સાથ
સાથ
પિતાજીની આજ્ઞાનું પાલન કરવા રામચંદ્રજી વનમાં જવા તૈયાર થયા તો તેમનો સાથ અને ધર્મ નિભાવવા સીતાજી પણ વનમાં જવાનું સ્વીકારી લીધું.
લક્ષ્મણજી જે સદા રામજીની સેવામાં તત્પર રહેતા હતાં તે કેવી રીતે પાછળ રહી શકે ! તેમણે સુમિત્રાજી પાસેથી રજા મેળવી લીધી હતી. હવે માત્ર ઉર્મિલાજીની રજા લેવાની બાકી હતી. તેમના મનમાં મૂંઝવણ હતી કે કેવી રીતે ઉર્મિલાને સમજાવી શકીશ, તેને આઘાત લાગશે કે સાથે ચાલવાની વાત કરશે.
આવું વિચારતા તે ઉર્મિલાજીના કક્ષમાં ગયા. જોયું કે ઉર્મિલાજી આરતીની થાળી લઈને ઉભેલા હતાં. લક્ષ્મણજીની આરતી ઉતારીને કહ્યું,"તમે નિશ્ચિત થઈને વનમાં જાઓ, શ્રીરામ અને સીતામાતાની સેવા કરો, મારી ચિંતા કરશો નહીં, હું તમારા આવવાની રાહ જોતી રહીશ."
લક્ષ્મણજી નિશ્ચિત થઈને વનમાં ગયા.
ઉર્મિલાજી એ એક તપસ્વીનીની જેમ
કઠોર તપ કર્યું.
લક્ષ્મણજી સદા રામજી અને સીતાજીની સેવામાં તત્પર રહેતા, રાતના પણ સતત જાગતા રહેતા.
મેઘનાદ સાથે થયેલા યુદ્ધમાં મેઘાવી શસ્ત્રથી લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા હતાં. રામચંદ્રજી એ લક્ષ્મણને પોતાના ખોળામાં સુવાડી રાખ્યા અને હનુમાનજીને સંજીવની બુટ્ટી લાવવા માટે મોકલ્યા.
હનુમાનજી આખો પહાડ લઈને પાછા આવતા હતાં ત્યારે અયોધ્યા ઉપરથી પસાર થયા. ભરતજીને લાગ્યું કોઈ રાક્ષસ હશે એમ સમજી તીર છોડ્યું.
હનુમાનજી નીચે આવીને ભરતજીને બધી વાત કહી.
હનુમાનજીએ કહ્યું કે, "સીતામાતાને રાવણ હરણ કરી ગયો છે અને લક્ષ્મણજી યુદ્ધમાં ઘવાયા છે, રામજી તેમને ખોળામાં સુવાડી રાખ્યા છે, તેમના માટે જડીબુટ્ટી લઈને હું જઈ રહ્યો છું."
કૌશલ્યા માતા આ સાંભળીને કહ્યું, "રામને કહી દેજો લક્ષ્મણ વિના તે અયોધ્યા પાછો ન આવે, વનમાં જ રહે."
સુમિત્રાજી તરત બોલ્યા ઊઠ્યા,"કાંઈ વાંધો નહીં, શત્રુઘ્ન હજુ તેમની સેવામાં હાજર જ છે, એને મોકલી દઈશ રામની સેવા માટે, બંને ભાઈ સેવા કરશે."
માતાઓનો આટલો પ્રેમ જોઈ હનુમાનજી ભાવવિહોર થઈ ગયા તેમની આંખો ભીની થઈ ગઈ.
હનુમાનજીએ જોયું ઉર્મિલા એકદમ શાંત અને પ્રસન્ન દેખાતા હતાં. તેમને થયું પતિની કાંઈ પરવા નહીં હોય કે ? માટે એમણે ઉર્મિલાજીને કહ્યું,"દેવી, તમે આટલા શાંત અને પ્રસન્ન છો, તમારા પતિના પ્રાણ સંકટમાં છે."
"જેમની સાથે શ્રીરામ છે તેને કોઈ સંકટ હોઈ શકે નહીં. તે રામચંદ્રજીના ખોળામાં સૂતા છે, તેમને થોડો વિશ્રામ થઈ જશે, તેમણે પ્રણ લીઘું છે વનવાસ દરમ્યાન ક્યારે સુતા એ નથી. એમને પ્રભુના ખોળામાં વિશ્રામનો લાભ મળી રહ્યો છે, થોડો વિશ્રામ પૂરો થતાં તે બેઠા થઈ જશે. એનો મને પૂર્ણ વિશ્વાસ છે, રામજી છે ત્યાં કાળ આવી શકે નહીં."