નિકોલો મેકિયાવેલી
નિકોલો મેકિયાવેલી
એક ફિલસૂફ, જેનું નામ હતું નિકોલો મેકિયાવેલી (1469-1527). 1553માં એણે એક કિતાબ લખી – ‘ધ પ્રિન્સ.
’આ કિતાબમાં મેકિયાવેલીએ પાવર શોધવાના, મેળવવાના, વધારવાના એવા રસ્તાઓ બતાવ્યા જેને જિંદગીમાં ઉચ્ચ મૂલ્યો સાથે કોઇ સ્નાન-સૂતક નો’તું. એણે એવું સમજાવ્યું કે વ્યવહારિક દૃષ્ટિ અજમાવો, લાગણીવેડા અને વેદિયાવેડાથી દૂર રહો. તમારું ધારેલું પરિણામ લાવવા માટે જે કરવું પડે તે કરી નાખો. નમ્રતા નબળાઇની નિશાની છે, દુનિયા આક્રમકતાની કદર કરે છે. નીતિશાસ્ત્ર, નૈતિક સિદ્ધાંતો ફક્ત કાયરો માટે છે. લોકો તમારાથી ડરે, એ તમને પ્રેમ કરે એના કરતાં બહેતર છે.
આપણી ગરવી ગુજરાતી ભાષામાં મેકિયાવેલીનું સમર્થન કરતા અનેક શબ્દ પ્રયોગો છે. આઘુંપાછું કરવું, ઊંધા પાટા બાંધવા, ટલ્લે ચડાવવું, ટાઢા પાણીએ ખસ કાઢવી, બળતામાં ઘી હોમવું, ભીનું સંકેલવું, વખારે નાખવું, શીશામાં ઉતારવું, સોગઠી મારવી, હથેળીમાં ચાંદ બતાવવો, કોણીએ ગોળ લગાડવો, આંખમાં ધૂળ નાખવી, દૂધ-દહીંમાં પગ રાખવો, પેટમાં પેસી પગ પહોળા કરવા. લિસ્ટ અધૂરું છે. મેકિયાવેલિઝમના આશિકો ‘હાઇમેક’ કહેવાય.
આઠ વર્ષના મારા અનુભવમાં મેકિયાવેલિઅનથી સદંતર દૂર રહેનાર મને ભટકાયો નથી. આપણે સૌ, ઓછે-વત્તે અંશે, કામ લેવા, કરાવવા, કઢાવવા, આપણી જરૂરિયાતો પૂરી કરવા, આપણાં લક્ષ્યાંકો સર કરવા, હેતુઓ બર લાવવા મેકિયાવેલિઝમ અજમાવતાં રહીએ છીએ. આજના ભયંકર અનિશ્ચિતતાઓથી છલકાતા માહોલમાં મેકિયાવેલીની ફિલસૂફી એવું માને છે કે પરિણામો જ અગત્યનાં છે અને એ મેળવવા માટે નૈતિક મૂલ્યોનું પૂંછડું પકડી રાખવામાં અક્કલનું અપમાન છે, પણ અનુભવ એવું કહે છે કે લાંબે ગાળે હાઇ મેક, એની કારકિર્દીને અને સંસ્થાને સારું એવું નુકસાન કરી શકે છે. મેકિયાવેલિઅન હાઇ-મેક છેવટે હારે છે કારણ કે એની વિશ્વસનીયતા મરી પરવારી હોવાથી એ અસરકારક કમ્યુનિકેશન કરી શકતો નથી.
સંસ્થામાં રીસોર્સીસ સીમિત હોય, સંદિગ્ધતાનો માહોલ હોય, પરિવર્તનોની ભરમાર હોય, ડરનો માહોલ હોય, ધારેલાં પરિણામો લાવવાનું અસહ્ય પ્રેશર હોય, ઉચ્ચ સ્તરે પોલિટિક્સ ખેલાતું હોય, ખરાબ સમાચારો સંતાડવાનો શિરસ્તો હોય, આવડત વિનાનો શેઠનો સાળો સીઇઓ હોય, પાવરના સમીકરણો બદલાતાં રહેતાં હોય, પરફોર્મન્સ ઇવેલ્યુએશન ટ્રાન્સપરન્ટ ન હોય તો હાઇ-મેક મેદાન મારી જાય. હાઇ-મેકને ઓળખવામાં ખાસ તકલીફ પડતી નથી.