રામ સ્મરણ અને અસુરોનો ઉદ્ધાર
રામ સ્મરણ અને અસુરોનો ઉદ્ધાર
એકનાથ મહારાજે ભાવ-રામાયણમાં લખ્યું છે કે 'રામ-રાવણનુ યુદ્ધ થતું હતું, ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો. મદદ માટે જયારે રાવણે તેને જગાડ્યો, ત્યારે તેણે પૂછ્યું કે મને કેમ જગાડ્યો ?'
રાવણ કહે છે, 'સીતા માટે યુદ્ધ થાય છે, એટલે તારી મદદ મળે એ માટે તને જગાડ્યો છે.'
કુંભકર્ણ કહે છે કે 'તું સીતાજીને કેમ લઇ આવ્યો ?'
રાવણ કહે છે કે 'તે બહુ સુંદર છે, તેથી લઇ આવ્યો છું.
કુંભકર્ણ કહે છે, 'તારી ઈચ્છા પૂરી થઇ ?'
રાવણ કહે છે, 'તે પતિવ્રતા છે, મારી સામે નજર ઉંચી કરીને જોતી પણ નથી.'
કુંભકર્ણ કહે છે, 'તું માયાવી રામનું રૂપ ધરી તેમની પાસે જા, તે છેતરાઈ જશે અને તને વશ થશે.'
રાવણ કહે છે, 'મેં તે પ્રયત્ન કર્યો હતો, પણ રામમાં કાંઇ જાદુ હોય તેમ લાગે છે, હું રામનું સ્વ-રૂપ ધરવા જ્યાં તેમના સ્વરૂપનુ ચિંતન કરું છું, ત્યારે મારું મન બદલાઈ જાય છે. મારાં મન-બુદ્ધિ શુદ્ધ થાય છે. સીતા મને માતા સ્વરૂપે દેખાય છે.'
(રાક્ષસોએ જે માયાવી સ્વરૂપ ધારણ કરવું હોય, તે સ્વરૂપનુ ચિંતન સહુ પ્રથમ કરવું પડે છે અને ત્યારે જ તે જે-તે સ્વરૂપ ધારણ કરી શકે છે.)
રામજીના સ્મરણ-ચિંતન માત્રથી રાવણ નિષ્કામ થતો હતો.
કુંભકર્ણ કહે છે, 'જેનું માત્ર ચિંતન કરવાથી કામનો નાશ થાય તે ઈશ્વર. રામ રાજા નથી પણ ઈશ્વર છે. ઈશ્વર સાથે વેર કરનાર તું મૂર્ખ છે, હું તને મદદ નહિ કરું, વિભીષણની જેમ હું પણ રામનો આશ્રય લઈશ.'
ત્યારે રાવણે કહ્યું કે 'રામ સાથે મારી 'વિરોધ-ભક્તિ' છે. મેં વિચાર કર્યો કે એકલો હું રામની ભક્તિ કરું, તો મારા એકલાનું જ કલ્યાણ થશે, આ રાક્ષસો તામસી છે, તે કોઈ દિવસ રામજીનુ નામ લેવાના નથી, રામજી સાથે યુદ્ધ થશે તો તેઓને પણ રામજીના દર્શન થશે અને સર્વનો ઉદ્ધાર થશે, તેમને સદગતિ મળશે. આપણા વંશનુ કલ્યાણ કરવા મેં રામ સાથે વેર કર્યું છે.'