પ્રેમની મહાનતા
પ્રેમની મહાનતા
સમી સંધ્યાના સમયે એકમેકને નિહાળી રહ્યા હતા બે ચહેરાઓ. જાણે કે, સંધ્યાના રંગને પોતાનામાં સમાવી પ્યારના રંગની સજાવતા ન હોય ! અને જાણે કે સંધ્યાના સૌંદર્યનો ઘુંટે ઘુંટ પીતા હોય તેમ એકબીજાના મુખને નિહાળી રહ્યા હતા. એ હતા પ્રાકૃતિક પ્રેમીને દિલ દીવાના બનેલા બે તડપતા હૈયા. કોણ હતા એ ? એ હતા કવિત અને તૃષ્ણા.
કવિત હતો પોતાના પ્રેમ અને દુઃખને શબ્દો રૂપી વાચા આપતો કવિ. અને તૃષ્ણા હતી કવિતને તેના પ્રેમમાં તડપાવતી તૃષ્ણા અને કવિતની કવિતાની ચાહક, અને તેની દિલ દિવાની.
બંને પ્રેમી પંખીડા પ્રેમ રૂપી ગગનમાં વિહરવા માગતા હતા પણ અફસોસ ! કારણ તેમને સમાજ દ્વારા સ્વતંત્રતારૂપી પાંખો મળી ન હતી. કારણ બંને હતા, અલગ-અલગ વર્ગના. પણ દિલ તો હતા એક આત્માના બે વિભાગ પાડેલા. અને એટલે જ બંને વચ્ચે અસમાનતા હોવા છતાં બંનેના છૂટા પડેલા દિલ ફરીથી એક થઈ જાય છે અને આ જ તેમની મહાન સામ્યતા હતી. કવિત હતો શ્રીમંત મા-બાપનો એકનો એક નબીરો પણ લાગણીવિહીનતામા ઉછરેલો અને છતાં પણ તે કવિ હતો અને તૃષ્ણા હતી મધ્યમ વર્ગની પણ કવિતાની ચાહક, અને કવિત તેમનો પ્રિય કવિ હતો. બંને કવિ સંમેલનમાં અવારનવાર મળી જતા. એક દિવસ તેઓ ખૂબ જ નિકટ આવી ગયા. અને તેમની આ નિકટતા અંતે પ્રણયમાં પરિણમી.
કવિત તેની કવિતાની નાયિકાને જે સ્વરૂપે નિહાળતો હતો. એ નાયિકા તેને તૃષ્ણામાં જોઈ..તૃષ્ણાએ પણ એના સપનાનો સાજન જોતી હતી તેવો જ આ કવિત હતો. બંનેની ધડકનો પણ સરખી હતી અને દિલની આટલી સામ્યતા હોવા છતાં તેણે તેમના પર લદાયેલી અસમાનતાનો સામનો કરવાનો હતો, પણ બંને વચ્ચે દિલની એકતા હતી એટલે જ તેઓ ગમે તેનો સામનો કરવા પડે તો પણ તૈયાર હતા. તેથી જ તેઓ કોઈથી ડર્યા વગર પોતાના પ્યારની રાહે શૂરવીર બની ચાલતા હતા. અને તેથી જ તેને બદનામીના ડામો સહન કરવા પડ્યા. બંને વડીલપક્ષના કાને પણ આ વાત આવી ત્યારે જાણે કે આ નિર્દોષ બેલડીએ બહુ મોટો ગુનો કર્યો હોય તેમ તેમને સજા દેવાની ધમકી અપાઈ ગઈ. તૃષ્ણાના મા-બાપ તેમની લાગણીને સમજી શકે તેવા હતાં તેઓ ક્યારેય તૃષ્ણાને બંધન રાખતા નહીં. પણ સવાલ હતો, ફક્ત કવિતના લાગણીહીન પથ્થર સમા પૈસાને પૂજનારા મા-બાપ નો. એમને વહુ જોઈતી હતી પણ કેવી અઢળક દાયજો લાવે તેવી. અને ફેશનેબલ, મોર્ડન અને તેમની વાહ- વાહ બોલાય તેવી. જ્યારે કવિતને તો તેના મહેલની નહીં, પણ દિલની રાણી બની રહે તેવી અને તેની લાગણી, કલ્પના, સંવેદનાને સમજી શકે તેવી પ્રિયા જોઈતી હતી. અને એટલે જ તેણે પ્રીત સાગરમાં છૂપાયેલા મોતી જેવી તૃષ્ણાને શોધી કાઢી હતી. કવિત તેના મા-બાપનું લોહી હોવા છતાં મા બાપ અને દીકરાના વિચારોમાં કેટલો વિરોધાભાસ ! તૃષ્ણાના મા-બાપને કવિત સાથેના લગ્ન સામે લગીરે વાંધો ન હતો. પણ તેમને એક જ માત્ર ચિંતા રહેતી કે કવિતના શ્રીમંત મા-બાપ તૃષ્ણાને સ્વીકારશે ખરા ! છતાં તેઓ તૃષ્ણાને દુઃખી કરવા નહોતા ઈચ્છતા. તૃષ્ણાને જેમ કવિત તેનો પ્રિય કવિ હતો, તેમ કવિત પણ સાહિત્યની દુનિયામાં ખોવાયેલો અને તૃષ્ણાનો દિલ દિવાનો હતો તેને તો તૃષ્ણા હતી ફક્ત" તૃષ્ણા" મેળવવાની જ. પણ આ દાંભિક સમાજમાં રહેનારા દંભી શ્રીમંત મા-બાપ લાગણીઓનું ખૂન આંખના પલકારામાં કરી નાખે છે. એટલે જ કેટલાયે નિર્દોષ તડપતા હૈયા વિરહાગ્નિમા તડપ્યા કરે છે. આમાંના જ એક કવિતના મા-બાપ પણ કવિતની લાગણીનું ઠંડે કલેજે ખૂન કરી નાખે છે, અને તેની આત્મીયતાને ગૂંગળાવી નાખે છે. અને તેમના સમાજમાં શોભતી શ્રીમંત કુટુંબની એકની એક દીકરી કૃતિ જોડે કવિતનું સગપણ નક્કી કરે છે. અને કવિતની લાગણીઓ નું ખૂન થઈ જાય છે. બિચારી કૃતિ પણ પોતાનું દિલ ક્યાંક ખોઈ બેઠી હોય છે. પણ મા બાપની આબરૂનું ખૂન થઈ જાય. અને પોતે મહાન ગુનેગાર થઈ જાય તો ! તેને જિંદગીભર કલંકી નામની સજા ભોગવવી પડે. અને એ જ બીકે તે પણ કવિત સાથેના સગપણને અવગણી શકતી નથી. બંને વડીલ પક્ષો હર્ષાવેશ માં જ હોય છે. અને પોતાના જેવું જ ઘર મળ્યું કહીને આત્મ સંતોષ માને છે, પણ બિચારા બે તડપતા હૈયાની વિરહાગ્નિનીને કોણ શાંત કરે ? કોણ સમજી શકે ? તેના સેવેલા સ્વપ્નને, અને એટલે જ તૃષ્ણા, કવિત માટે ઝાંઝવાના જળ જેવી "તૃષ્ણા" બની રહી છે. અને કૃતિ તેના પ્રાણ પ્રિયતમ સમા તેજસ માટે એમની શ્રેષ્ઠ કૃતિ બની રહે છે. અને નિર્દોષ પ્રેમનો ખૂની સમાજ આ તડપતા હૈયાની વેદના જોઈ પોતાના વિજયને સર્વશ્રેષ્ઠ માને છે. આમ અહીં ચાર તડપતા હૈયા પોતાની વ્યથા ને દિલમાં ભંડારી નીરસ જીવન જીવે છે. આમ છતાં કવિત અને કૃતિના દિલ અલગ છે, છતાં તેઓ એકબીજાની વાતને સમજી શકે તેવા છે. એટલે જ તેમના જીવનમાં નથી આવતી ભરતી, કે નથી આવતી ઓટ.
ચંચળ કૃતિ કવિત ને પરણી સાસરે તો આવી હતી પણ તેની ચંચળતા, તેનું દિલ, તેનો ઉલ્લાસ બધું જ જાણે તે ભૂલીને આવી હતી જાણે કે, નિર્જીવ કૃતિ આવી ન હોય !
આજનો દિવસ આ નવદંપતી માટે સર્વશ્રેષ્ઠ દિવસ હતો. પરંતુ અફસોસ ! બંને સમાજની દ્રષ્ટિએ જ દંપતી હતા. કવિત જ્યારે તેના સોહાગ રૂમમાં દાખલ થયો ત્યારે તેને બહુ જ આશ્ચર્ય થયું, અને જિજ્ઞાસા થઈ, કે કૃતિ આજના શુભ દિને પણ સજાવેલા પલંગ પર ન બેસતા નીચે કેમ બેસી ગઈ હશે? અને કૃતિ પણ કવિતને વાત કરવાની જ રાહ જોઈ રહી હતી. કવિત કૃતિ પાસે આવીને પ્રશ્ર્ન કરે છે. કેમ કૃતિ, તારા વદન પર હર્ષોલ્લાસનું તેજ નથી ? કવિતના પ્રશ્નથી કૃતિની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે, અને કહે છે કવિત, હું તમારી સાથે અગ્નિ શાખે સાત ફેરા ફરી છું, પણ મારું દિલ તો મારી પાસે છે જ નહીં. તમારે જો દિલ વગરની પત્ની જોઈતી હોય તો જ તમે મારો સ્વીકાર કરજો.
આ જવાબ સાંભળી કવિત ગુસ્સે થવાને બદલે તેની નિખાલસતા પર પ્રસન્ન થઈ જાય છે. અને કૃતિને સંબોધીને કહે છે. કૃતિ, હું પણ દિલ ખોઈને બેઠો છું. મારું પણ આત્મા વગરનું શરીર છે. આમ બંને એકબીજાના પ્રેમપાત્રનો એકરાર કરે છે તે દિવસે જ બંને એકબીજાને કોલ આપે છે. કારણ બંને લાગણી પ્રધાન હતા, અને આત્મીયતાને સમજનારા હતા. એટલે જ એકબીજાને પોતાના પાત્ર મેળવી આપવાના વચને બંધાય છે. ઓહ.... કેટલી મહાનતા.... અને પ્રેમ ખાતર કેટલી કુરબાની..... આ નવદંપતીની.