સરદારનું ગીત-૮૦.
સરદારનું ગીત-૮૦.
જૂનાગઢ (ઈ.સ. ૧૯૪૭)
જૂનાગઢ નવાબે તો, ઉતાવળ કરેલ રે;
ને પાકિસ્તાનની સાથે, જોડાણ નોતરેલ રે.
જાણી આ વાત લોકોમાં, ખળભળાટ થાય રે;
તેનાથી અખબારોમાં, ઊહાપોહ કરાય રે.
બની વંટોળ ફેલાયો, અહીં પ્રજાવિરોધ રે;
તોયે નવાબને નો’તો, મળી શકેલ બોધ રે.
સરદારે સમાચાર, શાંતિથી સાંભળેલ રે;
જૂનાગઢ જવા માટે, મેનનને કહેલ રે.
મેનન સાંભળી વાત, જૂનાગઢ ગયેલ રે;
ને નવાબ હતો માંદો, ત્યાં મળી ન શકેલ રે.
માણાવદર પોં’ચીને, ખાન પાસે ગયેલ રે;
ભારતસંઘની સાથે, જોડાવાનું કહેલ રે.
ખાન ન માનતા તેઓ, માંગરોળ ગયેલ રે;
ને માંગરોળ જોડાવા, તૈયારીમાં રહેલ રે.
જૂનાગઢે હવા ખૂબ, ઉગ્ર બની જણાય રે;
યુદ્ઘનો ભય લોકોમાં, જલ્દી ફેલાય જાય રે.
શરૂ સામાન્ય લોકોએ, હિજરત કરેલ રે;
ભયમાં અખબારોએ, વધારો આદરેલ રે.
એમાં બાબરિયાવાડે, જોડાણખત થાય રે;
નવાબને થયો ગુસ્સો, સૈન્ય ત્યાં મોકલાય રે.
રક્ષાણ કરવા તેનું, તૈયાર સરદાર રે;
સૈન્ય મોકલવા માટે, કરી લીધો વિચાર રે.
જોડાવા લોકસેનામાં, દોડી યુવાન જાય રે;
ને સરદારના વ્યૂહો, અહિંયા ગોઠવાય રે.
દ્વિપાંખિયો થયો હલ્લો, ને નવાબ ફસાય રે;
ભાગ્યો જીવ બચાવીને, કરાંચી બાજુ જાય રે.
લોકસેના ગઈ જીતી, હર્ષગીત ગવાય રે;
ભારતસંઘની સાથે, તેનું જોડાણ થાય રે.
**
તેર નવેમ્બરે લોકો, મુક્તિ દિન મનાવતા;
સરદારે લઈ આપી, જનતાની મહાનતા.
(ક્રમશ)