આકાશમાં વાદળોનું મહત્વ
આકાશમાં વાદળોનું મહત્વ
"મમ્મી ! મમ્મી ! કાલે મારી શાળામાં વકતૃત્વ સ્પર્ધા છે. મારે આકાશમાં વાદળોનું મહત્વ આ વિષય પર બોલવાનું છે. તું મને આના પર કઈ સમજાવને !" મનન એની મમ્મીને પોતાની શાળાની વાત કરે છે.
મીતાબેન: " મનન, ચાલ અહીં શાંતિથી બેસ, હું તને સમજાવું છું. તે શાંતિથી સાંભળ. પછી લખી પણ આપીશ. ખૂબ સરસ હાવ ભાવ સાથે બોલીશ તો બધાંને ગમશે."
મેહુલિયાની સવારી આવી રહી હતી એટલે કે વર્ષાઋતુ બેસી ગઈ હતી.
મીતાબેન મનનને બહાર અગાશીમાં લાવ્યાં અને ઉપર બતાવી સમજાવા લાગ્યાં.
આકાશ તરફ નજર કરી, રૂ નાં મોટા મોટા પોટલા જાણે અહીંથી ત્યાં દોડી રહ્યાં હતાં, એટલે કે વાદળો જોયાં જે આમતેમ જતાં હતાં. આથી વિચાર આવ્યો કે જો આકાશમાં વાદળ ના હોત તો ?
તમે જાણો છો ,હું જાણું છું , અરે ! આપણે બધા જ જાણીએ છીએ, કે આકાશમાંનાં વાદળોનો સંબંધ પાણી એટલે કે નદી, નાળા, તળાવ, સરોવર, કૂવા ,ઝરણાં, સમુદ્ર ,મહાસાગર, પ્રાણી જગત અને વનસ્પતિ જગત બધાથી છે. વાદળ વિના તો આ બધી વસ્તુઓનું કોઈ અસ્તિત્વ જ નથી. જરા વિચાર તો કરો ! જો આકાશમાં વાદળ ના હોત તો શું આપણે રેડિયો પર આકાશવાણી અને ટી.વી પરના કાર્યક્રમો અને ફોન પર કોલ કરી શક્યા હોત ? આવનારી મુસીબતો જેવી કે નદીમાં પૂર, વધુ વરસાદની આગાહી, હવામાન ખાતા તરફથી વાવાઝોડાની માહિતી, આપણે મેળવી શક્યા હોત? નદીના પાણીની સપાટીની જાણકારીથી આપણે નદી કિનારે વસતા લાખો લોકોનાં જીવ બચાવી શકીએ છીએ. હજારો મૂક પ્રાણીઓને જીવતા સમાધી લેતા બચાવી શકીએ છીએ.
મિત્રો ! જો આસમાનમાં વાદળ ના હોત તો આપણી છ ની જગ્યાએ પાંચ ઋતુ હોત ખરું ને ? કોઈ સાહિત્યકાર, કવિ, લેખકની કલમ કે ચિત્રકારની પીંછીથી ઝરણાંમાં વહેવું, નદીની ગતિ, કમળથી ભરેલું તળાવ, સરોવરની સુંદરતાનું વર્ણન, કરવા તૈયાર હોત ખરાં? એવા દ્રશ્ય ના હોત તો કોના પર લેખ, કવિતા લખાત? કુદરતી દ્રશ્યનાં ચિત્રો કોણ દોરી શકત?
મિત્રો ! આકાશમાં વાદળ છે તો, સંસ્કૃતના મહાકવિ કાલિદાસે મેઘદૂતની રચના કરી શક્યા, અને મોહમ્મદ જાયસીએ પણ પદ્માવતીના વીરહનું વર્ણન વાદળોનો સહારો લઈને જ કર્યું હતું , તો તુલસીદાસે પણ ઘણાં કાવ્યો વર્ષાનું વર્ણન આ વાદળોની મદદથી લઈને જ કર્યા હતાં.
મિત્રો ! તમે નથી માનતા કે નદી સમુદ્ર વગેરેનું અસ્તિત્વ જ ના હોત તો આપ રામાયણનાં મહાન દ્રશ્ય રામ કેવટનો સંવાદ, કેવી રીતે રજૂ થાત ? અને નલ નીલ સમુદ્ર બંધ કેવી રીતે બાંધતાં ? ભગવાન કૃષ્ણની રાધા યમુના કિનારે પાણી ભરવા ન જઈ શકે,ના મટકી ફૂટે, અને નદી કિનારાના કદમનાં વૃક્ષનું કોઈ મહત્ત્વ ના હોત. અરે ! આ ભૂગોળ કેવી રીતે કહેતા કે પૃથ્વીના એક ભાગ પર જમીન અને ત્રણ ભાગમાં પાણી છે ? અને આપણાં શબ્દકોશમાં વાદળ, પાણી, આકાશ, જળ, સમુદ્ર વગેરે શબ્દ પણ ન હોત. તો શું કોઈ કવિ કામિની કે દામિનીના વાળને કાળા વાદળ જેવાં વાળની ઉપમા આપી શક્યા હોત ?
મિત્રો ! આપણા મહાન વૈજ્ઞાનિક ફ્રેન્કલીન બેન્જામિનએ વાદળ સુધી પતંગ પહોંચાડીને વીજળીની શોધ કરવાનું સૌભાગ્ય પણ એટલે જ મળ્યું. ઇન્દ્રધનુષ કે મેઘધનુષના સાત રંગોથી બધાં જ પ્રભાવિત થાય તે પણ જોવા ન મળતું. આજે વાદળોને પ્રતાપે આપણે મેઘધનુષ જોઈ શકીએ છીએ, અને તે જોતાં જ ખુશ થઈ જઈએ છીએ .
મિત્રો ! જો વાદળ ના હો તો જમીન પર પાણીનું એક ટીપું પણ ના હોત, અને પરિણામે શું કોઈ સજીવ સૃષ્ટિ જીવતી હોત ખરી ? વનસ્પતિ આવી હરીભરી દેખાત ખરી ? પ્રાણી કે મનુષ્ય હોત ખરાં ? આમ ! આકાશમાં વાદળોનું અનેરું મહત્વ છે. આપણે તેના વિશે જેટલું વધારે વિચારીયે તેટલું તેનું મહત્વ આપણને વધું જણાય છે. સતત ચાલતું જળચક્ર વાદળને કારણે જ છે. પૃથ્વી પર સજીવ સૃષ્ટિ છે તો જ લીલા લહેર છે. જળ એ જ જીવન છે. વાદળોથી ઘેરાયેલું આકાશ અને તેમાંથી ટપકતો મેહુલો જોવાની મજા અને પલળવાની મજા પણ માણવા જેવી હોય છે. સજીવ સૃષ્ટિ માટે તો એ પ્રેમની ઋતુ પણ કહેવાય છે.
કોઈ પણ ઋતુ માટે માનવી તૈયારી નથી કરતો. પણ જ્યાં આકાશમાં વાદળોની દોડાદોડી ચાલુ થતી જુએ કે તરત જ પોતાનાં ઘર, ખેતર બધું તૈયાર કરવાં લાગી જાય છે. આમ મેહુલો વાદળની સવારી કરે આવે તે પહેલાં માનવો ધરતીને લીલી ચાદર ઓઢાડવા માટેની તૈયારીમાં લાગી જાય છે.
આમ, વર્ષાઋતુનું આગમન થતાં તેની સાથે જોડાયેલ તમામ વસ્તુઓ વાદળ, વર્ષા, નદી નાળાં, તળાવ, સરોવર દરિયો બધાનું મહત્ત્વ વધી જાય છે. આમ પાણી લઈને આવનાર વાદળોનું અનેરું મહત્વ છે.
મનન તો મમ્મી મીતાબેનને જોઈ જ રહ્યો. કેટલું સરસ મમ્મી બોલી. તેણે બધું નોટમાં લખી લીધું અને પછી શાળામાં જઈને ભાગ લઈ બોલ્યો.
સાંજે સુંદર ટ્રોફી ને પ્રથમ વિજેતાનું સર્ટિ લઈ ખુશ થતો ઘરે આવ્યો.