પૈસાની બોલબાલા
પૈસાની બોલબાલા
"નાણાં વિનાનો નાથિયો ને નાણે નાથાલાલ"
આ કહેવત ભીખુ શેઠને બરોબર લાગુ પડતી હતી. હવે તે ભીખલામાંથી ભીખુ શેઠ બની ગયો હતો. તેની જાહોજલાલી વધી ગઈ હતી. તેની પ્રતિષ્ઠા પાંચમા પુછાય તેવી થઈ ગઈ હતી. આ બધી બોલબાલા પૈસાની જ હતી ને!
ભીખલો ગામમાં મન પડે ત્યાં ફરતો રહેતો. મન પડે ત્યાં વાતો કરવા બેસી જાય, ને મન પડે ત્યાં સૂઈ જાય. કોઈકના ખેતરમાં થોડું ઘણું કામ કરી આવે. જે કંઈ પૈસા મળે તેમાંથી તેનું અને તેની નાની બહેનનું ગુજરાત ચાલે. મા બાપ તો હતા નહીં. અને નાની બેનની જવાબદારી તેના ઉપર હતી. આમ તો તે બહુ જ ભલો અને ભોળો માણસ, એટલે બધા તેના ભોળપણનો લાભ ઉઠાવે. પણ જ્યારથી તેને લોટરી લાગી ત્યારથી ગામમાં તેના માન વધી ગયા.
પૈસો હાથમાં આવતા જ ભીખલાના દીદાર ફરી ગયા. અને ધીરે ધીરે તે ગામનો ભીખુ શેઠ બની ગયો. આમેય તે દિલદાર તો હતો જ. તેણે ઘણી જગ્યાએ દાન ધર્મ પણ કર્યા. અને એટલે જ તેના અને તેની બહેનના લગ્ન પણ ઉચ્ચ કુટુંબમાં થઈ ગયા. તેને નસીબ કહેવું કે પૈસાની બોલબાલા.