સૂર્ય પ્રકાશ
સૂર્ય પ્રકાશ
"ઉમા, મેં તો લગ્ન પહેલાં શરત કરી હતી કે અમારે ત્યાં મોડામાં મોડું સવારે ૬ વાગ્યે ઊઠી જવું પડશે. એ વખતે તો તેં હા કહી પણ હતી. આ શરત મેં એટલે રાખી હતી કે મને ખબર પડી ગઈ હતી કે તું નિયમિતપણે સવારે નવ વાગ્યે ઊઠે છે". કાંતાબેન કે જે ઉમાના સાસુ હતાં એ એકી શ્વાસે બોલી ઉઠયા.
જો કે ઉમાના હાવભાવ પરથી લાગતું હતું કે ઉમાને એની સાસુની વાત ગમી નથી. તેથી જ ઉમા મોં ચડાવીને ફરતી હતી. સામે પક્ષે કાંતાબેન પણ ગુસ્સે થઈને બોલ્યા, "મેં એવું પણ કહેલું કે મારા ઘરમાં હસીખુશી ને રહેવાનું. તને કોઇ પણ પ્રકારની તકલીફ નહિ પડે. આવી રીતે જો ઘરની લક્ષ્મી મોં ચડાવીને ફરે તો ઘરમાં ધનધાન્ય ખૂટી જશે. ધંધામાં બરકત પણ નહિ આવે. "
"પણ મમ્મી, ઘરમાં નોકર, રસોઈયો છે. ઘરમાં કંઈ કામ પણ હોતું નથી."
"તું ઉત્થાપનના દર્શન કરવા સાંજે મંદિર નિયમિતપણે જાય છે. બરાબર ને ? પણ આપણામાં કહેવાય છે કે જે કરે મંગળા એનું મંગળ થાય. તને ખબર છે કે એવું શા માટે કહેવાય છે ? કારણ સવારે તમે મંદિર જાવ ત્યારે સૂર્યના કુમળાં કિરણો તમારા શરીર પર પડે. સૂર્યના કિરણો શરીર પર પડે તો તેમાંથી વિટામિન ડી મળી રહે છે. ધર્મ અને વિજ્ઞાન એકબીજા સાથે સંકળાયેલા જ છે. "
ઉમાને વહેલા ઉઠવું ગમતું ન હતું. એમાં પણ સવાર સવારમાં સાસુનું ભાષણ સાંભળવું તો કયાંથી ગમે !
"ઉમા, તું તો ભણેલી છું. મારે તો તને કંઈ સમજાવવાનું જ ના હોય. તું મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય છે પરંતુ સૂર્ય નારાયણ તો સાક્ષાત દેવ છે. સવાર માં નાહીધોઈને સૌ પ્રથમ સૂર્ય નારાયણ ને જળ અર્પણ કરવાથી તંદુરસ્તી જળવાય છે. કહેવાય છે કે સૂર્ય સમક્ષ સૂર્ય નમસ્કાર કરવાથી બીજી કોઈ પણ કસરત ના કરો તો ચાલે. સૂર્યને જળ અર્પણ કરતી વખતે જળની ધારમાં જે સૂર્યના કિરણો પડે એની સામે જોવાથી આંખોનું તેજ વધે છે. "
બીજા દિવસે કાંતાબેને ઉમાને કહ્યું, " આજે નોકર નથી આવવાનો આપણે ગાદલાં તડકે નાંખવાના છે. તથા કઠોળ પણ તડકે તપાવવાનું છે. જેથી એમાં કિલ્લા ના પડે.
સાંજે ગાદલાં તપી ગયા હતા અને ફૂલી પણ ગયા હતા. તરત જ કાંતાબેને કહ્યું, "ઉમા,જો આ સૂર્ય નારાયણે આ કામ બદલ પૈસા નથી લીધા છતાં પણ આપણી તંદુરસ્તીનો ખ્યાલ રાખે છે. "
બીજા દિવસે સવારે કાંતાબેને જોયું કે ઉમા સૂર્યનારાયણ ને અર્ધ્ય આપી રહી છે. કાંતાબેન આ જોઈને ખુશ થઈ ગયા. સાસુને ખુશ જોતાં જ ઉમા બોલી, "મમ્મી કાલે તો તમે સૂર્ય વિષે કહ્યું કે એ જાગતા દેવ છે પણ મારી આદત ખરાબ હતી. સૂર્ય પ્રકાશને કારણે તો વૃક્ષો ઊગે છે વૃક્ષો પોતે કાર્બન ડાયોક્સાઇડ લઈ આપણને ઓકસીજન આપે છે. જેના કારણે આ સૃષ્ટિ ટકી છે. બધી જાતના ખોરાક સૂર્યને કારણે જ મળે છે. સૂર્ય પાણીનું બાષ્પીભવન કરે છે તેથી તો આપણને વરસાદ મળે છે અને આ સૃષ્ટિ ટકી રહી છે. સૂર્ય એ જ જીવન ઉત્પન્ન કર્યું અને એને કારણે જ ટકી રહ્યું છે. જયાં સુધી સૂર્ય ઉર્જા વહાવતો રહેશે ત્યાં સુધી પૃથ્વી પર જીવન ટકશે."
મમ્મી હું ભણતી હતી ત્યારે અમે કહેતાં, "ભવતિ વિશ્વં એક નીમ્"અર્થાત પુરૂ વિશ્વ એક માળા છે આપણી પૃથ્વી એક છે આપણું આકાશ એક છે. આપણું વાયુમંડળ એક છે. તો જુદારો શા માટે ? શા માટે દેશદેશ વચ્ચે વૈમનસ્ય ? આ સત્ય અને તથ્ય બધા દેશોએ સમજવાની જરૂર છે. સૂર્ય પક્ષપાત વગર બધાને એકસરખો પ્રકાશ આપે છે આપણને સૂર્ય નારાયણ ઘણુંજ બધુ કહે છે. પણ માનવ સમજતો નથી."
ત્યારબાદ સાસુ સામે જોઈ હસીને બોલી, "જેમ તમારા સમજાવવાથી હું સમજી તેમ દરેક વ્યક્તિ સમજે તો યુદ્ધનું અસ્તિત્વ જ ના રહે. "
