ગડમથલ - ખબર નથી કેટલી વાર ?
ગડમથલ - ખબર નથી કેટલી વાર ?
શાંતિલાલ વળી પાછા એકવાર અશાંતિના વમળમાં ઘુમરાતી જિંદગીના કાંઠે બેઠા છે.
વળી શું થયું ?.. શાંતિ પૂછે છે..શાંતિ એ શાંતિલાલની પત્ની છે. જીવનમાં ઘણી વાર તો શાંતિલાલ એમ વિચારે કે,મારી જિંદગીભરની અશાંતિનું કારણ આ શાંતિ છે !
પણ શું ખરેખર એમ છે ?
આજ રાત્રે વળી નીંદર વેરણ થઈ ગઈ છે !
શાંતિલાલના એક ભાઈબંધ છે, વિશ્રામ ભાઈ, વિશ્રામ ભાઈ તેમના નામ પ્રમાણે ગુણ ધરાવે છે. એકદમ આરામપ્રિય અને ઓછું ભણ્યા છે પણ ધંધામાં બાળપણથી જ બાપે પલોટ્યા એટલે ગણ્યા બહુ છે.
શાંતિલાલની દરેક વાત બહુ જ આરામથી સાંભળે, અને પછી એક બે દિવસ પછી જો જરૂરી લાગે તો જવાબ આપે નહીંતર, હરિ હરિ !
હા ઘરે આવી રીતે શાંતિ સાથે અલક મલકની વાતો કરે, રસોઈના વખાણ કરે, ઘરમાં સગવડ વધારવા માટે સૂચનો આપે,..પણ એક વાત તો કરે જ નહીં !
શાંતિલાલના યક્ષ પ્રશ્નોના જવાબ આપવાની !..
હેં .હેં...હા..હા!..
શાંતિલાલ અત્યારે પણ મલકી રહ્યા છે, અને તે વિચારે છે કે આખરે આપણે જીવનમાં કયા આધારે નિર્ણય લઈએ છીએ ?
બાળપણમાં આપણે શું કરવું જોઈએ એ તો મા બાપ નક્કી કરે અથવા તો બાપાની કમાણી !..અને તમે ઘરમાં કેટલા નંબરે આવ્યા છો તે !
પછી તો તમે સમજણ વિકસે તેમ તેમ પોતાની મરજી મુજબ,અથવા તો દોસ્ત,કે સગા,વ્હાલાં, ભાઈ, બહેન.. કહે,કે મદદ કરે તે આધારે નિર્ણય લ્યો છો, કે નહીં ?
પછી તો લગ્ન થાય,પત્ની પણ એકંદરે તો પોતાના પિયર તરફ જ નારિયેળ ફેંકે છે, ખરી વાત ને !
પણ તેમ છતાં ય છેવટે તો આપણે આપણાં મનની મરજી મુજબ જ અંદાઝ માંડીને કે કોઈ આવડે તેવી ગણતરીઓ કરી ને જ આગળ વધીએ છીએ ,કે નહીં ?
તો પછી જે કંઈ પણ થાય તેના જવાબદાર પણ આપણે જ છીએ ને !
તેમ છતાં અત્યારે તો શાંતિલાલને લાગે છે કે કોઈક એવી શક્તિ છે જે નક્કી કરે છે કે શાંતિલાલ શું કરશે ?
તમે તેને શું નામ આપો છો ?
કુદરત,સંજોગો,ભણતર,લાયકાત,ધન,શક્તિ, ઓળખાણ,..કે પછી ભગવાન !
કે પછી અંતરઆત્માની અવાજ ?
શું છે આ ?
આ શાંતિલાલની વાતો તમારામાં કંઈ વમળ પેદા કરે છે ?..કોઈ વિચાર વમળ !.. તો એ સાર્થક છે.
