તહેવાર
તહેવાર
તહેવાર બદલે વહેવાર. મતલબ કે જીવનમાં એકધારાપણાથી કંટાળેલા માનવીને થોડા સમયને અંતરે કોઈ તહેવાર ઉજવવાનો આવે તો તે રિફ્રેશ થઈ જાય છે. અને નવી તાજગી સાથે તેનો કંટાળો દૂર થયાનું મહેસૂસ કરે છે. જેને પરિણામે તેનો વહેવાર એટલે કે તેનું વર્તન પણ બદલાઈ જાય છે. તહેવારોનું કાર્ય જીવનમાંથી નીરસતા દૂર કરવાનું છે.
આપણી સંસ્કૃતિ જાળવવાનું કાર્ય તહેવાર કરે છે. સગાં સંબંધીઓ ભેગાં મળીને તહેવાર ઉજવે એટલે પરસ્પર વધી રહેલી કડવાશ આ તહેવારના માધ્યમથી દૂર થઈ જાય છે. પરિવારમાં નિક્ટતા વધે છે. અત્યારના મોબાઇલના યુગમાં કોઈને કોઈની પરવા નથી. સૌ પોતપોતાનામાં રચ્યા પચ્યા રહે છે. તેવી વખતે તેમની વચ્ચે વધી રહેલું અંતર દૂર કરવા આ તહેવારો અને ઉત્સવો નિમિત્ત બને છે.
દરેક સારી બાબતોનું એક પાસું ખરાબ પણ હોય એમ નિરસ જીવનને ચેતનવંતુ કરવાનો શ્રેય તહેવારની ઉજવણીને ભલે જાય છે પરંતુ અત્યારે તહેવાર ને બહાનું બનાવી તેનો ગેરફાયદો ઉઠાવવામાં પણ આવે છે. જેમકે જન્માષ્ટમી વખતે જુગાર રમવું ' શિવરાત્રીમાં ભાંગ પીવી. નશો કરવો. અને નવરાત્રિમાં ગરબાના નામે વ્યાભિચાર કરવો..ખોટી રીતે તહેવારને બદનામ કરનારા લોકો પણ આપણને જોવા મળે છે.
આપણી સંસ્કૃતિનું મૂલ્ય સમજીને વડીલોની માન મર્યાદાનું ધ્યાન રાખીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ. દિવાળી જેવા તહેવારોમાં ફટાકડા ફોડતાં સાવચેતી રાખવી જોઈએ. પતંગ ઉડાડતા અને ધૂળેટીમાં રંગોનો ઉપયોગ કરતાં નુકસાન ન થાય તેની કાળજી રાખવી જરૂરી છે. કોઈ પણ તહેવારની ઉજવણી વિવેક મર્યાદામાં રહીને કરવામાં આવે તો તે ખરીસર નીરસ જીવનમાં નવા પ્રાણ પૂરે છે.
