સચ્ચાઈ
સચ્ચાઈ
ઉમંગીનાં લગ્નને હજુ છ મહિના જ થયા હતાં ત્યાં તેના પતિ અવિનાશની કારનો એક્સિડેન્ટ થયો અને અકસ્માત એટલો ગંભીર હતો કે અવિનાશને હોસ્પિટલ લઈ જવાનો પણ સમય ના રહ્યો. તે જ જગ્યાએ તેણે અંતિમ શ્વાસ લઈ લીધો. આમ મોટું ખાનદાન અને ખોરડું જોઈ મા-બાપે પરણાવેલી ઉમંગીના બધા ઉમંગ પતિનું મૃત્યુ થતાં પતિની ચિતા સાથે રાખ થઈ ગયા.
ગામમાં ઉમંગીનાં સસરાનું નામ મોટા જાગીરદાર તરીકે લેવાતું. એટલે જો દીકરાનું મૃત્યુ પછી જો વહુને પિયર મોકલી આપે તો સમાજમાં વાતો થાય. એટલે એમણે ઉમંગીને સાસરે જ રાખી. અને પોતે સમાજનાં કુરિવાજોમાં બંધાયેલા હોવાથી વહુનાં પુનઃવિવાહનું તો વિચારી જ ન શકે. ઉમંગી પણ પોતાના બધાં ઉમંગો કચડી સાસુ સસરાએ નક્કી કરેલા નિયમો મુજબ હવેલી જેવડાં મોટા મકાનનાં એક ઓરડામાં છેલ્લા એક વર્ષથી એકાંતવાસ ગાળી રહી હતી.
તે દિવસે સાસુ-સસરા અને જેઠાણી કોઈ પ્રસંગમાં બે દિવસ માટે બહારગામ ગયા હતાં. જેઠ તો વાડીએથી કોઈકવાર જ આ હવેલીએ આવતા. એટલે તે દિવસ ઉમંગી એકલી હોવાથી તેણે આખો દિવસ હવેલીનું કામ કરતી ચંપાને હવેલીએ જ રાત રોકી હતી.
પણ તે રાતે અચાનક ઉમંગીનો જેઠ વિજય ઘરે આવ્યો. તે શરાબ અને સુંદરીઓનો શોખીન હતો. આજે આમ ઉમંગીને હવેલીમાં એકલી જોઈ એની એકલતાનો લાભ લઈ લીધો. ઉમંગીએ છૂટવાની ઘણી કોશિશ કરી પણ આ એક વર્ષમાં વૈધવ્યનાં નિતી નિયમોને કારણે નબળું પડી ગયેલ તેનું શરીર વધુ સામનો ના કરી શક્યું. અને,ચંપા પણ બિચારી શું કરે ? તેને વિજયે ધમકી આપેલ કે જો તે કંઈ બોલશે તો તેના પતિ અને દીકરાને મારી નાંખશે.
ઉમંગી એ બહુ વિચાર્યું એને થયું કે આ રીતે તો મારી મજબૂરીનો ફાયદો તો હવે અવાર-નવાર ઉઠાવાશે. અને જો હું કંઈ બોલીશ તો સમાજ મારો જ વાંક કાઢશે. પોતે કોઈનું રમકડું બનવા ના માંગતી હોવાથી ઉમંગીએ હવેલીનાં ચોગાનમાં આવેલ કૂવામાં પોતાની જાત હોમી દીધી.
બધાંએ એમ માન્યું કે વૈધવ્યનું દુઃખ સહન ન થવાથી ઉમંગીએ આત્મહત્યા કરી. પણ સચ્ચાઈ તો ઉમંગીની સાથે કૂવામાં ડૂબી ગઈ હતી.