આવરણનું અનાવર
આવરણનું અનાવર
.અજમગઢના કિલ્લામાંથી ફરીને આવ્યાં પછી શશીકાંત એકદમ સુનમુન થઈ ગયેલો હતો. પોતાને ખબર નહોતી પડતી કે પોતાને શું થાય છે ? અને શા માટે થાય છે ? પોતે પોતાને જ સાવ અપરિચિત લાગતો હોય તેવું તે અનુભવી રહ્યો હતો. હંમેશાથી પડછાયા જેવાં તેનાં મિત્ર સૂર્યકાંત પાસે તે પહોંચી ગયો. સૂર્યકાંતે કહ્યું; "ચિંતા ન કર દોસ્ત! હું એક એવી વ્યક્તિને ઓળખું છું, જે તને તારાં દરેક સવાલના જવાબ આપી શકશે બંને પહોંચ્યા ગુરુ આદિત્યનાથની ગુફામાં.
બંને મિત્રોએ ત્યાં જઈને ગુરુજી ને પ્રણામ કર્યા.ગુરુજીએ આંખો ખોલી."શશી ,સૂર્ય બંને આવો."
સૂર્યકાંતે પૂછ્યું "ગુરુજી! તમો અમારાં નામ જાણો છો ?"
"નામ પણ ખબર છે અને અહીં તમે શા માટે આવ્યા છો તે પણ ખબર છે." સાંભળતા શશીકાંતે ગુરુના ચરણે મસ્તક મૂકી દીધું.
"વત્સ ઉતિષ્ઠ !" ગુરુજી બોલ્યાં. "હું તને કંઈ કહું તેનાં કરતાં તને કંઈક બતાવું. ગુરુએ તેનાં આજ્ઞાચક્ર ઉપર પોતાનો અંગૂઠો રાખ્યો. શશીની સામે ઘણાં બધાં દ્રશ્યો ચિત્રપટની જેમ ફરવા લાગ્યાં. જેમાં અજમગઢનો રાજમહેલ, રાજસભા,ત્યાંના રાજા - રાણી,પ્રશ્ર્નો,ઉકેલ વગેરે વગેરે. આધ્યાત્મિકતામાં આગળ વધેલા વિદ્વાન, નીતિ નીપુણ, રાજાનાં સલાહકાર અને રાજપુરોહિત એવાં ચંદ્રકાંતને પણ જોયો.
રાજપુરોહિત ચંદ્રકાન્ત પોતાનાં રાજા અને રાજ્યને સુરક્ષિત કરવામાં એવો તો ખોવાઈ ગયો કે તેનાં પોતાનાં પાવન અને ઉજ્જવળ આત્મા ઉપર પણ રાજકારણનો રંગ લાગ્યો. ચંદ્રકાન્તનું મન મોહ, મદ અને અહંકારથી ગ્રસ્ત થતું ગયું. આ બધાં આવરણોને લીધે તેની દિનચર્યામાંથી ધ્યાન,યોગ, સ્વ.સાથેનો સંવાદ બધું છૂટતું ગયું. પુજા અર્ચના પણ તે ઉતાવળે અને યંત્રવત્ કરી રાજા પાસે પહોંચી જતો. સમયની સાથે તેણે પરલોક પ્રયાણ કર્યું."
એકદમ શશીકાંતે આંખો ખોલી નાખી. ગુરુજી!આ બધું શું છે ?રાજપુરોહિત ચંદ્રકાંત તો બિલકુલ મારાં જેવો લાગતો હતો. "હા, બેટા! તે તું જ હતો. તું આધ્યાત્મિકતાની ટોચે પહોંચી ગયો હતો. પણ પછી તારાં મન ઉપર મોહ, મદ,મત્સર અને ખાસ કરીને અહંકારના આવરણ એટલાં બધાં ચડવા માંડ્યા કે તારો મોક્ષ થતાં અટકી ગયો. તારું આ ભવોભવ ભટકવું ચાલું થયું."
"ગુરુજી! હવે હું શું કરું ? વત્સ! ધ્યાન, યોગ, પ્રાણાયામ,નિદિદ્યાસન વગેરે દ્વારા તું કરુણા, પ્રેમ અને સકારાત્મકતા પ્રાપ્ત કરી શકીશ. તેનાથી તારાં મન ઉપરથી આ બધાં આવરણો દૂર થશે. તારાં આગલાં જન્મનું જ્ઞાન તને મદદ કરશે. છતાં કંઈપ્રશ્ન થાય તો અહીં આવી શકે છે. આ બધાથી તું તારાં પાવક આત્માનો અનુભવ કરી શકીશ. શશીકાંતે પરમ શાંતિ અનુભવી. બંને મિત્રો ગુરુજીને પ્રણામ કરી પરત આવ્યાં. ગત જન્મની ભૂલ સુધારવા સંકલ્પ કર્યો.