સ્મિત
સ્મિત
સુહાસ ખૂબ જ શ્રીમંત હતો. ધંધામાં મળેલી ઓચિંતી સફળતાને કારણે તેની પાસે અઢળક સંપતિ ભેગી થઈ હતી. સુહાસ ખૂબ વૈભવી જીવન જીવતો હતો. તેના ઘરની સજાવટ ખૂબ જ સુંદર હતી. તેનું ઘર અદભુત રાચરચીલા અને પ્રાચીન વસ્તુઓથી શોભતું હતું.
આવા આલીશાન ઘરમાં પ્રવેશનાર મહેમાનનો ધાક તે ઘડીએ જ ગાયબ થઈ જતો અને તેના મુખમાંથી સરી પડતું કે, “સુહાસભાઈ, તમારું ઘર એ ઘર નહીં પરંતુ સ્વર્ગની પ્રતિકૃતિ સમું છે.”
એક દિવસ બન્યું એવું કે,
સુહાસ જયારે તેના ઓરડામાંથી બહાર આવ્યો ત્યારે તેની દીકરી આશ્લેષા એક ખૂણામાં દડો રમી રહી હતી. આશ્લેષા જ્યાં રમી રહી હતી ત્યાં મોંઘો ગુલદસ્તો ગોઠવેલો હતો. આ જોઈ સુહાસનો ગુસ્સો સાતમાં આસમાને ગયો, “અરે ! ડફોળ, ત્યાં શું કરે છે ? કેટલીવાર તને કહ્યું છે કે બંગલાના ગુલદસ્તા અને મૂર્તિઓથી આઘી રહે.”
સુહાસને આમ ઓચિંતો આવેલો જોઈ આશ્લેષા ખૂબ ડરી ગઈ. સુહાસની રાડથી બાજુના ઓરડામાં ઊંઘી રહેલા તેના પિતાજી વિલાસભાઈ પણ ઝબકીને જાગ્યા. શું થયું એ જોવા, તેઓ બહાર દોડીને આવ્યા.
સુહાસ ગુસ્સામાં બોલી રહ્યો હતો, “આશ્લેષા, તને આ પ્રાચીન વસ્તુઓ અને ગુલદસ્તાની કિંમત ખબર છે ?”
વિલાસભાઈએ શૂન્યમનસ્કપણે ચોમેર નજર ફેરવી. એ ઘરના ખૂણે ખૂણે ગુલદસ્તા અને દીવાલે દીવાલે સુંદર મૂર્તિઓ હતી. બિચારી આશ્લેષા રમવા જાય તો જાય ક્યાં ! જે ઘર બીજાઓને સ્વર્ગ સમું હતું તે જ ઘર તેમાં રહેનાર માટે જેલ સમું હતું !
સુહાસ બોલ્યે જતો હતો. : “મૂરખ, તને કેટલી સમજાવી કે ઘરમાં રમીશ નહીં પરંતુ તું સમજવા તૈયાર જ નથી. ડફોળ, એકની એક વાત તને કેટલીવાર કહેવાની ?”
આશ્લેષા સુહાસને ટગર ટગર જોઈ રહી. આનાથી સુહાસ હજુ રોષે ભરાયો અને તેણે એક જોરદાર લાફો આશ્લેષાને ચોડી દીધો. બિચારી આશ્લેષા રડતી રડતી ત્યાંથી જતી રહી.
આ જોઈ વિલાસભાઈથી ન રહેવાયું, “તેઓ તાડૂકી ઉઠ્યા. સુહાસ આ તેં શું કર્યું ?”
“પિતાજી, જ્યારથી કોરોનાને લીધે સ્કૂલો બંધ થઈ છે. ત્યારથી આશ્લેષા દિવસેને દિવસે બગડતી જાય છે.”
“અને તું ભાન ભૂલી ગયો છે. તારી અક્કલ ઠેકાણે નથી.”
“પિતાજી !”
“હા બેટા, જો એ હોત તો આ કોરોનાની વૈશ્વિક મહામારીમાં તું આશ્લેષાને ઘરની બહાર જવાનું કહેત જ નહીં !”
સુહાસ સ્તબ્ધ ઊભો રહ્યો.
બહાર ચાલી રહેલી ધાંધલીથી સુહાસના માતા રમીલાબેન અને પત્ની સરલા પણ દોડી આવ્યા.
વિલાસભાઈ આગળ બોલ્યા, “એક નિર્જીવ વસ્તુ માટે તેં આશ્લેષાને લાફો ચોડી દીધો ! બેટા, કુત્રિમ વસ્તુઓ તૂટી જાયને તો તેં ફરીથી જોડાઈ શકે છે. પરંતુ જો દિલ તૂટી જાયને તો તેને ફરીથી જોડવું ખૂબ જ મુશ્કેલ છે. આ કોરાનામાં આપણને એકબીજાના હૂંફની જરૂરિયાત છે. તને ખબર છે ? જેની હ્યુમિનિટિ પાવર વધારે હોય છે તેનો કોરોના વાળે વાંકો કરી શકતો નથી. અને તું જાણે છે કે આ હ્યુમિનિટિ પાવર ક્યાંથી વધે છે ? એકબીજાના પ્રેમ અને સહવાસની હૂંફથી. ખરે ટાણે આ કરોડો રૂપિયાની વસ્તુઓ તારા કામમાં નહીં આવે. પરંતુ કામ આવશે તારા આત્મીયજનના ચહેરા પરનું એક સ્મિત. આજે આપણે સહુને એકબીજાના પ્રેમ અને હૂંફની જરૂર છે. આશ્લેષા આજે તારા કારણે રડી રહી છે. તેની આત્મા ચૂંથાઈ અને પીડાઈ રહી છે. જા એને જઈને સાંત્વના આપ. જરૂર પડે તો તારી દીકરીની માફી માંગ. કારણ સમય ખૂબ કઠીણ છે. આજે સવારે જોયેલો વ્યક્તિ સાંજે અવસાન પામે છે. આવી પરિસ્થિતિમાં કોઈને કડવા વેણ સંભળાવતા આપણને જ પાછળથી પસ્તાવો થાય છે કે એ દિવસે મેં તેનું દિલ કેમ દુભાવ્યું હતું. આગળ જતા આવા ઢગલો ગુલદસ્તા તું ખરીદી શકીશ. પણ કોઈ બજારમાં તને કોરોનાથી મૃત પામેલા સ્વજન પાછા નહીં મળે. જા જઈને સંભાળી લે આપણી આશ્લેષાને.”
“પિતાજી, મને માફ કરી દો. આજકાલ ધંધો બંધ છે તેના લીધે મારું મગજ ઠેકાણે નહોતું. અને માટે જ મેં બધો રોષ આશ્લેષા પર ઉતાર્યો.”
“બેટા, તારો રોષ આમ કોઈના પર ઉતારીશ નહીં. નહીંતર જિંદગીભર ખુદને દોષ દેતો રહીશ.”
એ દિવસ પછી સુહાસ સુધરી ગયો. એ સહુ સાથે હળીમળીને રહેવા લાગ્યો. ધંધાની ચિંતા છોડી હવે તે તેના માતાપિતા, પત્ની અને દીકરીની કાળજી લેવા લાગ્યો. દીકરીનું ઘરમાં મન લાગે એટલે તે તેના માટે એક બિલાડી પણ લઈ આવ્યો. હવે આશ્લેષા આખા ઘરમાં એ બિલાડી સાથે રમતી. ક્યારેક ક્યારેક તેમની ધમાચકડીને કારણે એકાદ ગુલદસ્તો પડીને તૂટી પણ જતો.
આ જોઈ સુહાસની પત્ની સરલા તેને મજાકમાં પૂછતી કે, “તમે આશ્લેષાને કશું બોલતા કેમ નથી ?”
સુહાસ હસીને બોલતો, “સરલા, એ ગુલદસ્તા કરતા કંઈ કેટલુય ગણું કિંમતી છે મારા દીકરીના ચહેરા પર ફરકી રહેલું સ્મિત.”