પુસ્તક- લગ્નજીવન
પુસ્તક- લગ્નજીવન
સીમાએ સાહિત્ય અંકનું ઉદ્દઘાટન કર્યું. સમગ્ર દર્શકોએ તાળીઓથી વધાવી લીધી. સીમાએ પ્રથમ પેજ ખોલી સૌને બતાવ્યું. સૌ કોઈ હર્ષની લાગણી અનુભવતાં હતાં કે સીમાને આખરે સફળતા મળી.
સીમા પોતાને આટલું માન સન્માન મળતું જોઈ હરખી રહી હતી. પોતાની આંખોથી હર્ષથી છલકી ઊઠેલાં આંસુઓને લૂછી રહી.
સીમાને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો.
પાંચ વર્ષ પહેલાં પતિ સાથે રહેતી સીમાને વારંવાર પતિની શંકાનો ભોગ બનવું પડતું હતું. પોતે ગમે એટલી ચોખવટ કરે, પણ પતિ કંઈ સાંભળે જ નહીં, અને હાથ આવ્યું એ હથિયારની જેમ
વેલણ, પટ્ટો કે લાકડીથી ઢીબી નાખતો. પોતે અસહ્ય ત્રાસ વેઠી રહી હતી. પોતાનો કોલેજકાળનો શોખ જીવંત કરી બેઠાં બેઠાં કંઈક લખ્યા કરતી હતી. આમ, લખતાં-લખતાં એક નવલકથા તૈયાર થઈ ગઈ.
એક દિવસ ઓચિંતા જ પતિના હાથમાં અમુક પાના આવી ગયા. પતિ સોમેશે એક પાનું વાંચ્યું કે મગજ છટક્યું. સોમેશે પોતાને ઢોરમાર મારી ઘરની બહાર કાઢી મૂકી. સીમા નારી સંરક્ષણ ગૃહમાં આવી.
નારી સંરક્ષણ ગૃહમાં આવ્યા પછી ઘણી નિરાંતે નવલકથાના જે પાના ફાટ્યા હતા, એ પાછા લખ્યા, અને અહીં કેવીરીતે પહોંચી, એ પણ ઉમેર્યું. પોતે લખેલું "લગ્નજીવન" નામનું કાચું પુસ્તક આનંદથી જોઈ રહી. ગૃહમાતાના સહકારથી આ પુસ્તક છપાયું. આ લગ્નજીવન નામના પુસ્તકને લોકોનો ખૂબ ખૂબ સરસ આવકાર મળ્યો હતો.
આજે આ પાંચ વર્ષો દરમ્યાન સીમાએ ઘણાં પુસ્તકો લખી નાખ્યા છે. હવે એક સફળ સાહિત્યકાર તરીકે જે સંસ્થા કે વ્યક્તિ બોલાવે ત્યાં ઉદ્દઘાટન કે પ્રવચન માટે જાય છે. સીમા પોતાને મળેલી આવકનો અડધો ભાગ નારી સંરક્ષણ ગૃહને આપે છે. હવે, સીમા એક અલગ ઘર લઈને સ્વતંત્ર જીવન સ્વમાનથી જીવે છે.
