સૌંદર્યા
સૌંદર્યા
મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીની અંદર બહાર બંને જગ્યાએ ભીડ જામેલ હતી. આમ તો આ આર્ટ ગેલેરીમાં અવનવા કલા પ્રદર્શન યોજાતા જ હોય છે. જે પ્રદર્શન નિહાળવા કલારસિકોની આવન-જાવન રહેતી જ હોય છે. પરંતુ વર્ષમાં બે વખત તો આ જગ્યાએ જાણે કલારસિકોનો મેળો ભરાયો હોય તેવું વાતાવરણ રહેતું.
આ કલારસિકોનો મેળો ભરાવવાનું મુખ્ય કારણ રહેતું ચિત્રકાર સૌંદર્યાના ચિત્રોનું પ્રદર્શન. છેલ્લા પાંચ વર્ષથી સૌંદર્યા આવા પ્રદર્શનનું આયોજન કરતી હતી. તેનાં પ્રદર્શનની એક ખાસિયત હતી કે પોતાનાં બનાવેલ બહુ જૂજ ચિત્રો વેચાણ માટે રાખતી. પરંતુ તેનાં બનાવેલા ચિત્રોમાં એ એવી કરામત કરતી કે નિર્જીવ ચિત્રોમાં જાણે પ્રાણ પૂર્યો હોય. તેણે દોરેલા બરફાચ્છાદિત પર્વતોના ચિત્રોમાં બરફમાંથી પરાવર્તિત થતાં સૂરજના કિરણોનાં રંગોનું એ એવું મિશ્રણ કરતી, એ ચિત્ર જોઈને એવું જ લાગતું જાણે આપણે રૂબરૂ એ પર્વત સામે ઊભા છીએ. તેણે બનાવેલ કોઈ રૂપસુંદરીનું કે કોઈ બાળકનું ચિત્ર જોઈ લાગતું કે તે હમણાં આપણી સાથે બોલવા લાગશે. તે કોઈના મુખ પર રહેલી પીડાનાં ભાવ પણ આબેહૂબ રેખાંકિત કરતી, કે તે વ્યક્તિની પીડાનો આપણે અહેસાસ કરી શકીએ.
સૌંદર્યાનાં ચિત્રોથી પોતાનો દિવાનખંડ અને ઑફિસ સજાવવી, એ કલારસિકો અને મોટા ઉદ્યોગપતિઓ માટે એક પ્રતિષ્ઠા કહેવાતી. સૌંદર્યા જે આટલાં સરસ ચિત્રો બનાવતી હતી, તેને આજ સુધી કોઈએ જોઈ નહોતી. આ પાંચ વર્ષમાં તે કોઈ દિવસ લોકો સામે નહોતી આવી. લોકો ફ્ક્ત તેને તેના ચિત્રો અને નામથી જ ઓળખતા હતા. આટલાં વર્ષોમાં તેનાં ચિત્રો જોઈ લોકો ને સૌંદર્યાને જોવાની પણ ખૂબ જ ઈચ્છા હતી. આખરે પોતાના ચાહકોની ઈચ્છાને માન આપી સૌંદર્યા તે દિવસે પાંચ વર્ષમાં પહેલીવાર પોતાના ચિત્રોનાં પ્રદર્શનમાં ઉપસ્થિત રહેવાની હતી. એ માટે જ તે દિવસ આર્ટ ગેલેરી પાસે બમણી ભીડ હતી.
થોડીવારમાં એ ભીડને ચિરતી એક કાર આવી. આ કારના કાચ ઉપર જ સૌંદર્યાનું નામ લખાયેલ હતું. લોકોને ખ્યાલ આવી ગયો કે, આ કારમાંથી સૌંદર્યા જ બહાર આવશે. લોકો ઉત્કંઠાથી તેને જોવા ઊભા રહી ગયેલા. જેવી સૌંદર્યા એ કારમાંથી બહાર નીકળી, ત્યાં જ લોકો કુદરતે સૌંદર્યા સાથે કરેલ કરામતને જોતાં જ રહી ગયાં.