણાનાં મહાસાગર જેવું જ બને છે. શોધે તેણે અનેક પ્રકારના મોતી પણ મળે છે. બાકી ખાલી ડૂબી મરનાર પણ હોય છે.