ભય બિનુ હોઈ ન પ્રીતિ
ભય બિનુ હોઈ ન પ્રીતિ
"વિનય ન માનત જલધિ જડ,
ગયે તીની દિન બીતી,
બોલે રામ સકોપ તબ,
ભય બિનુ હોઈ ન પ્રીતિ."
શ્રી રામચંદ્રજી સીતામાતાની શોધમાં લંકા જવાનાં હતાં. રસ્તામાં વચ્ચે ઘુઘવાટો દરિયો જાણે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યો હોય તેમ ઉછાળા મારી રહ્યો હતો. રામચંદ્રજીએ બે હાથ જોડી વિનમ્ર ભાવે તેમનાં લશ્કર માટે રસ્તો દેવાની વિનંતી કરી. સમુદ્ર પર આ વિનંતીની કોઈ અસર થઇ નહીં તે તો પહેલા કરતા પણ વધારે જોશથી ઘૂઘવતો રહ્યો.
આમ કરતા ત્રણ દિવસ વીતી ગયા. રામચંદ્રજીને જેમ બને તેમ જલ્દી લંકા પહોંચવું હતું. સમુદ્ર પર તેમની વિનંતીની કોઈ અસર ન થતાં તે કોપાયમાન થયાં અને પોતાનું શક્તિશાળી બાણ સાંધી ધનુષ પર પણછ ચડાવી અને તેની દિશા દરિયા તરફ કરી.
સમુદ્રના પેટાળમાં જાણે આગ લાગી હોય તેવી હલચલ શરૂ થઇ ગઈ. સમુદ્ર હાંફળો ફાંફળો થતો ગયો અને શ્રીરામના શરણમાં આવી હાથ જોડી કરગરવા લાગ્યો. પ્રભુ પાસે પોતાની ભુલની ક્ષમા માંગી. સમુદ્રના હજારો જીવજંતુનો વિનાશ થાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ હતી.
શ્રીરામ દયાના સાગર છે તેમણે કરુણા વરસાવી અને પોતાનું બાણ યથાયોગ્ય રીતે પાછું મુકી દીધું. સમુદ્ર ખુબ કરતાર્થ થઇ તેમનાં ચરણોમાં પડી નમન કર્યા અને રામચંદ્રજીની સેના માટે માર્ગ બનાવી દીધો.