પ્રેમ અને પ્રેમપત્ર એટલે વેલેન્ટાઇન
પ્રેમ અને પ્રેમપત્ર એટલે વેલેન્ટાઇન
પ્રેમની ઋતુ વસંતમાં કરીએ વિશ્વના પ્રથમ પ્રેમ પત્રની વાત
ભારતમાં જેટલો ઋતુ વૈભવ છે તેટલો કદાચ બીજા કોઈ દેશમાં નહિ હોય. ખીલેલા ફૂલોની માદક સુગંધ અને સુંદર પ્રકૃતિનો અનુભવ કરવાની ઋતુ એટલે વસંત. ઠંડી થોડું સુખદ લાગે તેવું ગુલાબી રૂપ ધારણ કરી રહી છે. સૌ કોઈને ભમરાઓનો ગુંજારવ, પક્ષીઓનો કલરવ સંભાળવો ગમે છે. આ બધું આપણને ભગવાન તરફથી મળેલી કોઈ અમૂલ્ય ભેંટથી કમ નથી. મનોરમ્ય, સુંદર અને સંતુલિત વાતાવરણના કારણે આપણા દેશમાં વસંત પંચમીને પ્રેમના ત્યોહાર તરીકે પણ ઉજવવામાં આવે છે. તો ચાલો પ્રેમની ઋતુ વસંતમાં કરીએ વિશ્વના પ્રથમ પ્રેમપત્રની વાત.
કોલેજમાં નવા સત્રમાં લેટર રાઈટીંગનો ઈતિહાસ સમજાવતા મેં કહ્યું કે "પ્રાચીન કાળમાં પત્રલેખન માત્ર રાજા રજવાડા પૂરતું માર્યાદિત હતું."
આ સાંભળી સુરજે તરત કહ્યું કે "સર મેં સાંભળ્યું છે કે વિશ્વનો પ્રથમ લવલેટર રુકમણીજીએ શ્રીકૃષ્ણને લખ્યો હતો."
મેં તેને જવાબ આપતા કહ્યું કે "હા, શ્રીમદ ભાગવતના દશમાં સ્કંધમાં ત્રીજા પ્રકરણમાં 37 થી 43માં શ્લોકમાં રુકમણીજીનો પત્ર આવે છે. આ પત્રના સેન્ડર રુકમણીજી, રીસીવર શ્રીકૃષણને સુદેવ નામના બ્રાહ્મણને માધ્યમ બનાવી મોકલે છે. આજની ફોરવર્ડ કહેવાતી જનરેશન માટે એ વાત ગળે ઉતારવી અઘરી છે કે કોઈને જોયા વિના પણ પ્રેમ થઇ શકે. તેઓ પત્રમાં લખે છે કે વિદ્વાનો અને ઋષિ પુરુષો પાસેથી તમારા ગુણો વિષે સંભાળીને જ મને તમારી સાથે પ્રેમ થયો છે. હું બીજા કોઈ સાથે નહિ પરણું. મેં મનથી તમને જ વરવાનો નિર્ણય કર્યો છે માટે હવે હું તમારી છું. તમે સિંહ પુરુષ છો, મારી રક્ષા કરો. રુકમણીજીની ભાષામાં નિસ્વાર્થ પ્રેમ, સમર્પણ અને વિનંતીના ભાવો વ્યક્ત થાય છે. તમે પણ જયારે પત્ર લખો ત્યારે ભાષા અને અભિવ્યક્તિ પર ખાસ ધ્યાન આપો. એક વખત લખાણ લખ્યા પછી તેને ફરી વાંચો અને જરૂરી સુધાર કરો.
આજના સમયમાં વિવિધ પ્રકારના સંબોધનો વપરાય છે અને યોગ્ય રીતે સરનામું લખવાનું હોય છે. જુના સમયમાં લેખના ક્યા પાસાઓ મહત્વના હતા ? આવો પ્રશ્ન વૈભવીનો હતો. મેં તેને જવાબ આપતા કહ્યું કે એ સમયે પત્ર સીધો રાજા કે તેના જવાબદાર વ્યક્તિને જ આપવામાં આવતો માટે સરનામું નહોતું પણ રાજાઓની રાજ્મુદ્રાઓ લાગતી. તમારે એ પણ જાણવું જોઈએ કે વ્યક્તિનું લેખન જોઇને તેના વ્યક્તિત્વનો અંદાજ પણ લગાવી શકાતો હતો. શ્રીકૃષ્ણે પણ રુક્મણિજીને ક્યારેય જોયા નહોતા પરંતુ તેમના મોતીના દાણા જેવા સુંદર અક્ષરો અને તેમની ઉત્તમ ભાષા જોઈને શ્રીકૃષ્ણ તેમના વ્યક્તિત્વનો તાગ મેળવી લે છે. આજે પ્રિન્ટીંગના જમાનામાં પણ હેન્ડ રીટન લેટર વિશેષ મહત્વ ધરાવે છે. તમારા અક્ષર અને લખાણ જો સારું હશે તો જ તમારા પત્રલેખનનો ઉદેશ્ય પૂર્ણ થશે. રુકમણીજી લખે છે કે કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, ધન અને ઓળખ જેવી બાબતોમાં શ્રી કૃષ્ણનો જગતમાં જોટો જડે તેમ નથી. સૌ લખનારાઓએ પણ જેમને પત્ર લખે છે તેમના યોગ્ય વખાણ કરવા જોઈએ. સાચા પ્રેમને વ્યક્ત કરવા તૈયાર કાર્ડ ન ખરીદો. તમારા મનના ભાવોને વ્યક્ત કરવા માટે પત્ર તમે જાતે લખો.
મિત્રો, પ્રેમ અને પ્રેમપત્ર એ પરસ્પર જોડાએલી બાબત છે. પત્રની સાથે સાથે પ્રેમ કેવો હોવો જોઈએ એ અંગે પણ રુકમણીજી પાસેથી શીખવા જેવું છે. તેઓ કહે છે કે કન્યા વરને પસંદ કરે ત્યારે સૌ પ્રથમ તે કુળવાન હોવો જોઈએ બીજું તે શીલવાન હોવો જોઈએ અને ત્રીજા ક્રમે તે સુંદર હોવો જોઈએ. શ્રીકૃષ્ણ અન્ય સ્ત્રીઓની મદદ કરે તેવું રુકમણીજી સામેથી ઈચ્છે છે. તેમના મનમાં અન્ય સ્ત્રીઓ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થતો નથી. દરેક સ્ત્રીને એવો જ સાથી ગમે જે સ્ત્રીઓનુ સમ્માન કરે. વસંત પંચમીના પાવન દિવસે ધામધૂમથી માધવપુરમાં શ્રી કૃષ્ણ અને રુક્મણીજીના લગ્ન થાય છે. વસંત ઋતુ પ્રેમની ઋતુ છે ત્યારે જો કોઈ સાચો પ્રેમ કરે તો તે ચોક્કસ સફળ થાય છે.