સોનાની જાળ
સોનાની જાળ
રવિ મોહનશેઠની દુકાનમાં હિસાબ-કિતાબ સંભાળતો. ઘણીવાર કામસર મોહનશેઠ તેને પોતાની હવેલી પર પણ મોકલતા. રવિ જ્યારે હવેલી પર જતો ત્યારે હવેલીના પ્રવેશદ્વાર ઉપર જ આવેલો ઝરૂખો તેને બહુ જ ગમતો. કારણ કે એ ઝરૂખામાં એટલાં સરસ પક્ષીઓ કલબલાટ કરતાં રહેતાં. આ પક્ષીઓમાં એક રંગબેરંગી ચકલી પણ રહેતી. જે એક ક્ષણ પણ નિરાંતે બેસતી નહીં. સતત કલબલાટ કરતી રહેતી. શેઠની દીકરી સોના પણ આ ચકલી જેવી જ હતી. તે ઝરૂખામાં આખો દિવસ એ ચકલી જોડે રમત કર્યા કરતી. રવિને આ ચકલી બહુ જ ગમતી, પણ તેને ખબર હતી કે આ ચકલી તો સોનાનાં પાંજરામાં જ શોભે. આપણે તો તેને દૂરથી જોઈને જ રાજી રહેવાનું.
થોડાં દિવસોમાં શેઠની દીકરી સોનાનાં લગ્ન શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના દીકરા સાથે થઈ ગયા. તે હસતી રમતી સાસરે જતી રહી. તેનાં ગયાં પછી પેલો ઝરૂખો સાવ સૂનો થઈ ગયો.
રવિ જ્યારે પણ હવેલીએ જતો ત્યારે અચૂક પેલાં ઝરૂખા પર જોતો, પણ હવે ના'તો પેલી ચકલી ત્યાં હોતી કે ના'તો સોના.
થોડાં મહિનાઓ બાદ ઘણાં સમય પછી તે દિવસે રવિને શેઠની હવેલીએ જવાનું થયું. હવેલીના પ્રવેશદ્વાર નજીક જતા જ તેની નજર પેલાં ઝરૂખા પર ગઈ. તે દિવસે ઝરૂખામાં ચકલી અને સોના બન્ને હતાં, પણ પેલો કલબલાટ નહોતો. એમને જોઈ એવું લાગી રહ્યું હતું જાણે કોઈ શિકારીની જાળમાંથી માંડ માંડ છટકીને ના આવ્યા હોય ? હજુ પણ તેમનાં હાવભાવ કોઈથી ડરેલા હોય તેવાં જ હતાં.
આ જોઈ રવિ મનમાં જ બોલ્યો આ સુંદર ચકલીઓને પણ જલ્દી તૂટતી દોરીની જાળ કે સાદું પાંજરું નથી ગમતાં. તેને પણ તો ક્યારેય ના તૂટે તેવી સોનાની જાળ અને સોનાનું પિંજર જ ગમે છે. તેઓને લાગે છે કે એ સોના દ્વારા પોતાની સુંદરતા ઓર દીપી ઊઠશે, પછી ભલે ને એ પોતે શિકારીનો ભોગ બની પોતે પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે તો પણ.