Rahul Makwana

Tragedy Action Crime

4  

Rahul Makwana

Tragedy Action Crime

ભલામણ

ભલામણ

9 mins
726


જેવી રીતે આપણી માતા આપણને પ્રેમ કરે છે, તેવી જ રીતે આપણી ભારતમાતા પણ આપણને પ્રેમ કરે છે. એક માતા આપણને પોતાનું પ્રેમ અને વાત્સલ્ય આપીને નાનપણથી જ આપણો ઉછેર કરે છે. જ્યારે આપણી ભારતમાતા આપણને વસવાટ, વાતાવરણ, રક્ષણ, ભાઈચારો, રાષ્ટ્રપ્રેમ વગેરે પૂરો પાડે છે. જેમ આપણે આપણી માતાનું ઋણ ક્યારેય નથી ચૂકવી શકતાં, તેવી જ રીતે આપણે ક્યારેય ભારતમાતાનું પણ ઋણ ચૂકવી શકતા નથી, બસ આપણે આપણા દેશને અનહદ અને અપાર પ્રેમ કરીને દેશ પ્રત્યે વફાદાર બનીને એક સારા નાગરિક તરીકેની આપણી ભૂમિકા ભજવીશું તો મારી દ્રષ્ટિએ ભારતમાતાનું ઋણ ચૂકવ્યા સમાન ગણી શકાય.

ઘણાં લોકો આ બાબત સારી રીતે સમજતા નથી હોતો તો અમુક લોકો દેશ માટે પોતાનો જીવ આપી દેતા પણ નથી અચકાતા. પોતાનો જીવ બેજીજીક આપી દેશે પરંતુ કોઈપણ સંજોગોમાં પોતાનાં દેશ સાથે દગો કે વિશ્વાસઘાત નહીં કરે. ડૉ. રાધારામ પણ એક એવા જ વ્યક્તિ હતાં, જેઓ દેશ માટે કંઈ કરી છૂટવા માંગતા હતાં. તેઓનાં શરીરમાં રહેલ નસોમાં જાણે લોહીને બદલે દેશભક્તિ દોડી રહી હોય તેવું લાગી રહ્યું હતું. તેઓનાં હૃદયનાં પ્રત્યેક ધબકારા પર માત્રને માત્ર દેશપ્રેમ જ ઘડકી રહ્યો હોય તેવો હંમેશા અહેસાસ થતો હતો.

સ્થળ : આલ્ફા નેશનલ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર 

સમય : સાંજનાં 8 કલાક 

આલ્ફા નેશનલ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટરએ દેશનું એક જાણીતું ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર હતું, જેનાં દેશનાં હોનહાર બાળકોને "ન્યુક્લિયર સાયન્સ" નો અભ્યાસ કરાવવામાં આવતો હતો. આ ઉપરાંત ભારતદેશના અણું અને પરમાણુ બૉમ્બ પણ આ જ રિસર્ચ સેન્ટર પર બનાવવામાં આવતાં હતાં, આમ આ સંસ્થાએ ભારતદેશ માટે ખૂબ જ અગત્યની એક સંસ્થા હતી.

હાલ સાંજનાં આઠ વાગ્યા હોવાથી આલ્ફા નેશનલ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટરનાં તમામ કર્મચારીઓ પોત પોતાનાં ઘરે જતા રહ્યાં હતાં. જ્યારે આ બાજુ ડૉ. રાધારામ લેબમાં કોઈ ન્યુક્લિયર રિએક્શન પર રિસર્ચ કરી રહ્યાં હતાં.

બરાબર એ જ સમયે કોઈ વ્યક્તિ ડૉ. રાધારામનાં કપાળની એકબાજુએ રિવોલ્વર તાકી દે છે. આ જોઈ ડૉ. રાધારામ પળભર માટે મૂંઝાય જાય છે, તેનાં શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા ટ્રેનની માફક જોર જોરથી ધડકવા લાગે છે. તેનાં કપાળે પરસેવાનાં બુંદો બાઝી જાય છે.

"ડિયર ડૉ. રાધારામ શું મળશે તમને દેશ પ્રત્યે આટલી વફાદારીનું પરિણામ…?" ડૉ. રાધારામને પાછળની તરફથી કોઈ વ્યક્તિ પોતાનાં ભારે અવાજે પૂછે છે.

"નિજ આનંદ, ભારતમાતાનું ઋણ ચૂકવ્યાનો આનંદ બસ એ જ…!" ડૉ. રાધારામ પોતાની જાત પર ગર્વ મહેસૂસ કરતાં કરતાં બોલે છે.

બરાબર આ જ વખતે ડૉ. રાધારામ પોતાનાં ટેબલ પાસે રહેલ ઈમનર્જન્સી એલાર્મની સ્વીચ દબાવવા માટે પોતાનો હાથ લંબાવે છે, એ સાથે જ તેની પાછળ ઉભેલો વ્યક્તિ રિવોલ્વરની મદદથી એટલો જોરથી પ્રહાર કરે છે કે ડૉ. રાધારામ બેભાન થઈને ખુરશી પરથી નીચે ફ્લોર પર પડી જાય છે.

એક અઠવાડિયા પહેલાં.

સ્થળ : ડૉ. રાધારામનું ઘર.

સમય : સવારનાં આઠ કલાક.

આજે ડૉ. રાધારામનાં મનમાં એક અલગ જ પ્રકારનો આનંદ છવાયેલો હતો, જેવી રીતે પાંચ સાત વર્ષથી યુ.પી.એસ.સી પરીક્ષાની તૈયારી કરી રહેલાં ઉમેદવારને પરીક્ષામાં સફળતા મળવાથી આનંદ થાય, તેટલો કે તેનાથી પણ વધુ આનંદ હાલ ડૉ. રાધારામ અનુભવી રહ્યાં હતાં.

ડૉ. રાધારામ ડાઈનિંગ ટેબલ પર બેસીને કડક અને મીઠી ગરમાગરમ ચા ની એક પછી એક ચૂસકીઓ લઈને મન ભરીને ચા નો આસ્વાદ માણી રહ્યાં હતાં, બરાબર એ જ સમયે જાણે તેનાં મનમાં એકાએક કોઈ વિચાર આવ્યો તેવી રીતે ડાઈનિંગ ટેબલ પર રહેલ ટી.વીનું રિમોટ ઉઠાવીને ટી.વી ચાલુ કરી ન્યુઝ ચેનલ જોવે છે તો બધી ન્યુઝ ચેનલ પર એક જ બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યાં હતાં, "કે હવે ભારત પુરી રીતે યુદ્ધ માટે સજ્જ છે, ભારતદેશે ગઈકાલે એક પરમાણુ (ન્યુક્લિયર) બૉમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ પાર પાડેલ છે, હવે ભારતદેશ પણ પરમાણુબૉમ્બ ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે….આ માટે જો ખરેખર કોઈ વ્યક્તિ સાચા અર્થમાં અભિનંદનને પાત્ર હોય તો તે વ્યક્તિ છે, "ડૉ. રાધારામ મનોહર" કે જેઓએ પરમાણુ બૉમ્બ બનાવવાથી માંડીને પરમાણુ બૉમ્બનાં પરીક્ષણ સુધી દિવસ રાત જોયા વગર પોતાનો અમૂલ્ય સમય આપેલ છે." 

આ ન્યુઝ સાંભળીને ડૉ. રાધારામની આંખોમાં ખુશીઓનાં આંસુ આવી જાય છે, જાણે ઘણાં વર્ષોથી પોતે જોયેલ સપનું આજે હકીકતમાં પરીણ્યું હોય તેવું આજે તેઓ અનુભવી રહ્યાં હતાં. આ સાથે જ તેઓએ પાંચ મહિના પહેલાં ટી.વી. ન્યુઝ ચેનલમાં આપેલ ઈન્ટરવ્યૂનાં દ્રશ્યો યાદ આવી જાય છે, જેમાં પોતે સોફા પર સ્યુટ પહેરીને બેસેલાં હતાં, અને ન્યુઝ એન્કર એક પછી એક પ્રશ્ન પોતાને પૂછી રહી હતી, એવામાં એ ન્યુઝ એન્કર ડૉ. રાધારામને એક પ્રશ્ન પૂછે છે કે….

"સર...સામાન્ય જનતા એ વાત જાણવા ખૂબ જ આતુર છે કે તમે હજુસુધી લગ્ન શાં માટે નથી કર્યા ?" 

"જી..મેં લગ્ન નથી કર્યા એ પાછળનાં બે કારણો છે, પહેલું કારણ કે હું મારી માતાને એક વચન આપીને બેઠો છું અને બીજું કારણ કે હું કોઈનાં પ્રેમમાં હતો, છું અને કાયમિક માટે રહીશ." ડૉ. રાધારામ ઊંડો વિચાર કર્યા બાદ ન્યુઝ એન્કરે પૂછેલાં પ્રશ્નનો ઉત્તર આપાતાં આપતાં જણાવે છે.

"ઓહ વાવ...ધેટ્સ ગ્રેટ...કયું વચન તમે તમારી માતાને આપીને બેઠા છો ? અને કોણ છે એ નસીબદાર વ્યક્તિ કે જેને તમે પ્રેમ કરતાં હતાં ? હાલમાં પણ કરો છો ? અને આવનાર ભવિષ્યમાં પણ કરતાં રહેશો ?" ન્યુઝ એન્કર ડૉ. રાધારામની સામે જોઈને આતુરતા અને જિજ્ઞાશા સાથે બેબાકળતા થતાં થતાં પૂછે છે.

"જી મારી માતા એટલે મારા, તમારા અને આપણાં બધાનાં "ભારત માતા" કે જેમને મેં વચન આપેલ છે કે,"હું તમારી રક્ષા માટે કંઈક મહાન કાર્ય કરીશ પછી જ હું મારા વિશે કંઈક વિચારીશ, વાત રહી પ્રેમની તો હું મારા ભારત દેશને પ્રેમ કરતો હતો, હાલમાં પણ કરું છું અને આવનાર સમયમાં પણ કરતો રહીશ." ન્યુઝ એન્કરે પૂછેલાં પ્રશ્નનો સ્ટીક ઉત્તર આપતાં આપતાં ડૉ. રાધારામ જણાવે છે.

ડૉ. રાધારામનાં આ ઉત્તરને બધાં જ ભારતીયોએ તાળીઓના ગડગડાટ સાથે અને પોતે ભારતીય હોવાનાં ગર્વ સાથે વધાવી લે છે. સૌ કોઈને મોઢા પર હાલ એક નામ "ડૉ. રાધારામ" જ છવાયેલ હતું. 

હાલનાં સમયે…

લગભગ વીસેક મિનિટ બાદ

ડૉ.રાધારામ ભાનમાં આવે છે, ભાનમાં આવતાની સાથે તે જોવે છે કે પોતાની સામે એક માસ્કધારી વ્યક્તિ હાથમાં રિવોલ્વર લઈને ઉભેલો છે. એ માસ્કધારી વ્યક્તિએ પોતાને ખુરસી પર દોરડા વડે બાંધી દિધેલ હતાં. 

"ડૉ. રાધારામ જો તમને તમારો જીવ વ્હાલો હોય તો પરમાણુ (ન્યુક્લિયર)બૉમ્બની પેટર્ન અને સિક્રેટ કોડ મારા હવાલે કરી દો." માસ્કધારી વ્યક્તિ ડૉ. રાધારામ તરફ રિવોલ્વર કરતાં કરતાં બોલે છે.

"હું મારો જીવ હસતાં હસતાં આપી દઈશ, પરંતુ ન્યુક્લિયર કે પરમાણુ બૉમ્બની પેટર્ન કે સિક્રેટ કોડ કોઈપણ સંજોગોમાં તને તો નહીં જ આપું. મારા ભારત દેશ સાથે આવો વિશ્વાસઘાત કે દેશ દ્રોહ કરવાં કરતાં હું મારો જીવ આપી દેવાનું ત્યજી દઈશ." ડૉ. રાધારામ આત્મવિશ્વાસ સાથે પેલાં માસ્કધારી વ્યક્તિની સામે જોઈને બોલે છે.

"હું ધારું તો તમને એક જ ક્ષણમાં ગોળી મારીને ખતમ કરી શકુ છું, તો પણ તમારામાં આટલી હિંમત આવે છે ક્યાંથી ?" માસ્કધારી વ્યક્તિ ડૉ. રાધારામની સામે જોઈને હેરાનીભર્યા અવાજે પૂછે છે.

"જેનું એક કારણ છે મારો દેશપ્રેમ અને બીજું કારણ એ છે કે મારી આગળ પાછળ કોઈ જ રડવાવાળું નથી." ડૉ. રાધારામ માસ્કધારી વ્યક્તિએ પૂછેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે.

"તો ડૉકટર સાહેબ મરવા માટે તૈયાર થઈ જાવ...બાકી જરૂરી નથી કે તમારા સ્થાને જે અધિકારી આવે તે તમારા જેટલો જ દેશપ્રેમ ધરાવતાં હોય, બાકી આજનો મનુષ્ય રૂપિયા માટે કંઈપણ કરવાં માટે તૈયાર થઈ જાય છે… તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલો." માસ્કધારી વ્યક્તિ ડૉ. રાધારામની સામે જોઈને પૂછે છે.

"જો તારે મારી ઈચ્છા પૂરી કરવી હોય તો મને એક કોલ કરવાં દઈશ...અને તેને હું ખાતરી આપું છું કે હું હાલ તારા કબજામાં છું એ બાબતની જાણ કોઈને પણ નહીં કરીશ." ડૉ. રાધારામ મનમાં કંઈક લાંબો વિચાર કરીને પેલાં માસ્કધારી વ્યક્તિની સામે જોઈને જણાવે છે.

 ડૉ. રાધારામે આપેલ ખાતરીનાં આધારે પેલાં માસ્કધારી વ્યક્તિને ડૉ. રાધારામ પર વિશ્વાસ આવેલ હોવાથી અને તેમની અંતિમ ઈચ્છા પુરી કરવાનાં હેતુથી ડૉ. રાધારામને તેનાં મોબાઈલમાંથી કોલ કરવાં માટે પરમિશન આપે છે.

 ત્યારબાદ ડૉ. રાધારામ પોતાનાં મોબાઈલ ફોનમાંથી કોઈને કોલ કરે છે, અને થોડીઘણી સામન્ય વાતો કરે છે, અને ત્યારબાદ તેઓ ઓડિયો કોલને વીડિયોકોલમાં સ્વીચ કરે છે...વિડીયોકોલમાં સ્વીચ કરતાંની સાથે જ ડૉ. રાધારામ પોતાના મોબાઈક ફોનની ડિસ્પ્લે પેલાં માસ્કધારી વ્યક્તિ તરફ કરે છે.

મોબાઈલ ફોનની ડિસ્પ્લે પર નજર પડતાની સાથે જ પેલો માસ્કધારી વ્યક્તિ જમીન પર હતાશા, નિરાશા કે શરમ સાધે ગોઠણીયા પર બેસીને જાણે એક જ પળમાં તેનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય તેમ દુઃખ સાથે નાના બાળકની પેઠે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગે છે. આ જોઈ ડૉ. રાધારામ કોલ ડિસ્કનેટક કરી નાખે છે.

"સાહેબ ! મહેરબાની કરીને મને માફ કરી દો...મારાથી જાણતાં અજાણતાં ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે, હું રૂપિયાની લાલચમાં અંધ બનીને દેશ સાથે વિશ્વાસઘાત કરી બેઠો હતો..!" પેલો માસ્કધારી વ્યક્તિ રડતાં રડતાં પોતાનાં બે હાથ જોડીને ડૉ. રાધારામ પાસે માફી માંગે છે.

"તારાથી ભૂલ તો થયેલ છે, પણ અંતે તેને તારી ભૂલનું ભાન થઈ ગયું એ જ મહત્વની બાબત છે, બાકી હું તને ઓછી સજા મળે એવો પ્રયત્ન ચોક્કસ કરીશ." ડૉ. રાધારામ પેલાં માસ્કધારી વ્યક્તિને આશ્વાસન આપાતાં આપતાં જણાવે છે.

"પણ...સાહેબ તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે હું ઈસ્માઈલભાઈનો પુત્ર ફારૂક જ છું ?" ફારૂક અચરજ સાથે ડૉ. રાધારામની સામે જોઈને પૂછે છે.

"બેટા ફારૂક ઘણાં વર્ષો પહેલાં હું અને તારા પિતા ઈસ્માઈલભાઈ અલગ અલગ ધર્મનાં હોવાછતાં પણ બે સગાભાઈઓની માફક જ રહેતાં હતાં. અને આ સંસ્થા એટલે કે "આલ્ફા નેશનલ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર" ની સિક્યુરિટી એટલી કડક છે કે આ સંસ્થામાં કોઈ વ્યક્તિ તો ઠીક પણ એક માખી પણ ના આવી શકે...એટલે મને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે, "મારી સામે રિવોલ્વર લઈને ઉભેલ માસ્કધારી કાં તો આ જ સંસ્થાનો કર્મચારી હોવો જોઈએ અથવા આ જ સંસ્થાનો કોઈ જાણભેદુ જ હશે….એમાં પણ તે મને જ્યારે હોશ આવ્યો ત્યારે તારી ગન મારા ચહેરા તરફ તાકેલ હતી, બરાબર એ જ સમયે મારું ધ્યાન તે હથેળી પાછળ લખાવેલ "786" પર પડી, એવું જ "786" લખેલું મેં તારા પિતા એટલે કે ઈસ્માઈલનાં હાથમાં જોયેલ હતું. આથી મને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે તારા અને ઈસ્માઈલ વચ્ચે કંઈક તો સંબંધ હોવો જોઈએ. પછી મને એકાએક યાદ આવ્યું કે, "આલ્ફા નેશનલ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર" માં એક જ મુસ્લિમ કર્મચારી એટલે કે ફારૂક જ કામ કરી રહ્યો છે. જેને મેં આજથી ઘણાં વર્ષો અગાવ ઈસ્માઈલની ભલામણથી જ આ સંસ્થામાં નોકરી અપાવેલ હતી. આથી મારી શંકા વધુ દ્રઢ થઈ, હું બેભાન થયો એ પહેલાં એ જ વિચારી રહ્યો હતો કે આ અવાજ મે ક્યાંક તો સાંભળ્યો જ છે, પણ ક્યાં…? ક્યારે…? અને કઈ જગ્યાએ એ જ યાદ નહોતું આવી રહ્યું." પણ તારી ઈસ્માઈલની હથેળી પાછળ એકસરખું "786" લખાવેલ જોઈ મારી શંકા વધુ દ્રઢ બની ગઈ.

"તો તમારી શંકા હકીકતમાં કેવી રીતે પરિણમી ?" ફારૂક ડૉ. રાધારામની સામે જોઈને પૂછે છે.

"જી ! બેટા...એ તો મેં ખાલી એક સાહસ જ ખેડેલ હતું, આમય એવું સાહસ કરવામાં કંઈ જ ખોટું ના હતું...બાકી તો તું મારા શરીરમાં ગોળીઓ તો ઉતારી જ દેવાનો હતો જ તે...માટે મોત મારા માથા પર મંડરાતી હોવા છતાંય આવું સાહસ કર્યું, અને એક તુકકા સાથે મેં ઈસ્માઈલનાં મોબાઈલમાં કોલ કર્યો, એવું બની શકે કે એ કદાચ તને નહીં ઓળખ્યા હશે...પણ મોબાઈલ ફોનથી ડિસ્પ્લે પર તારા પિતાને જોઈને તું અંદરથી ભાંગી કે તૂટી પડયો, જે એ વાત સાબિત કરે છે કે તારામાં હજુપણ ક્યાંક "ઈન્સાનિયત" જીવિત છે.

"સાહેબ ! તમે ખરેખર મહાન છો...તમારા જેવો અને તમારા જેટલો દેશપ્રેમ મે આજદિવસ સુધી કોઈપણ વ્યક્તિમાં જોયેલો નથી. શક્ય હોય તો મેને માફ કરી દેશો." ફારૂક ભાવુક થતાં થતાં બોલે છે.

"બેટા જરૂરી નથી કે તમારે તમારામાં રહેલ દેશપ્રેમ વ્યક્ત કરવાં માટે બોર્ડર પર જ જવું જોઈએ, તમે આપણાં દેશમાં વસીને પણ મારી માફક દેશસેવા કરી શકો છો...દેશ માટે જીવો...દેશને પ્રેમ કરો...અને દેશને વફાદાર રહો." પોતાની જાત પર ગર્વ અનુભવતા ડૉ. રાધારામ ફારૂકની સામે જોઈને બોલે છે.

ત્યારબાદ ડૉ. રાધારામ ફારૂકને પોલીસનાં હવાલે કરી દે છે, અને બીજી બાજુ ડૉ. રાધારામ દેશનાં રાષ્ટ્રપતિને આખી ઘટનાં વર્ણવતો એક પત્ર લખીને ફારૂકની સજા ઓછી કરવાં માટેનો ભલામણ પત્ર પણ લખે છે.

જો તમારી હૃદયની અંદર પોતાનાં દેશપ્રત્યે ડૉ. રાધારામ જેટલો જ પ્રેમ ધબકતો હોય તો માની લેજો કે તમે એક સાચા દેશભક્ત છો, જો તમે દેશની સરહદ પર જઈને ભારતનાં વીર જવાનો કે બહાદુર સૈનિકો માફક દેશની સેવા નથી કરી શકતા તો ડૉ. રાધારામની માફક દેશની અંદર રહીને પણ દેશની સેવા કરી શકો છો...જ્યારે તમે આવું કરવામાં સફળ રહેશો એ દિવસે ભારતમાતાની છાતી ગર્વ સાથે ફૂલીને ગદ ગદ થઈ જશે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy