CA AANAL GOSWAMI VARMA

Tragedy Inspirational

5.0  

CA AANAL GOSWAMI VARMA

Tragedy Inspirational

ડોક્ટર અલી કૃષ્ણકાંત પંડિત

ડોક્ટર અલી કૃષ્ણકાંત પંડિત

9 mins
755


*આ કાલ્પનીક વાર્તા છે અને એનો કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. વાર્તા માં આવતા સ્થળ, બનાવ અને સંજોગો કાલ્પનીક છે.

સતારા થી સજનપુર જતા ધોરી માર્ગ ૧૮ પાસે એક મોટી હૉસ્પિટલ છે, નામ "યશોદા જનરલ હૉસ્પિટલ". આસપાસ ના બધા ગામડાં માટે આ હોસ્પિટલ ભગવાન ના મંદિર જેટલું જ મહત્વ ધરાવે છે. ગમે તેવો રોગ હોય અહીંથી માણસો સાજા થયા વગર ભાગ્યે જ જાય. કહેવાય છે ને કે જશ ની પણ રેખા હોય, આ હૉસ્પિટલ ને એ હતી.

આમ હાઈવે પર પણ આમ સહેજે ૫ એક કિલો મીટર અંદર જવું પડે. ત્યાં આવે સજનપુર ગામ અને ગામના પાદરે આવેલી હૉસ્પિટલ એટલે આ "યશોદા જનરલ હૉસ્પિટલ ". સફેદ રંગે રંગાયેલી આ હૉસ્પિટલ પર લાલ રંગ થી લખેલું છે "યશોદા જનરલ હૉસ્પિટલ". હૉસ્પિટલ ના મુખ્ય દરવાજા પાસે કોઈ ચોકીદાર નથી. દરવાજા પર રોજ સવારે આસોપાલવના તોરણ બંધાય છે.આજ ની તારીખે પણ કમ્પાઉન્ડ માં રોજ માટીના કોડિયાંમાં દીવા થાય છે. આ દીવા એ માણસાઈ નું પ્રતીક છે. આ દીવા સંદેશ આપે છે કે માનવતા હજુ મરી પરવારી નથી. દર ઈદ ના દિવસે અહીંયા શીરો પુરી અને દર અગિયારસ અને દીવાળી ના દિવસે સેવૈયા વહેંચવામાં આવતા. 

હોસ્પિટલની બહાર બારે માસ છાશ મફત મળે અને દર્દી ના સગા માટે એકદમ રાહતના ભાવે રસોડું ચાલે છે.

દરવાજાની જમણી બાજુ ભગવાન ગણેશની ૫ ફૂટ મોટી પ્રતિમાવાળું મંદિર અને એની બહાર એક કોતરણીવાળો બાંકડો. 

આ હૉસ્પિટલ ના મુખ્ય દરવાજા ની ડાબી બાજુ એક મોટો વડલો છે અને વડલાની ગોળ ફરતે ઓટલો છે. વડલા પર ચબૂતરો છે. આ ચબૂતરામાં ખિસકોલી, મોર, ચકલી, કબૂતર બધા પક્ષી આવે અને એમ ના કલરવ થી આખું કૅમ્પસ કલબલી ઊઠે. ચબુતરા માં મગ ને બાજરી નાખવામાં આવે અને માટીના મોટા મોટા ૩ એક કોડિયાંમાં પાણી ભરવામાં આવે. ઓટલાની બહાર એક પરસાળ જેવું ત્યાં કુતરા માટે રોટલો નાખવામાં આવે. બાજુ માં પાણી ભરેલું માટી નું કોડિયું. બાજુ માં કાગડા માટે ગાંઠિયા. ત્યાં તુલસી, અરડૂસી, પથ્થર તોડ, અજમો એવી ઔષધી ના છોડવા વાવેલા છે. ઓટલા ની બાજુ માં એક નાની ખાંભી મૂકેલ છે એના પર પટારો છે. એ પટારા નું નામ છે રામ રહીમ પટારો. એને તાળું પણ નથી. જે દર્દી કે દર્દી ના સગા પાસે ઈલાજ માટે પૈસા ના હોય એ આ પટારામાંથી રૂપિયા લઈ લે. કોઈને પૂછવાની જરૂર નથી.

હૉસ્પિટલ ની અંદર દાખલ થતા જ એક મોટો ફોટો દેખાય. ચશ્માં અને ધોતિયું પહેરેલ એક ૩૦/૩૫ વર્ષ ના પુરુષ નો અને એની જોડે આંગળી પકડેલા ૫/૬ વરસ ના બાળક નો. ૬ ફુટ મોટા આ ફોટા પર ધ્યાન ના જાય એવું ભાગ્યે જ બને. રિસેપ્શન ના નામે ખુરશી ટેબલ અને કોમ્પ્યુટર. ત્યાં બેઠી છે ગામ ની મહિલા. જે સરળ શબ્દ માં દર્દી કે એના સગા ને માહિતી આપે છે. દાખલ થયા પછી જ ફોર્મ ભરવા જેવી ઔપચારિક વિધિ થાય છે. કેશ કાઉન્ટર પર ગામડાનો જ પુરુષ બેઠો છે જે બિલ નથી આપતા. તમે જે આપો એ પ્રેમથી સ્વીકારી લે છે ખાતરી કરી ને કે તમારી પાસે અહિયાંથી પાછા ઘરે જવાના ભાડા ના પૈસા છે. 

આ બધું વાંચ્યા પછી હૉસ્પિટલ ને જજ ના કરવી. હૉસ્પિટલની અંદર એકથી એક ચઢિયાતા અને મોડર્ન સાધન વસાયેલ છે. કેન્સરથી માંડી ને કિડની રિપ્લેસમેન્ટ કે બાયપાસ સજૅરી અહીંયાં થતી. એ પણ એકદમ મોડર્ન પદ્ધતિથી. હૉસ્પિટલ ની પોતાની ૫ એમ્બ્યુલન્સ છે અને ઓપેરશન થીયેટરમાં વિડિઓ કોલિંગ ની સુવિધા પણ છે. 

તમે નસીબવાળા હોવ તો ગણેશ મંદિરની બહાર કોતરણી વાળા બાંકડા પર એક પંડિત જી જેવા લાગતા દાદા દેખાય. હાથમાં માળા, કપાળમાં તિલક, સફેદ ધોતિયું અને પીળું અથવા વાદળી કેડિયું પહેરેલા આ પંડિત એટલે પેલા ફોટામાં રહેલ ૩૫ એક વર્ષ ના લાગતા પુરુષ. એમ નું નામ કૃષ્ણકાંત પંડિત. જાણે સ્વયંભૂ તેજ નીકળતું હોય એવું દૈદિપ્યમાન મુખ અને એ મુખ પર સદા રમતું હાસ્ય. ઘણા નિરાશ થયેલા દર્દી એ પ્રેમાળ હાસ્ય જોઈને જ સાજા થઈ જતા. માત્ર એમની પાસે ઊભા રહેવાથી એક અજાણી શાંતિ અને આરામ અનુભવાતો. દર્દીના સગાવાળા જોડે જો બાળકો હોય તો એમ ને તો અહીંયાં મઝા મઝા. પંડિત ના મોઢે થી અમૃત વરસતું હોય એમ કાનુડાની વાર્તાઓ નીકળે અને એ સાંભળતા સાંભળતા બાળકો ક્યારેય ના થાકે. 

અહીંયા લગભગ દરેક રોગના ડોક્ટર મળી રહે. ઈન હાઉસ ડોક્ટરની ટીમ તો ખરી જ. આ હૉસ્પિટલની ખ્યાતિ એટલી કે ડોક્ટર, અહીંયા રેસિડેન્ટ ડોક્ટર તરીકે ના રહી શકે તો પણ અઠવાડિયે એક વાર વિઝિટ માટે આવે જ. હૉસ્પિટલ હાઈવે પર હોવાથી અહીંયાં એકસીડન્ટ ના કેસ વધારે આવે. એમાં ય ગાડી અથડાવાથી સળગી જવાનો કે અથડામણમાં આગ લાગવાના બનાવો વધારે બને. એટલે ગંભીર રીતે ઘવાયેલા કે દાઝી ગયેલા કેસ વધારે આવે. અને આવા દર્દી નો ઈલાજ થાય" બર્ન વોર્ડ "માં.

આ "બર્ન વોર્ડ" ના કારણે જ આ હૉસ્પિટલ આખા મલક માં ખૂબ પ્રખ્યાત છે. ગંભીર રીતે દાઝેલા દર્દી માટે અહીંયાં ના બર્ન વોર્ડ ના ડોક્ટર ભગવાનનું જ બીજું ઠેકાણું છે. શહેર ની મોટી હૉસ્પિટલ માં પણ કોઈ ગંભીર રીતે દાઝેલા દર્દી નો કેસ આવે તો અહીંથી આ ડૉક્ટર ને જવું પડે શહેરમાં. મેટ્રો સિટી ની કેટલી હૉસ્પિટલ આ ડૉક્ટર ને પોતાને ત્યાં જોઈન કરવા માટે લેટર મોકલાઈ ચૂકી છે પણ ડૉક્ટર બીજે ક્યાંય જવા તૈયાર નથી. હા દર્દી માટે એ ગમે ત્યાં ટ્રાવેલ કરે પણ એમ નો પ્રાણ તો વસેલો છે અહીંયાં આ હૉસ્પિટલ માં જ. કૃષ્ણકાંત પંડિત માં જ.

આ ડોક્ટર નું નામ છે, ડોક્ટર અલી કૃષ્ણકાંત પંડિત. હા તમે સાચું વાંચ્યું. આ હૉસ્પિટલ ના, આ ગામ ના અને આ પંડિત ના પ્રાણ જેમાં વસેલા છે એવા વિશ્વ વિખ્યાત ડોકટર એટલે ર્ડો અલી કૃષ્ણકાંત પંડિત. કૃષ્ણકાંત પંડિતની પત્નીનું નામ યશોદા પંડિત અને એમનું જ નામ અપાયું છે આ હૉસ્પિટલ ને. આ વાત ને તો આજે ૩૦ એક વર્ષના વાણા વીતી ગયા. આ હૉસ્પિટલ ની પાછળ, કૃષ્ણકાંત કાકા ના સદા હસતા રહેતા મુખડા પાછળ ૩૦ વર્ષ પહેલાં ઘટેલી આ ઘટના જ કારણભૂત છે.

એ વખતે પંડિત ની ઉંમર હતી ૪૦ માં પાંચ ઓછા અને યશોદા બેન ૩૦ વર્ષ ના. પંદરેક વર્ષ થઈ ગયેલા લગ્ન ને પણ શેર માટીની ખોટ પુરાતી ન હતી. ખૂબ દેશી ઈલાજ કર્યા. અરે શહેર માં જઈ ઈલાજ સુધ્ધાં કર્યો પણ યશોદા બેન નો ખોળો ના ભરાયો તે ના જ ભરાયો. આમ કર્મચારી પંડિત પણ બાપ દાદા પાસે વારસાગત મિલકત ની ખોટ નહી અને એટલે જ પંડિત વિચારતા કે મારા પછી આ વંશ કેમ આગળ વધશે ? પોતે યશોદા બેન ને ઓછું ના આવવા દેતા પણ અંદર થી એમનું કાળજું રડતું. ગામ પંડિત ને ખૂબ મન આપતું પણ પણ એમની પાછળ બાળકો ન હોવા ના મેણાં મારતા.

ગામના મોઢે તો ડૂચા ય કેમ મારવા ? એક વાર મંદિર થી બંને ઘણી ધણિયાણી પાછા આવતા કે કોઈ પાછળ થી બોલ્યું જો વાંઝિયાની જોડી જાય. યશોદા બેન થોડા દૂર હતા એટલે ના સંભળાયું પણ પંડિત સાંભળી ગયા.  

બસ એ આઘાત ના જીરવાયો પંડિત થી. નક્કી કર્યું કે આજે તો કૂવો જ વહાલો કરું. મારા મોત પછી વિધવા યશોદા એના પિયર જતી રહેશે. પછી નક્કી કર્યું કે નદી માં પડું અને થોડા ઘણા પૈસા દઈશ એટલે લોકો ને લાગશે કે પૈસા માટે કોઈ એ પંડિત ને ધક્કો દઈ દીધો. અને પછી કદાચ મને બિચારો ગણી થોડા દિવસ માં ભૂલી જશે.

નદી, પંડિત ના ઘર થી ખાસ્સી દૂર હતી. રસ્તા માં ગામ નું મંદિર, પંચાયત, શાળા અને બીજું ઘણું બધું આવ્યું. પંડિત આ બધી વસ્તુ ને છેલ્લી વાર જોતા હોય એમ ભારે હૃદયે નીકળ્યા. ઘરે થી નીકળતા યશોદા બેન સામે નજર મિલાવવાની એમની હિંમત ક્યાંથી ચાલે. એમ ને યશોદા બેનની ચિંતા પણ થઈ. એકાદ ક્ષણ માટે તો એમ ને થયું કે એ વિચાર જ માંડી વાળ્યો. ગામ ની શેરીઓ, જેમાં પોતે રમી ને મોટા થયા હતા, એ બધી જ દુકાનો જેમાં થી એમણે પ્રસંગોપાત પોતાના માં બાપ કે યશોદા સાથે ખરીદી કરી હતી. એકાદ ક્ષણ માટે તો પોતાનો નિર્ણય બદલવાનું મન થઈ આવ્યું. ત્યાંજ નાના બાળકોની કપડાંની દુકાન જોઈ ને એ મેણું પાછું યાદ આવી ગયું અને ઝડપથી નદી તરફ જવા લાગ્યા. 

નદી તરફ આવતા ફાતિમા બાનુંનું ઘર આવ્યું. ફાતિમા બાનું પોતાના ૫ વર્ષ ના બાળક સાથે રહેતા હતા. એમ ના પતિ અકસ્માત માં મૃત્યુ પામ્યા હતા. એકલા રહેતા ફાતિમા બાનું ખૂબ સારા સ્વભાવના હતા. એમના શાંત અને મળતાવડા સ્વભાવને કારણે બહુ જલ્દી એ ગામમાં હળીમળી ગયા. એ પોતાના ઘરની બહાર જ સીવવા નું મશીન ચલાવતા. આખા ગામ ના સીવવાના જુના કપડાં એમ ના ઘરે જ આવતા.

ઘરની બહાર ખાસ્સી ભીડ જમા થઈ હતી. અંદર થી ધૂમાડા ના ગોટા નીકળતા હતા. રોવા કકળવાનો અવાજ આવતો હતો. ટોળે ટોળા જમા થયેલા હતા. અંદર આગ લાગેલી હતી. લોકો કામળા ધાબળા લઈને ભેગા થયેલા પણ કોઈ ની અંદર જવાની હિંમત ન હતી. ભગવાન નો સંકેત હોય એમ પંડિત ને આત્મસ્ફૂર્ણા થઈ મારે તો મરવું જ છે તો ચાલ ને આગમાં જ ઝંપલાવુ. મારા લીધે કોઈ બચે તો મને થોડું પુણ્ય મળશે અને આત્મહત્યાનું પાપ નહીં લાગે. વળી ગામ ના લોકો મારા વાંઝિયા હોવાનું ભૂલી મને આ ત્યાગ માટે યાદ કરશે.

આમ વિચારી પંડિત ઘર માં પ્રવેશ્યા. અંદર જોયું કે ફાતિમા બાનું નું ભડથું થયેલું શરીર પડયું હતું. કપડાંના કારણે આગ ખૂબ પ્રસરી હતી અને એટલે જ કાબૂ બહાર ગઈ હતી. એમણે જોયું કે રસોડામાં માટલા પાસે ૫ વર્ષ નું ભૂલકું બૂમો પાડતું હતું. જેવા પંડિત બાળક પાસે પહોંચ્યા કે બાળક એમ ને વળગી પડયું અને પંડિતના હૃદયમાં એક સવેંદના નું મોજું ફરી વળ્યું એમના રોમટા ઊભાં થઈ ગયા. પંડિત ભૂલકા ને કામળો ઓઢાડી બહાર લઈ ગયા.

લોકોના આશ્રય વચ્ચે પંડિત કે બાળક ને એક ઉઝરડો પણ ના પડ્યો. પંડિત બાળક ને નીચે ઉતારી ત્યાં ઉભેલી મહિલાઓને સોંપે છે. લોકો પંડિત ના વખાણ કરે છે અને એમ ને કઈ થયું તો નથી એવી પૂછપરછ કરે છે અને પંડિત બધા ની નજર થી પોતાને બચાવતા ટોળામાંથી બહાર નીકળવા જાય છે કે ત્યાં એમ ને લાગે છે કે કોઈ એમ ને રોકી રહ્યું છે. એ જુવે છે તો ૫ વર્ષ નો અલી જેને એ આગમાંથી બહાર લાવ્યા હતા એ એમના પગ ને વીંટળાઈ ને એક હાથે એમની ધોતી ખેંચી રહ્યો છે.

પંડિતનું મન પીગળી ગયું. એમ ને આ બાળકમાં કાનુડાના દર્શન થયા. એ નીચે બેસી ગયા અને ભેટી પડ્યા બાળક ને. બંને મન ભરીને રડ્યા. બાળક અને પિતા બંને એ એક બીજા ને પામી લીધા હતા અને આ આંસુ તૃપ્તિના હતા. ફાતિમા બેનનું અલ્લાહ ને પ્યારા થવું અને પંડિત નું અલી માટે જીવતા રહેવું એ ભગવાન અને અલ્લાહ બંનેની મરજીથી થયું અને અલીનું ભાગ્ય હવે પંડિતના હાથમાં હતું. એટલે જ પંડિત ના પગ રોકાઈ ગયા.

પંડિત એમ ના કાનુડા ને લઈને ને યશોદા પાસે આવ્યા. એમ ને યશોદા ને કહ્યું આ આજ થી તારો કાનુડો. ત્યારે નાનકડો અલી બોલ્યો,”મારુ નામ અલી છે”. યશોદા તરત જ બોલ્યા, તો તું આજથી અલી કૃષ્ણકાંત પંડિત. બસ એ ઘડી અને આજનો દિવસ. આ ત્રણેય જણ એક બીજા માટે જીવે છે. આ ઘર જ એમ નું ગોકુલ છે.

હા કેટલાય વર્ષ સુધી અલી રાત્રે ઊઠી ને જાગી જતો પણ ત્યારે પંડિત અને યશોદા એને સોડમાં લઈ લેતા. આગ થી ડરતાં અલી ને બર્ન સર્જન બનાવાનો નિર્ણય પંડિતનો હતો. પંડિત વારે વારે અલી ને પોતાના ડર નો સામનો કરવાનું કહેતા. અલી ને યાદ છે કે એને આગમાંથી પંડિતે બચાવ્યો છે અને એટલેજ પંડિત નું સપનું પૂરું કરવા અલી ખૂબ મોટો બર્ન સર્જન બને છે. અલી ભણવામાં હોશિયાર હતો. પૈસાની છૂટ હતી. જયારે એ બર્ન સર્જન બની ને ગામ માં હૉસ્પિટલ ખોલવાનો નિર્ણય સંભળાવે છે ત્યારે પંડિત ને પોતાનો આદરેલો યજ્ઞ પૂરો થયો એવી અનુભૂતિ થાય છે.

આજે પણ જે દિવસ અલી એમની જિંદગીમાં આવ્યો એ દિવસે,દરગાહમાં ફાતિમા બાનું ના નામની ચાદર ચઢાવાય છે. પંડિત અને અલી બેય સાથે જાય છે. પંડિત આ દિવસ ખાનગીમાં ભગવાનની માફી પણ માંગે છે, પોતાના આત્મહત્યા ના વિચાર માટે. અને ભગવાનનો, પોતાને અલી આપવા માટે ખૂબ ખૂબ આભાર માને છે. એ દિવસે અલી કૃષ્ણકાંત પંડિત નો જન્મ દિવસ પણ મનાવવામાં આવે છે.

જો ૬ વાગ્યે અલી હૉસ્પિટલમાં હોય તો અજાનના સમયે મંદિરની બાજુ માં જ આસન પાર નમાજ પઢે છે અને ૬.૪૫ હાજર હોય તો ગણેશ જીની આરતીમાં પણ ભાગ લે છે, હા અલી ને આરતી મોઢે આવડે છે. આ ગોકુલ ગામમાં રાધા માટે શોધ ચાલુ છે, કોઈ યોગ્ય કન્યા હોય તો કહેજો અલી કૃષ્ણકાંત પંડિતની પત્ની બનવા માટે. ધર્મનો બાધ નથી.

સમાપ્ત 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy