ચાલ જીવા, જીવી લઈએ.
ચાલ જીવા, જીવી લઈએ.
ચાલ જીવા, જીવી લઈએ.
કચ્છની રેતાળ ધરતી પર વસેલું એક નાનકડું ગામ હતું, સુખપર. રણની નજીક હોવા છતાં આ ગામના લોકોના દિલ ક્યારેય સૂકા નહોતા. નામ પ્રમાણેજ સુખપરના લોકો સુખ વહેંચીને જીવતા.
દરેક સવાર ગામની ભાગોળે આવેલા મંદિરમાંથી આવતી આરતીના સ્વર અને ગાયોના ઘંટડાંના નાદથી થતી. સાંજ પડતાં ગામના ચોરા પર લોકો ભેગા હુક્કા પાણી માટે થતા અને એકબીજાના સુખદુઃખમાં સહભાગી બનતા.
કોઈના ઘરે પ્રસંગ હોય કે મુશ્કેલી, આખું ગામ પોતાનું ઘર માનીને ઊભું એક બીજાને પડખે રહેતું.
આ જ સુખપરમાં બે ભાઈઓ રહેતા હતા. મનસુખ અને જયસુખ. બંનેની જોડી લવ-કુશ જેવી અતૂટ હતી. એકને જોઈને બીજાની તરત યાદ આવે એવી તેમની જોડ હતી.
બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી બંનેએ એકબીજાનો સાથ નિભાવ્યો હતો. પિતાએ આપેલી થોડી જમીન અને મોટું આંગણું તેમણે ભગવાનનો પ્રસાદ માનીને સાચવ્યું હતું. એકના ઘરે દુઃખ આવે તો બીજાના ઘરમાં ચિંતા થતી.
મનસુખનો દીકરો શિવો અને જયસુખનો દીકરો જીવો, ઘર જુદા પરંતુ સાથે ઉછર્યા હતા. બંનેમાં એવો પ્રેમ હતો કે લોકો કહેતા,
"આ તો પિતરાઈ નહીં, સગા ભાઈ છે."
પણ ક્યારેક જીવનમાં એવી ઘડી આવે છે, જ્યારે વર્ષોના સંબંધો સામે નાની વાત પણ મોટી દીવાલ ઊભી કરી દે છે.
એ જૂન મહિનાની વાત હતી. ઉનાળાની ગરમી ધીમે ધીમે ઓછી થઈ રહી હતી અને આકાશમાં વરસાદના વાદળો દેખાવા લાગ્યા હતા. ખેતરમાં હળ જોડવાની અને ખેતીની વ્યવસ્થા અંગેની નાની વાત ધીમે ધીમે ચર્ચામાંથી મતભેદમાં બદલાઈ ગઈ.
નજીવી વાતે જીદનું રૂપ લીધું. ઘરની અંદરના અહંકાર, બહારના અદેખા લોકોની સલાહો અને જૂની નારાજગીઓ વચ્ચે વર્ષોનો પ્રેમ દબાઈ ગયો.
અને અંતે વાત આવી પિતાની
મિલકતના ભાગલા સુધી પહોંચી .જયસુખે મન મોટુ રાખી એડીનું જોર લગાવ્યું કે ભાઈ સાથે રહે.
પરંતુ જે આંગણામાં બંને ભાઈઓએ આખું જીવન સાથે વિતાવ્યું હતું, ત્યાં જ એક અદૃશ્ય રેખા ખેંચાઈ ગઈ.
મનસુખે પોતાના ભાગની મિલકત વેચીને શહેર જવાનું નક્કી કર્યું. શિવો પણ પિતાની સાથે શહેર ચાલ્યો ગયો.
અષાઢી બીજના દિવસે, સુખપર છોડતા પહેલાં મનસુખ અને જયસુખ ગામના પાદરે સામસામે ઊભા હતા. બંનેની આંખોમાં ઘણું કહેવાનું હતું, પરંતુ અહંકારના પડદાએ હોઠને બંધ કરી દીધા હતા.
જૂન મહિનામાં થયેલું બંને ભાઈઓનું છેલ્લો મેળાપ , શિવા અને જીવામા મન મા જકડાઈ ચુક્યો હતો..
જયસુખ, હંમેશા મનસુખને પોતાના મોટા ભાઈ નહીં, પરંતુ બાપ સમાન માનતા હતા. તેમણે પોતાનો ભાગ પણ મનસુખને આપી રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વાત હવે સંપત્તિની નહોતી રહી; વાત અહંકાર અને જીદ સુધી પહોંચી ગઈ હતી.
મનસુખના ગયા પછી જયસુખ અંદરથી તૂટી ગયા. તેમને દુઃખ જમીન ગુમાવવાનું નહોતું, પરંતુ ભાઈ ગુમાવ્યાનું હતું. જે ભાઈ વગર એક દિવસની શરૂઆત પણ અધૂરી લાગતી હતી, એ જ ભાઈ હવે ગામ છોડી દૂર શહેરમાં રહેતો હતો.
થોડા જ સમયમાં આ આઘાત તેમના હૃદયે સહન ન કર્યો અને એક દિવસ જયસુખે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી.
જીવા માટે એ દિવસ જીવનભરનો ખાલીપો આપનાર બની ગયો.
સમય પસાર થતો ગયો. શિવો શહેરમાં બાપની મિલકત સાથે મહેનત કરતો ગયો અને ધીમે ધીમે મોટો વેપારી બની ગયો. પૈસા, બંગલો અને પ્રતિષ્ઠા બધું મળ્યું.
બીજી તરફ જીવો સુખપરમાં જ રહ્યો. વરસાદી ખેતી કરતો, સાદું જીવન જીવતો અને બે ટંકના ભોજનમાં પણ સંતોષ માનતો.વર્ષો સુધી બંને પરિવારો વચ્ચે કોઈ સંબંધ રહ્યો નહીં.
એક દિવસ શિવાના પિતા મનસુખભાઈ ગંભીર બીમાર પડ્યા. તપાસમાં ખબર પડી કે તેમને બ્લડ કેન્સર હતું. સારવાર માટે ખાસ પ્રકારનું લોહીનું મેચિંગ જરૂરી હતું. પરિવારના અનેક સભ્યોની તપાસ થઈ, પરંતુ કોઈ યોગ્ય મેચ મળ્યું નહીં.
ડૉક્ટરે જૂના કુટુંબના સંબંધીઓની તપાસ કરવાની સલાહ આપી.
બાપને બચવવા.વર્ષો પછી શિવો સુખપર આવ્યો.જીવો એજ ખેતર મા સામે ઊભો હતો. બંનેની આંખોમાં બાળપણની યાદો હતી, પણ વચ્ચે વર્ષોની ખામોશી હતી.
જીવાએ માત્ર એટલું પૂછ્યું,
"મોટાબાપા કેમ છે?"
એ એક પ્રશ્નમાં વર્ષોની દૂરી ચપટી મા ઓગળી ગઈ.
શિવા એ પેટ છૂટી વાત કરી અને અદ્ભુત વાત સામે આવી.
તપાસ ના અંત મનસુખભાઈ માટે જરૂરી મેચ બલ્ડ સ્ટેમ જીવાના લોહીમાં મળી આવ્યા .
જીવાએ એક ક્ષણ માટે પણ વિચાર્યું નહીં. જે પરિવારથી વર્ષો પહેલાં સંબંધ તૂટ્યો હતો,પોતાના બાપ ના મોત નું કારણ હતું,એ જ પરિવાર આજે જીવન માટે તેની સામે મદદની આશાએ હાથ ફેલાવી સહકાર ની આશા જોઈ રહ્યો હતો.
જીવાએ પોતાનું લોહી આપ્યું.
સારવાર સફળ થઈ અને મનસુખભાઈ ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા.
થોડા મહિના પછી મનસુખભાઈ સુખપર પાછા ફર્યા.
વર્ષો પછી જૂના આંગણામાં પગ મૂકતાં જૂની યાદો તાજી થઈ ગઈ અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમને નાનો ભાઈ જયસુખ યાદ આવ્યો .
તેમણે જીવાનો હાથ પકડીને કહ્યું,
"દીકરા, મેં મિલકતના ભાગલા કર્યા હતા... પણ ભગવાને બતાવી દીધું કે સંબંધોના ભાગલા થઈ શકતા નથી."
જીવો હળવું સ્મિત કરીને બોલ્યો,
"મોટાબાપા, જૂની વાતો હવે રહેવા દો. જે ગયું એ પાછું નહીં આવે, પણ જે બચ્યું છે એને તો હવે આપણે સાચવી શકીએ."
દૂર આકાશમાં જૂનના વાદળો ફરી ઘેરાયા હતા. સુખપરની માટીમાં વરસાદની પહેલી સુગંધ પ્રસરી રહી હતી.
વર્ષો પહેલાં જે જૂનમાં અહંકારની દીવાલ ઊભી થઈ હતી, એ જ જૂનની યાદ આજે સંબંધોને ફરી જીવંત કરી રહી હતી.
કારણ કે અંતે...
જૂની અહમની દીવાલો કરતાં જૂનું લોહી વધારે મજબૂત નીકળ્યું હતું.
બીજે દિવસે અષાઢી બીજ હતી. જૂનનો એ જૂનો કડવો દિવસ ભૂલીને મનસુખભાઈએ જીવાને છાતીએ લગાડ્યો અને ધીમેથી કહ્યું,
"ચાલ જીવા... જીવી લઈએ."

આ ટી ટાઈમ સ્ટોરી, અપને કેવી લાગી, પ્રતિભાવ આપશો 🙏
