ઉપદેશ
ઉપદેશ
એક વાર એક માણસે આવીને ભગવાન બુદ્ધને વંદન કરીને પછી પ્રાર્થના કરી: ‘હે ભગવાન, મને ઉપદેશ આપો.’
બૂદ્ધે કહ્યું, ‘તું જેકંઈ કાર્ય કરતો હો એ કાર્યને નિષ્ઠાપૂર્વક કરવાનું ચાલુ રાખજે અને જ્યારે એ કાર્ય કરતો હો ત્યારે જાગરૂકતા કેળવજે.’
પેલો માણસ સડક થઈ ગયો. એ ક્ષણે તો તે કાંઈ બોલ્યો નહીં, પણ પછી ધીમે-ધીમે તેણે કહ્યું, ‘એ શી રીતે બને, ભગવંત! હું તો ચોર છું. મારું કર્મ ચોરીનું છે.’
બુદ્ધે કહ્યું, ‘ભલે હોય. તું નિષ્ઠાપૂર્વક ચોરી કરજે અને જ્યારે ચોરી કરી રહ્યો હોય ત્યારે જાગરૂકતા કેળવજે.’
પેલો માણસ વધુ ગૂંચવાઈ ગયો. બે હાથ જોડીને નતમસ્તક બોલ્યો, : ‘ભગવાન આપનો ઉપદેશ થોડો વધુ વિગતે સમજાવશો ? ચોરી જેવા કર્મમાં નિષ્ઠા અને જાગરૂકતા શી રીતે રહી શકે એ વિશે માર્ગદર્શન કરશો તો ઋણી થઈશ.’
બુદ્ધ બોલ્યા : ‘વત્સ ! ‘માણસને વર્તમાનમાં કયું કર્મ કરવું એ તેનાં પૂર્વજન્મનાં કર્મો પર આધારિત હોય છે. પૂર્વજન્મનાં કર્મોનાં ફળરૂપે તેને ચોક્કસ પરિસ્થિતિમાં મૂકે છે. આ પરિસ્થિતિમાં મુકાયા પછી જેકાંઈ કર્મ તેને ઉપલબ્ધ થયું હોય એ કર્મ પોતાની પૂરેપૂરી સમજદારી અને શક્તિ સાથે કરવું, એમાં ક્યાંય મનચોરી ન કરવી, અંચઈ ન કરવી અને પોતાની જાતને સમગ્રતયા એ ક્ષણે એ કર્મમાં આરોપી દેવી એનું નામ નિષ્ઠા છે. તું ગમે તે કર્મ કરતો હોય, પણ આ નિષ્ઠાનું જ અનુસરણ કરીશ તો સફળતા કે નિષ્ફળતા કશું તને સ્પર્શશે નહીં.’
પેલા માણસના ગૂંચવાડાનો કોઈ પાર ન રહ્યો. ચૌર્યકર્મ કરતી વેળાએ તે સમગ્રતયા ધ્યાન તો રાખે જ છે કે તે પકડાઈ ન જાય. પકડાઈ જાય તો કેમ છટકવું એ વિશે પણ તે ધ્યાન આપે છે, પણ ભગવાન બુદ્ધ કહેતા હતા એ રીતે સફળતા કે નિષ્ફળતા તેને સ્પર્શે નહીં એવું તો ક્યારેય બનતું નથી. સફળતાનો તેને આનંદ છે અને નિષ્ફળતાનો તેને રંજ થાય છે. તેણે ફરી વાર પૂછ્યું,
‘ભગવાન ! પણ આમાં જાગરૂકતા ક્યાં આવી ? જાગરૂકતા એટલે શું ?’
‘વાત બહુ સરળ છે’ બુદ્ધે કહ્યું, ‘ચોરી કરતી વખતે તારે હંમેશાં એ ધ્યાનમાં રાખવું જોઈશે કે તું શું કરી રહ્યો છે ? જે માલમતા ઉઠાવી રહ્યો છે એના પર તારો કોઈ અધિકાર છે ખરો ? આ વિચાર એ જાગરૂકતા.’