ગોકુળમાં અવળા વાયરા વાયા
ગોકુળમાં અવળા વાયરા વાયા
આ વિરહની વેદનાના શૂળ
કેમ કરી સહેશે ગોકુળ
રોતી દુઃખતી આંખલડીયે દેખાય મને ઝાંખું
શું સાચે જ શ્યામ, જાય છોડી ગોકુળ આખું ?
કહી માખણચોર કીધી રે ભૂલ નહીં માંગીએ હવે મટકીનાં મૂલ
દ્રવે અંતરને રૂંધાયા કંઠ
ના ત્યાગો, મારા માધવ વૃન્દાવન,
ના સંભળાયે વ્હાલા મોરલાના બોલ
ભાંભરવાનું ભૂલી આ ગાયોની ઝોક
યમુનાએ ઘોળી પીધો છે રંગ શામળો
કેમ કરી માનું ? છોડે જશોદાનો લાડલો,
શીદને કીધી વાતો સૌ ઠાલી
કે રાધાનો હું ને રાધા છે મારી
નાથ ચરણોને આધાર આપી હરખતું
જોને કેવું રડે છે કદમ આ હીબકતું,
ઠાલો કહેતો ફરતો કે હું વૈકુંઠ ને વ્રજનો
આજ દીઠો લાલ તને જતો થઈ મતલબનો
કેમ કરી ભૂલશું કાન તારી બંસરીની માયા
હાય ! આજ ગોકુળમાં અવળા વાયરા વાયા.