સાચી શ્રદ્ધાંજલિ
સાચી શ્રદ્ધાંજલિ
" મિતાલી, તું મારી લાગણીઓને સમજવાનો પ્રયત્ન તો કર. હું તારા વગર નહીં રહી શકું."
સાગરના વિશાળ પટ ઉપર દૂર અસ્ત થતા સૂર્ય સાથે જ આલોકના મોંઢે બોલાયેલા શબ્દો જાણે ડૂબતા સૂર્યની આછેરી લાલાશને પણ જાણે ઘોર અંધકારમાં ફેરવી દીધા હતા.
" બસ તું હવે મને ભૂલી જા એ જ ઉપાય છે. હું હવે તારી દુનિયામાંથી ખૂબ દૂર ચાલી જવાની છું, જ્યાં મારી બધી જરૂરિયાતો પૂરી થશે. તું પણ તારી જિંદગીમાં આગળ વધી જજે."
આટલું બોલીને મિતાલી ઝડપથી ચાલવા લાગી. એનો હાથ પકડીને એને રોકવાનો વ્યર્થ પ્રયત્ન આલોકે કર્યો પણ મિતાલી એની સામે જોવા સુદ્ધા પણ નહોતી માંગતી અને એ જતી રહી.
આ ઘટનાને તો પાંચ વર્ષ પસાર થઈ ગયા. જેના માટે મિતાલીએ આલોકને છોડ્યો એ અમીરાત પામવા માટે આલોકે દિવસ રાત એક કરી દીધા. એણે વિદેશમાં જઈ કંપની શરૂ કરી. જે આજે અનેક દેશોમાં વિખ્યાત બની ચૂકી હતી. એણે બધું જ મેળવી લીધું પણ આલોક જેટલો રૂપિયાથી માલામાલ હતો એટલો જ એ ભીતરથી ખાલી હતો. એ મિતાલીના ભૂલી શકતો ન હતો. બસ એક વાર મિતાલીને મળી એને બતાવી દેવું છે કે, " જો આ સઘળુ મેં હાંસલ કરી લીધું છે બોલ તારે આ જ જોઈતું હતું ને."
એ વિદેશથી ભારત આવવા માટે નીકળ્યો. ભારત આવી એ મિતાલીના ઘરે પહોંચી ગયો. તો એના ઘરે તાળું હતું. એણે આજુબાજુ તપાસ કરી તો જાણવા મળ્યું કે," મિતાલીનો પરિવાર તો ચાર વર્ષ પહેલા જ આ ઘર વેચીને જતો રહ્યો. દીકરી મિતાલીની માંદગીનો ખર્ચ પૂરો કરવા એમણે બધું જ વેચી નાખ્યું પણ.. છેલ્લે પણ તેઓ મિતાલીને..."
" શું થયું મિતાલીને....? બોલો મારી મિતાલીને શું થયું...?"
" દીકરા મિતાલીને કેન્સર હતું અને એ હવે આ દુનિયામાં નથી. એના મમ્મી પપ્પા હવે કોઈ ભાડેના ઘરમાં રહે છે.
તમે મને એના ઘરનું એડ્રેસ આપો એમ કહી એ પડોશી પાસે સરનામું લઈ એના માતાપિતા પાસે પહોંચી ગયો. જેવો મિતાલીની માતાએ દરવાજો ખોલ્યો ત્યાં તો સામેની દિવાલ ઉપર મિતાલી જાણે હસીને એનો આવકાર કરતી હોય એવું એને પ્રતિત થયું. મિતાલીના માતા પિતા આલોકને જોઈ એને ભેટી ખૂબ રડ્યા અને મિતાલીએ આલોક માટે લખેલો અંતિમ સમયે કાગળ એના હાથમાં મૂકે છે. મરતા પહેલા મિતાલીએ આલોકની સઘળી વાત એના માતાપિતાને કરી દીધી હતી.
આલોક એ કાગળ લઈ એ જ દરિયા કિનારે પાછો પહોંચ્યો જ્યાં એની મિતાલી સાથે છેલ્લી મુલાકાત થઈ હતી. તે કાગળ ખોલી વાંચે છે જેમાં મિતાલીએ લખ્યું હતું,
" મારા પ્રિય આલોક, હું તને ખૂબ પ્રેમ કરું છું. તારું મારા જીવનમાં આગમન, એ જાણે કે એક અનોખી ઘટના સમાન હતું. આપણો બંનેનો પ્રેમ એ શુદ્ધ અને પવિત્ર છે. પણ મારી આ માંદગીને કારણે હું તને કમજોર પડવા દેવા નથી માંગતી. તારી સાથે છેલ્લી મુલાકાતમાં કરેલું એ નાટક એ મારા જીવનનું આખરી નાટક હતું. મારા જીવનનો પડદો હવે ગમે ત્યારે પડી જવાનો હતો અને એટલે તું જીવનમાં સફળ થાય એ માટે થઈ મેં તને છોડવાનું નાટક કર્યું. બસ હવે આ જીવનમાં હું તારી સાથે ન રહી શકી તો શું થયું આવતા દરેક ભવમાં હું તારી સાથે રહીશ. મને ખાતરી છે કે એક દિવસ તું એક મોટો વ્યક્તિ બની મને શોધતો શોધતો મને મળવા જરૂર આવીશ અને એટલે જ આ પત્ર મેં મારા અંતિમ સમયે મારા મમ્મી પપ્પાને આપ્યો હતો. તું જીવનમાં ખૂબ આગળ વધજે. અને મને ભૂલી એક નવી જિંદગી શરૂ કરજે.
લિ.
તારી જ મિતાલી "
આલોક પત્રને ભેટીને ખૂબ રડ્યો. પછી અચાનક એની ભીતર ઝબકાર થયો હોય એમ જાણે સૂર્યાસ્ત થવા પહેલા જ દિવ્ય પ્રકાશ પથરાયો. આલોકે તેજ ક્ષણે મનોમન આ સંસારી જીવન ત્યજી પોતાની સઘળી મિલકત મિતાલીના માતાપિતા અને ગરીબોને દાન કરી મિતાલીને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો મનોમન નિર્ણય કર્યો, પોતે બ્રહ્મચર્યનું વ્રત લઈને આગળની જિંદગી પ્રભુ સેવામાં સમર્પિત કરવાના નિર્ધાર સાથે એ માર્ગે જવા તૈયાર થયો. ને જાણે મિતાલી પણ એની સાથે એ જ માર્ગે કોઈ દિવ્ય તપસ્વિની બની ગઈ હોય એવો એને ભાસ થયો. બીજી સવારે સમાચારપત્રમાં પ્રસિદ્ધ થયેલ સમાચારે સૌ કોઈને આલોકના આ નિર્ણયથી આશ્ચર્યમાં મૂકી દીધા. પણ આલોક સર્વસ્વ અર્પણ કરી નિરાકારી બ્રહ્મમાં લીન બની બ્રહ્મચર્ય જીવનનું આચરણ કરવા તરફ આગળ ગતિ કરવા નીકળી ગયો.