ગુરુ વંદના
ગુરુ વંદના
“તું જ તારો ગુરૂ થાને”
હા આજે હું જે જગ્યાએ છું એ મારા માગૅદશૅક અને જીવનના પથદશૅક એવા મારા પરમ ગુરૂ એવા કેશવ (કૃષ્ણ )ને હું સહૃદયી સ્વરૂપે વંદન કરું છું. મનથી જ એમની પ્રેરણા પામતી રહી છું ને લખતી ગઈ છું એવા ગુરૂને શત્ શત્ નમન.
હા ગુરૂ પરંપરા ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલી છે. સૈકાઓથી લોકોને અંધકારમાંથી ઊજાસ તરફ દોરી જનાર, રાહ બતાવનાર ઘણા સદગુરુઓ થઈ ગયા. હા સમય બદલાતા લોકોને ગેરમાર્ગે દોરતાં, અંધશ્રદ્ધામાં પટકતાં, ચમત્કારીક વાતો દ્વારા સંમોહિત કરીને અજ્ઞાની ભક્તોનું શોષણ કરતાં ગુરૂઓની જાણે હાટડીઓ મંડાણી હોય એવો પણ સમય આવ્યો.
ભગવા ધારણ કર્યા વિના આત્માને શુદ્ધ રાખી ધમૅનું ચિંતન, મનન, અને ધ્યાન- સ્મરણનું મહત્વ સમજાવતાં ગુરૂઓ પણ હતાં. કેટલા ??\ગણ્યા - ગાંઠ્યા આંગળીને વેઢે ગણી શકાય.
આજના યુગમાં શાકની દુકાન કે પાનના ગલ્લાની જેમ વ્યાભિચારી, ઢોંગી અને જેને ઠગભગત પણ કહી શકીએ એવા બની બેઠેલા ગુરૂઓનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. અજ્ઞાની પ્રજા એમની ભક્ત બની બેસે છે પણ આવા બની બેઠેલા ગુરૂઓની લંપટલીલા જ્યારે ભક્તોની સામે આવે છે ત્યારે એજ ભક્તોનું માથું શરમથી જુકી જાય છે. હા સદગુરુનું જીવન, વતૅન, વાણી, અને એમની પ્રવૃત્તિ પણ વંદનીય હોય છે. ભગવાન દત્તાત્રેય તો કેટલાક પ્રાણીઓને પણ પોતાના ગુરૂ માનતા હતા. અરે, એમણે તો વેશ્યાને પણ પોતાની ગુરૂ બનાવી હતી. ૨૪ (ચોવીસ) ગુરૂ બનાવીને દરેકમાંથી કાંઈક નવું શીખવા મળે એજ ભાવના રહી હતી એમની.
ઉદાહરણ તરીકે :- એક કીડીને ગુરૂ માની, તો એમાંથી પણ એજ જ્ઞાન પ્રાપ્ત થયું કે કપરામાં કપરી પરિસ્થિતિ આવે તો પણ હિંમત ના હારવી જોઈએ. પરંતુ એકવાર હારો તો બીજીવાર બેવડી હિંમતથી મહેનત કરો સફળ જરૂર થશો. બસ આજ ગુરૂ. અને આવાજ આપણા થઈ ગયેલા ગુરૂઓની મહિમા અપરંપાર છે.
વેદકાળથી પ્રસ્થાપિત થયેલી અને ચાલી આવતી આ અષાઢી પૂર્ણિમાના દિવસે ઊજવાતી ગુરૂપૂર્ણિમાની પરંપરા છે.
શ્રી રામચંદ્રના ગુરૂ વશિષ્ઠ વિશ્વામિત્ર હતા. શ્રી કૃષ્ણ સુદામાનાં ગુરૂ સાંદિપની હતાં. શ્રી શંકરાચાર્યનાં ગુરૂ ગોવિંદાચાર્ય હતા. શ્રી કબીરના ગુરૂ રામાનંદ હતાં. પાંડવોનાં ગુરૂ શ્રી દ્રોણાચાર્ય હતાં. વિવેકાનંદના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ હતાં. આમ આવા ગુરૂ ઓની પરંપરા અનાદિકાળથી ચાલી આવી છે.
પણ ગુરૂ એજ સાચા હોય જે આધ્યાત્મિક ક્ષેત્રે આત્મામાં પરમાત્માનાં દશૅન કરાવે. “રમણ મહર્ષિ એ કહ્યું છે કે, : ઈશ્વર દશૅન માટે ગુરૂકૃપા જોઈએ અને ગુરૂકૃપા માટે ઈશ્વર કૃપા જોઈએ.“ એક સાચો ગુરૂ ઈશ્વર સમાન છે.
કબીરજી એ સાચું જ કીધું છે કે "પવિત્રતા જળવાય, સદ્ગુણો કેળવાય, આત્મજ્ઞાન થાય, વ્યસનોમાંથી મુક્તિ મળે, પાપ અટકે, કલ્યાણ થાય, એવા શુભ આશય માટે ગુરૂ જરૂરી છે, અને પોતે પણ પોતાના ગુરૂ બની શકીએ છીએ."
આત્મા શુદ્ધ હોવો જોઈએ અને સત્યના માર્ગે ચાલવું જોઈએ. હા પણ સાવધાન ! સ્વાર્થી, અંધશ્રધ્ધાળુ, ઢોંગી, અજ્ઞાની, લાલચુ, પાપી, લંપટ, એવા ગુરૂઓથી ચેતતા રહેવું એની એકના ડબલ કરવાની લાલચમાં સંમોહિત થઈને ફસાવું નહીં.
બસ છેલ્લે એકજ વાત, “ગુરૂ જ વ્યક્તિના જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા ભજવે છે, એક શિલ્પી જેમ પત્થરમાંથી ટાંકણે ટાંકણે એક આબેહૂબ શિલ્પને સજાવે છે તેમજ ગુરૂ આપણા ચારિત્ર્યનું ઘડતર કરે છે.” માટે જ આપણે પણ આવાજ સદગુરૂએ ચીંધેલા માર્ગે ચાલીએ અને તેઓ આપણા ઊપર પ્રસન્ન થાય તેવું આદશૅ જીવન જીવવાનો પ્રારંભ કરીએ.”
“ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ.”
