ઈશ્વરનો અવતાર
ઈશ્વરનો અવતાર
મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. મારી હાલત કફોડી થઈ રહી હતી. કોરોના મારા પર હાવી થઈ રહ્યો હતો. મારા શ્વેતકણો એ નિષ્ઠુર કોરોના સામે વિવશ થઈ રહ્યા હતા. મારે મારા આપ્તજનોની હુંફ જોઈતી હતી પરંતુ તેઓ મારાથી દૂર ઘરમાં મારી ચિંતામાં બેઠા હતા. હું નિ:સહાય, લાચાર અવસ્થાએ મોત સામે ઝઝૂમી રહ્યો હતો. મારી આંખો ધીમે ધીમે બંધ થવા લાગી. મને સ્વર્ગનું દ્વાર દેખાવા લાગ્યું. એક દિવ્ય પ્રકાશપુંજ મારી આંખોને આંજી રહ્યું. શું મૃત્યુ બાદ મને સ્વર્ગ નસીબ થયું હતું ?
“દિવાકરભાઈ, આંખો ખોલો. હિંમત હારશો નહીં.”
“યસ યુ કેન ડુ ઈટ”
મેં ધીમેકથી આંખો ખોલી જોઈ, સફેદ વસ્ત્રોમાં કેટલીક ઝાંખી આકૃતિઓ મારી સામે ઊભી હતી. કદાચ તેઓ દેવદૂત હતા ! તેઓ મને હલાવી, થપથપાવી અનેકો સલાહ આપી રહ્યા હતા.
આખરે મારો શ્વાસ ખૂલ્યો. મારા જીવમાં જીવ આવ્યો. ભાન આવતા મેં એ દેવદૂતોને સામે આભારવશ જોયું તો મારી આંખો પહોળી થઈ ગઈ. મારી સામે દેવદૂત સમો ડોક્ટર અને નર્સોનો કાફલો ઊભો હતો. મને જીવડાવવા તેઓ રાતથી મથી રહ્યા હતા. મારો જીવ બચતા તેઓના ચહેરા પર મારા કરતા વધારે ખુશી ઝળહળતી હતી. મેં તેમને આભાર કહેવાનો પ્રયત્ન કર્યો પરંતુ અશક્તિને કારણે મારી જીભ ઊપડી નહીં.
“રીલેક્ષ, દિવાકરભાઈ બોલશો નહીં. આરામ કરો.” આમ કહી ડોક્ટર મારા કપાળ પર સ્નેહથી હાથ ફેરવી ત્યાંથી નીકળી ગયા. તેમના સ્નેહસ્પર્શથી મારું સઘળું દર્દ દૂર થઈ ગયું. કોઈએ સાચું જ કહ્યું છે કે ડોક્ટર હોય છે ઈશ્વરનો અવતાર.