દીપ દાન
દીપ દાન
એક વખત યશોદા મૈયા યમુના નદીમાં દીપ દાન કરી રહ્યાં હતાં. ( આજે પણ યમુનાજીમાં દીપ દાનનું મહત્વ છે.)
પાંદડા પર દીપ પ્રગટાવીને યમુનાજીમાં તરતા મૂકી રહ્યાં હતાં, ત્યારે એમણે જોયું કે કનૈયો એક લાકડીથી બધા દીવાને પોતાની તરફ ખેંચી રહ્યો હતો. આ જોઈને હસતાં હસતાં યશોદા મૈયા બોલ્યા,"કાન્હા, આ શું કરે છે ? મારા તેમજ બીજી માતાઓના દીવાને કેમ તું ખેંચી રહ્યો છે ?"
આ સાંભળીને કાન્હો હસ્યોને બોલ્યો, "મૈયા, આ બધા દીવાઓ પાણીમાં ડૂબી રહ્યાં છે એને હું બચાવી રહ્યો છું. ડૂબતાને બચાવવું તો જોઈએ જ ને !"
યશોદા મૈયા હસ્યા," કાન્હો મારો નટખટ છે. હસતો કેવો લાગે છે. મીઠી ભાષામાં બોલે છે. ને હે નટખટ કાન્હા, તું કેટલા દીવાઓને ડૂબતા બચાવીશ. નિયમ છે કે નદીમાં તરતા દીવાઓ પણ અંતે ડૂબે છે. આ દીપ દાન છે કન્હૈયા. આપણા ગોકુળના લોકોના કલ્યાણ અર્થે બધી ગોપીઓ દીપ દાન કરે છે."
કાન્હો બોલ્યો," હે માતા, જે મારા છે, જે મને વ્હાલા છે, જે મને યાદ કરે છે અને જે મારી પાસે આવે છે, એને જ હું બચાવુ છું. જેને શ્રદ્ધા નથી એને એના ભાગ્ય પર છોડી દઉં છું. જે મારાથી દૂર જાય છે એ એમનું ભાગ્ય ભોગવે છે. બધી માતાઓએ કરેલું દાન મેં ગ્રહણ કરી લીધું છે."
આ સાંભળીને યશોદા મૈયાએ કાન્હાને વ્હાલ કર્યુ.
સાર એ છે કે ઈશ્વર પરની શ્રદ્ધા ટકાવી રાખવી જરૂરી છે. સમર્પિત ભાવના થી કરેલી પ્રાર્થના અને સેવાઓ ઈશ્વર જરૂર યાદ રાખે જ છે.
તારી કૃપા અપાર છે,તારી કૃપા અનંત છે,
પ્રભુ તારા વગર જીવવું કઠીન છે,
સત્ય તો એક જ ઈશ્વર સ્વયં છે,
પ્રભુ તારા વગર જીવવું કઠીન છે.
જય શ્રી કૃષ્ણ.