દીપાવલીમાં ફલદાયક..
દીપાવલીમાં ફલદાયક..
હિન્દુ ધર્મમાં બધાં જ દેવી દેવતાઓને જુદા જુદા માસના અધિપતિ બનાવવામાં આવ્યાં છે નવરાત્રીમાં શક્તિ પૂજન, શ્રાવણ માસમાં શિવજી અને કૃષ્ણનું પૂજન, ભાદરવા માસમાં ગણપતિનું પૂજન, કારતક માસમાં કાર્તિકેયજીનું પૂજન.. તેજ રીતે આસો માસ એ કુબેર અને મહાલક્ષ્મીજીને અર્પિત થયેલો છે. કુબેર એ દેવોનાં નિધિધ્યક્ષ છે, પરંતુ તેઓનું પૂજન એકલા નથી કરવામાં આવતું. શાસ્ત્રોમાં કુબેરનું પૂજન ભગવાન શિવ, મહાલક્ષ્મી અને ભગવાન ગણપતિ સાથે માન્ય ગણવામાં આવ્યું છે. દિપાવલીમાં પ્રત્યેક હિન્દુ શ્રી ગણેશ અને લક્ષ્મીજીની સ્થાપના એવં પૂજનના સર્વાધિક મંગલ મુહૂર્ત જાણવા માટે અત્યંત ઉત્સુક હોય છે. આ દિવસોમાં રિધ્ધિ, સિધ્ધી અને બુધ્ધિના પ્રદાતા ભગવાન શ્રી ગણપતિનું પૂજન અને સુખ, સમૃધ્ધિ અને ધનની દેવી શ્રી લક્ષ્મીજીની અનુકંપાથી સંસારનું સમગ્ર સુખ મળે છે. ઉપનિષદમાં કહ્યું છે કે ધર્મનું અનુષ્ઠાન કરવા માટે ગૃહસ્થાશ્રમીઓએ શુભ યોગમાં પૂજન કરવું જોઈએ. વેદોમાં પણ આ પ્રકારના યોગોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ગૃહસ્થજનો માટે ત્રણ પ્રકારના યોગો અતિ શુભ હોય છે.
લક્ષ્મીનું સ્થાન:-
ઉપનિષદમાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે સાગરકન્યામ લક્ષ્મીજી ચંચલ સ્વભાવનાં હોવાથી તેમને ચંચલાના નામથી ઓળખવામાં આવે છે. તેથી ભક્તજનોએ એવા મંગલ મુહૂર્તમાં પૂજા કરવાથી ચંચલ લક્ષ્મીજી સ્થિર થઈને બેસી જાય છે. ચંચલસ્વરૂપ શ્રી લક્ષ્મીજીની પ્રસન્નતા મેળવવા માટે ગૃહસ્થજનોએ આસો માસની અંતિમ અમાવસ્યાને દિવસે સૂર્યાસ્ત થયા બાદ જે લક્ષ્મી યોગ આવે છે તેમાં જો ગૃહસ્થો લક્ષ્મીજીનું અને કુબેરનું ભાવપૂર્વક પૂજન કરે તો તેમનાં સમસ્ત ધનને લગતા સંકટો દૂર થઈ જાય છે. શાસ્ત્રોએ કહ્યું છે કે દિપાવલીની રાત્રિના પ્રથમ પ્રહરમાં લક્ષ્મીપૂજન કરવાનું એ સમાજના દરેક વર્ગ માટે સરળ રહે છે તેનું કારણ એ છે કે દિપાવલી એ તહેવારનો સમય હોવાથી કુટુંબીજનો એકઠા થઈ આનંદમંગલ કરી રહ્યા હોય છે. વેદોમાં કહ્યું છે કે લક્ષ્મીજી એવા જ ગૃહમાં પધારે છે જે ગૃહમાં સ્વજનો આનંદપૂર્વક રહેતા હોય, ગૃહમાં કલહ કંકાશ ન હોય, જે ગૃહનું આંગણું દીપોથી પ્રજવલિત થઈ રહ્યું હોય, ગૃહનું આંગણું સ્વચ્છ હોય અને સુંદર રંગોળી દૈદીપ્યમાન હોય, ગૃહના દેવતાનું ભાવપૂર્વક પૂજન થઈ રહ્યું હોય, ઘર ફૂલોની સુગંધથી મહેંકી રહ્યું હોય તેવા ગૃહમાં માતા લક્ષ્મી પ્રસન્નતાપૂર્વક ભગવાન નારાયણ અને નિધિધ્યક્ષ કુબેર સાથે સ્થિર થઈ બિરાજી જાય છે.
ઇન્દ્રનું સ્થાન:-
ગૃહસ્થજનો માટે શુભ એવા ઇંદ્રયોગનું પણ ઉપનિષદમાં અને વેદોમાં વર્ણન જોવા મળે છે. વેદોમાં કહ્યું છે કે દીપાવલીના દિવસની રાત્રીનો બીજો પ્રહર તે ઇન્દ્રયોગ તરીકે ઓળખાય છે. આ યોગ દેવોના રાજા ઇન્દ્ર સાથે જોડાયેલો છે. જેમ ઇન્દ્ર એ દેવોમાં ઉચ્ચસ્થાન ધરાવતો દેવ છે તે જ રીતે આ યોગ પણ સમાજમાં ઉચ્ચસ્થાન ધરાવનાર લોકો માટે માનવામાં આવે છે. મોટા હોદ્દા પર બિરાજી રહેલા ઓફિસરો અને અધિકારીઓ માટે આ ઇન્દ્રયોગ વિશેષ અનુકૂળ છે તેમ શાસ્ત્રોનું કથન છે. અધિકારીઓ સિવાય પણ આ વિશેષ સ્થાન પર જવા ઇચ્છુક લોકો માટે પણ ઇન્દ્ર યોગ દરમ્યાન કરેલ પૂજન યોગ્ય માનવામાં આવ્યું છે.
કુબેરનું સ્થાન:-
દીપાવલીના દિવસની રાત્રીનો ત્રીજો પ્રહર તે કુબેરદેવને અર્પિત થયેલો છે. વ્યાપારીઓ દ્વારા આ યોગમાં કરેલ પૂજન તે વ્યાપારીઓની સર્વ ઈચ્છા પૂર્ણ કરે છે તેવું શાસ્ત્રોક્ત કથન છે. આ સમય દરમ્યાન વ્યાપારીઓનાં મુખ્ય બૈઠક પર કરાયેલું પૂજન અત્યંત ઇષ્ટ હોય છે તેમ કુબેરશાસ્ત્રમાં જણાવેલ છે. પરંતુ વ્યાપારીઓની મુખ્ય બૈઠક એટ્લે શું એ પ્રશ્ન સહજ રીતે થાય. કુબેર શાસ્ત્રમાં કહ્યું છે કે જે સ્થળ પર વ્યાપારી બેસીને પોતાનો વ્યાપાર ચલાવતો હોય તે જગ્યાને બૈઠક કહે છે દા.ત. કોઈ પોતાની દુકાનમાં ગાદી પર બેસે છે તો કોઈ ચેર પર બેસે છે, સમય અનુસાર બૈઠકમાં ભલે વિવિધતા આવી હોય પરંતુ આ બૈઠકની જગ્યા પર કરેલું દીપાવલી પૂજન લાભદાયક સિધ્ધ થાય છે. ઉપનિષદમાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે અશ્વિન માસમાં લક્ષ્મી યોગ, કુબેર યોગ અને ઇન્દ્ર યોગ પોત પોતાના નામ અનુસાર ભક્તોને ફલ પ્રદાન કરે છે.