દાન
દાન
દાન આપીને મનમાં અભિમાન ન લાવે એવા વિરલા બહુ જૂજ હોય છે, બાકી તો થોડું આપીને વધારે દેખાડવા હોડ ચાલતી હોય છે.
એક એવા જ મહાન રાજાની આ એક વાત છે. તેમની સત્યવાદી તરીકે ખુબજ નામના મેળવી હતી સાથે તેઓ એક મહાન દાનવીર પણ હતાં.
તેમની દાન દેવાની રીત પણ બહુ આગવી હતી. જેની અંદર ખરેખર સમજવા જેવું તત્વજ્ઞાન છુપાયું છે જેનાથી જગતના લોકો ખુબ અજાણ રહે છે અને સમજવા પ્રયત્ન પણ કરવાનું ટાળે છે.
રાજા જયારે દાન દેવા પોતાનો હાથ ઊંચો કરતાં ત્યારે તેમની નજર સદાય નીચી રાખતા હતાં. દાન લેનાર સામે જોતા નહીં.
તેમની આ રીતથી બધાને નવાઈ લાગતી હતી કે રાજા આવું શું કામ કરે છે. દાન આપીને પણ રાજા જાણે શરમ અનુભવતા હોય એવું જણાતું હતું પણ કોઈની તેમને આ બાબત પૂછવાની હિંમત થતી નહીં.
આ વાત રાજ્યમાં સર્વત્ર ફેલાઈ ગઈ હતી.
તેમના રાજ્યમાં એક મહાન કવિ રહેતા હતાં તેમનાથી રહેવાયું નહીં તેમણે આવી રાજાને પૂછ્યું "રાજન એક વાત જાણવાની મારી અદમ્ય ઈચ્છા થાય છે તો કૃપા કરી એનું સમાધાન કરશો."
રાજા એ સહમતી આપી એટલે કવિએ કહ્યું "આપ એક મહાન દાનવીર તરીકે ખ્યાતિ પામ્યા છો પણ તમે દાન આપતી વખતે તમારી નજર ઝૂકેલી રહે છે, તમે ઉપકારનું કામ કરો છો છતાં જાણે ક્ષોભ અનુભવો છો એવું લાગે છે. તેનું સમાધાન કરવા વિનંતી કરું છું."
વાત સાંભળી રાજા ઊંડા વિચારમાં પડી ગયા અને પછી કહ્યું, "સાંભળો કવિરાજ, આ જે પણ કાંઈ હું આપું છું તેનો દેનાર તો બીજો જ કોઈ છે, જે સદાય આપતો રહે છે તે વાત હું સારી રીતે જાણું છું પણ લોકો એમ સમજે છે કે રાજા દાન આપી રહ્યો છે. લોકોની આ ખોટી સમજ માટે હું શરમ અનુભવું છું. બધા લોકો આ મર્મ સમજી શકતા નથી અને મને દાતા સમજી લેવાની ભૂલ કરે છે. અસલમાં દાતા તો બીજો કોઈ છે જે બધાને આપતો રહે છે. "
કવિરાજ રાજાની વાત સાંભળી શંકાનું સમાધાન થયું, સાચી સમજણ સામે આવી કે પહેલા દેનારો આપણને આપે છે ત્યારે આપણે આપણે બીજાને આપીએ છીએ. આપણે તો માધ્યમ માત્ર છીએ બાકી અસલ દાતા કોઈ બીજો જ છે.