છૂટ
છૂટ
રતનલાલ શેઠ તેમનાં સમાજનાં અગ્રણી. સમાજનાં મેળાવડામાં ભાષણ આપતાં તેઓ એક વાક્ય અચૂક બોલે, "આપણાં સમાજમાં દીકરીઓને બધું પહેરવાં- ઓઢવાંની અને ભણવાની છૂટ, આવું બધે ન હોય." તેઓનાં વયસ્ક દીકરાના લગ્ન માટે વાત ચાલી રહી હતી. કોઈ પણ છોકરીની વાત આવે અને મુલાકાત ગોઠવાય ત્યારે એ કહે, "અમે અમારી વહુને બધી છૂટ આપીશું. સારી રીતે ઘર સંભાળે એટલે બસ, એને નોકરી કરવાની કોઈ જરૂર નહીં." આવી જ એક મુલાકાત વખતે એક યુવતીએ એમને કહ્યું, "અમારે છૂટ પણ તમે આપો એટલી જ લેવાની ? કોઈને પણ કેટલી છૂટ આપવી એ નક્કી કરનારાં તમે કોણ ? દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર છે."
આ સાંભળી હંમેશાં છૂટની વાત કરનારાં રતનલાલ શેઠનાં હોઠ સિવાઈ ગયાં.