" દેવપ્રિયા" (ભાગ-૭)
" દેવપ્રિયા" (ભાગ-૭)
" દેવપ્રિયા "( ભાગ-૭)
દેવપ્રિયા ભાગ -૬માં જોયું કે ભાર્ગવ શ્યામાને એની ઝુંપડીમાં લાવે છે.. રાત્રે ભાર્ગવ પોતાને એક મહેલમાં જુએ છે.એક રૂપસુંદરીને જુએ છે.એ પોતાની ઓળખ દેવકન્યા દેવપ્રિયા તરીકે આપે છે.
હવે આગળ....
દેવપ્રિયા એ સુંદર સ્મિત કર્યું ને બોલી:-" શાંત થાવ... હું કહું છું...આટલી ઉતાવળ સારી નહીં. આમ તો બહુ ધીરજ રાખીને શ્યામાને મદદ કરી હતી. હે સોહામણા યુવાન તેં મારૂં મન મોહી લીધું છે. હવે તમારે આ મહેલમાં જ રહેવાનું છે."
"પણ હે રૂપસુંદરી મને શ્યામાની ઝુંપડીમાં પાછો લઇ જા. મહાકાળી માતાજીની કૃપાથી અમારા વિવાહ થયા છે. શ્યામા શ્યામ છે. કદરૂપી છે. પણ મનની શુધ્ધ છે. એનું દિલ ઉમદા છે. ધર્મ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે 'રૂપની સુંદરતા નહીં પણ મનની સુંદરતા જુઓ.' હે મનમોહીની, તું રૂપસુંદરી છે આકર્ષક છે.. પણ મારે એ અપંગ અનાથ ને સહાયતા કરીને મારા ઘરે જવાનું છે. મારી મા પણ મારી રાહ જોતી હશે."
આ સાંભળીને દેવપ્રિયા હસીને બોલી:-"હે નાથ, હું જ તમારી શ્યામા છું. આપની સહાયતા અને મહાકાળી માતાજીની કૃપાથી મને લાગેલો શ્રાપની માત્રા ઓછી થતી જાય છે. મને થોડા સમય માટે દેવ કન્યાની શક્તિઓ મળી છે. એટલે હે યુવાન તું મારો પતિ છે. તું તારો પતિ ધર્મ નિભાવ."
ભાર્ગવ:-"ના, હું કેવીરીતે માનું કે તુંજ શ્યામા છે. કદાચ તું કોઈ જાદુ કરીને મને ઉપાડી લાવી હોય. મારી શ્યામા જાગશે તો આકુળવ્યાકુળ થશે. તારી શ્યામા તરીકેની સાબિતી આપ."
દેવ પ્રિયા:-"હે સ્વામી, તમને મારા પર ભરોસો નથી ? હું થોડીવાર માટે શ્યામાના રૂપમાં આવીશ.પણ પછી સવાર સુધી દેવપ્રિયા બનીશ."
આમ બોલીને દેવપ્રિયા શ્યામા બની.
શ્યામા:-"હું જ શ્યામા પણ છું અને હું જ દેવપ્રિયા છું. માટે હે નાથ, આપણે પરમશક્તિ મહાકાળીના સમક્ષ એક બીજાને હારતોરા કરીને પતિ પત્ની તરીકે બની ગયા હતા. માટે આપના પતિ ધર્મનું પાલન કરીને દાંપત્ય સુખ જીવન આપો. હવે હું દેવપ્રિયા બનીશ. ને તમને સુખી જીવન આપીશ. હે નાથ આ અનાથ નો સ્વિકાર કરો."
"પણ.. મારી પણ એક શરત છે. આ વાત તારે બીજા પાસે પ્રગટ કરવાની નહીં. અને જાહેર જીવનમાં કોઈ દૈવીશક્તિનો ઉપયોગ કરવાનો નહીં"
હા, મને કબુલ છે.. સ્વામી, હવે વાર કરો નહીં.. આપની ચેષ્ટા ની રાહ જોઉં છું."
પણ મને એ જાણવાનો અધિકાર પણ છે કે તું દેવપ્રિયામાંથી શ્યામા કેમ બની ? કોણે તને કેવા પ્રકારનો શ્રાપ આપ્યો હતો."
"હા, સ્વામી,આપ મારા સ્વામી છો.આપનો હક્ક છે કે મારા શ્રાપ વિશે જાણવાનો. તો હું આપને એ શ્રાપ કોણે મને ક્યાં આપ્યો હતો. એ બતાવું છું. બહુ વર્ષો પહેલાંની વાત છે. હું સ્વર્ગના દેવતાની પુત્રી છું. એ વખતે મને મારા રૂપનું અને નૃત્ય કરવાની કળાનું અભિમાન હતું. એક વખતની વાત છે. સ્વર્ગમાંથી હું મારી ચાર સહેલીઓ સાથે પૃથ્વી પર સહેલગાહ કરવા નીકળી. મારી સહેલીઓ મારા સુંદરતાની વારંવાર પ્રશંસા કરતા હતા. એ કારણે મારામાં અભિમાન આવી ગયું હતું. રાત્રિના સમયે અમે પૃથ્વી પર સહેલગાહ કરતા હતા .એ વખતે ભારતમાં વસંત ઋતુનું આગમન થયું હતું. એ અડધી રાત પસાર થઇ ગઈ હતી. અમે અમરકંટકની સુંદરતા નિહાળવા પૃથ્વી પર આવેલા હતા. નર્મદા નદી..અને અમરકંટકના સુંદર વાતાવરણમાં આનંદ માણતા હતા. અમે હસી મજાક કરતા નર્મદા મૈયાના પાવન જલ માં સ્નાન કરીને કિનારે રમત રમતા હતા.
બ્રાહ્મ મુર્હૂત શરૂ થઈ ગયું હતું. મારી સહેલીઓ પાછા સ્વર્ગ જવા માટે મને વારંવાર કહેતી હતી. પણ રૂપનું અભિમાન. મને પૃથ્વી પર વધુ રોકાવાનું મન થયું. એ વખતે નર્મદા નદીના કિનારેથી મધુર ઓમકાર ધ્વનિ સંભળાયો. મારી સહેલીઓ એ કહ્યું કે હવે અહીં માનવો સ્નાન કરવા આવતા લાગે છે. આપણે હવે સ્વર્ગ તરફ પ્રયાણ કરીએ. પણ મને એ મધુર ધ્વનિ પસંદ આવવા માંડ્યા. થોડીવાર રોકાઈ ને એ મનુષ્ય કોણ છે એ જોવું છે એમ કહ્યું. એટલે મારી સહેલીઓ માની ગઈ.
અમે એ ધ્વનિ ક્યાંથી આવે છે એ શોધવા માંડ્યા. એટલામાં એક દિવ્ય પ્રકાશ મારી આંખો પર પડ્યો.
જોયું તો થોડે દૂર એક સુંદર યુવાન તપસ્વી આંખો બંધ કરીને શંકર ભગવાનનું ધ્યાન કરતો હતો. એને જોઈને હું આકર્ષાઈ. જો સ્વર્ગમાં મારા રૂપનું કામણ કરી શકતી હોઈ તો આ તો પૃથ્વી પરનો માનવ છે. એને મારા રૂપમાં આકર્ષિત કરી શકીશ. એટલે મેં મારી સહેલીઓને કહ્યું, પણ મારી સહેલીઓ એ મને એમ કરવા ના પાડી. હું અભિમાનથી ભરેલી ભાન ભુલી ગઈ હતી. મારી સહેલીઓ એ આ જોયું.આતો કોઈ તપસ્વી છે. જો ગુસ્સો કરીને કોઈ શ્રાપ આપશે તો....તો.. આમ વિચારીને મારી સહેલીઓ એ મારો સાથ છોડી દીધો.મારી સહેલીઓ એ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. પણ..પણ.. અભિમાન બહુ ખરાબ ગણાય છે. આ અભિમાન જ મને નડ્યુ.
એ તેજસ્વી યુવાન તપસ્વીથી આકર્ષાઈ ને હું એની પાસે ગઈ. પણ એણે મારા તરફ નજર પણ ના નાંખી. મેં મારી નૃત્યકળા અજમાવીને એ તપસ્વીને ખુશ કરવા પ્રયત્ન કરવા માંડી.
જાગો રે ... જોગી તુમ જાગો.. રે..
યહ હૈ પ્રેમીઓકી નગરી,
યહાં પ્રેમ હી હૈ પુજા..
પણ કોઈ અસર જણાઈ નહીં. મેં મારી શક્તિઓ થી વાતાવરણ ને સુગંધિત બનાવ્યું. પણ તપસ્વી એવા તપમાં લીન થયેલો હતો. સુરજનું અજવાળું થવાની તૈયારી હતી. હું પણ એ તપસ્વીને ખુશ કરવા ઉત્સુક હતી. મેં મારા હાથનો સ્પર્શ કરીને એના મુખકમળ પર મારી આંગળીઓનો જાદુ કરવાનો પ્રયત્ન કર્યો. પણ.. નિષ્ફળ...
આખરે..એને આલિંગન આપવાનો પ્રયત્ન જ કરવા જતી હતીને એનું ધ્યાન તૂટી ગયું. મને જોતા જ આને મારી હરકતની ખબર પડતાં એ તપસ્વી ગુસ્સે થયો. હું અભિમાનથી બોલી:-"હે તપસ્વી,મારા પ્રેમનો સ્વીકાર કર. મારા રૂપનો અનાદર ના કર હું સ્વર્ગની દેવકન્યા દેવપ્રિયા છું. મારા રૂપ અને નૃત્ય ના દેવતાઓ આશિક છે.
તપસ્વી ક્રોધિત થયો. ગુસ્સામાં એણે મને શ્રાપ આપ્યો.
એ તપસ્વી બોલ્યો:- "હે અભિમાનની પુતળી, તું દેવકન્યા હોય તો સ્વર્ગની.. પણ તેં એક તપસ્વીના તપનો ભંગ કર્યો છે. તને તારા અંગોનુ, નૃત્યકળાનું તેમજ તારા રૂપલાલિત્યનું અભિમાન છે. તો મારો તને શ્રાપ છે કે તું હમણાંને હમણાં કુરૂપ, બેડોળ,કુબડી , શ્યામવર્ણી તેમજ અપંગ થઈ જાય. તારો ઘમંડ આ શ્રાપ જ તોડશે. તને પણ ખબર પડશે કે પૃથ્વી પર તપસ્વીઓના તપોભંગ કરવાનું કેવું ફળ મળે છે ?"
આ શ્રાપ મલતા જ મારૂં રૂપ બદલાઈ ગયું. હું અપંગ, શ્યામવર્ણી,કુબડી તેમજ બેડોળ દેખાવા લાગી. મને બોલતા પણ તકલીફ થવા લાગી. આ કુરૂપતાના કારણે મારો ઘમંડ ચુરચુર થઈ ગયો. હું મારા કાર્યથી પસ્તાઈ.
સવાર પડી. સુરજદાદાના કીરણો અમરકંટક પર પડવા લાગ્યા. એ તપસ્વી તપનો ભંગ થવાથી નિરાશ થઈને ચાલવાની તૈયારી કરતા હતા. ત્યારે હું ઘસડાતી ઘસડાતી એમના જવાના રસ્તા પર આવીને આજીજી કરવા લાગી.
હું બોલી:-"હે તપસ્વી, મને મારી ભુલ નું ભાન થયું છે. મારા રૂપનું અભિમાન જ મારા પતનનું કારણ બની ગયું. હે મહારાજ,આપ દયાળુ છો. એમ સાંભળ્યું છે કે તપસ્વી લોકો દયાળુ અને નિરાભિમાની હોય છે. આપ જે કહેશો એ કરીશ. પણ મને મારા શ્રાપનું નિવારણનો ઉપાય બતાવો. આજ પછી હું ક્યારેય કોઈના તપનો ભંગ નહીં કરું. મારી દૈવીશક્તિનો દુરપયોગ નહીં કરૂં. હે ઈશ્વરના પ્રિય તપસ્વી આપ મને માર્ગ બતાવો. આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા હું પ્રાયશ્ચિત કરીશ. જો આપ મને ઉપાય બતાવશો તો આપની મારા પર મહેરબાની રહેશે. જો હું શ્રાપ મુક્ત થઈશ તો જીવનભર હું આ પૃથ્વી પર જ એક સામાન્ય જીવન જીવીશ."
(ક્રમશઃ દેવપ્રિયા ભાગ-૮ માં દેવપ્રિયા શ્રાપના કારણે શ્યામા બને છે. એના નિવારણ માટે મંદિર મંદિર ભટકે છે.શ્રાપના નિવારણ નો અંતિમ ઉપાય ભાર્ગવ ને કહે છે.. ભાર્ગવ શ્યામા ને સહકાર આપે છે.. ભરૂચ પાસે આવેલા પોતાના ગામમાં શ્યામા ને પત્ની તરીકે લઈ જાય છે...વધુ જાણવા વાંચો મારી ધારાવાહિક વાર્તા" દેવપ્રિયા")
ક્રમશ: