અપરાધ
અપરાધ
સરિતાએ ટીવી. ચાલુ કર્યુઁ ત્યારે ટીવી. પર ક્રાઈમ પેટ્રોલ ચાલી રહ્યું હતું. એ જોતાં જ સરિતાની આંખોમાં પાણી આવી ગયું. વિચારતી હતી કે ચોરી, ખૂન કે બળાત્કાર કે શારીરિક ત્રાસ આપનાર તો ગુનેગાર કહેવાય પરંતુ એ સિવાય પણ ઘણા ગુનાઓ થતાં હોય છે એ માણસ કયાં જોઈ શકે છે ? એવા ગુના ની સજા તો હોતી જ નથી. કારણકે એ બધા ગુના શારીરિક ત્રાસના. હોય તો દેખાય પણ જયાં માનસિક ત્રાસના કિસ્સામાં કોર્ટ પણ સજા નથી આપતી. શારીરિક ત્રાસ આપનાર અચૂકપણે અપરાધી ગણાય. પરંતુ માનસિક ત્રાસ આપનારને સાબિત કરવું ઘણું અઘરૂ પડે છે.
એટલે તો આપણામાં કહેવત પડી ગઈ છે કે ,"મારનારનો હાથ પકડાય પણ બોલનારની જીભ ના પકડાય !"
સાચી વાત તો એ છે કે ,"તલવારના ઘા રૂઝાઈ જાય પણ વાણીના ઘા ના રૂજાય."જો કે એ અપરાધ બદલ કોઈ સજા નથી હોતી પરંતુ એ અપરાધની સજા ઉપરવાળાની કોર્ટ આપે છે. એને જે અપરાધ કર્યો હતો એની સજા ઉપરની કોર્ટે આપી દીધી હતી. પરંતુ હવે ઘણું જ મોડું થઈ ગયું હતું. એની નજર સમક્ષ એને કરેલો અપરાધ આવી રહ્યો હતો. પિયરમાં સરિતા ખૂબ જ લાડકી હતી. એના મોટાભાઈ સોહમનાં લગ્ન થયા સોહમની પત્ની પણ ડોકટર હતી. બંને સાથે જ ભણતાં હતાં. બંને જુદીજુદી શાખામાં હતાં સોહમ ઓર્થોપેડિક હતો અને એની પત્ની ગાયનેકોલોજીસ્ટ હતી. એની પત્ની સ્વરૂપાને ગમે ત્યારે હોસ્પિટલ જવું પડતું. એકવાર સ્વરૂપાએ કહ્યું, "સરિતા બેન તમે કોલેજમાં જવાને બદલે બહાર બાગમાં બેસી રહો છો કે પિકચર જોવા જતાં રહો કે કેન્ટીનમાં બેસી રહો છો. તમારા વિષે મારા ભાઈએ મને બધી વાત કરી છે.
" જુઓ ભાભી તમે તમારુ સંભાળો. બીજું કે તમારા ભાઈને કહેજો કે મારી જાસુસી કરવાનું બંધ કરી દે. હું એને જોઈ લઈશ."
બસ, તે દિવસથી એને એની ભાભી વિરુદ્ધ માબાપને ફરિયાદો કરવાનું ચાલુ કરી દીધું. એના ભાઈને પણ ભાભી વિરુદ્ધ ફરિયાદો કરવાનું ચાલુ કરી દીધું. રસોઈમાં ભૂલો કાઢવાનું ચાલુ કર્યુ. એમાં ય જયારે કામવાળી મહિનો રજા પર હતી અને નવી કામવાળી ના મળી અને ભાભી કચરા પોતા કરે તો તરત પાછળ સાવરણી લઈને કચરો વાળવા માંડે. એટલુંજ નહિ સાથે સાથે બબડતી જાય કે માબાપે કશું શીખવાડ્યું જ નથી. ત્યારબાદ તો ભાભીને ડીલીવરીના કેસ માટે રાત્રે જવું પડે તો માબાપ તથા તેના મોટાભાઈને પણ કહેતી કે, "ભાભી ચારિત્ર્યહીન છે. સરિતા સતત ઘરમાં ભાભી વિરુદ્ધ બોલતી જ રહેતી. પરિણામ સ્વરૂપ ઘરમાં ઝગડા થવા માંડ્યા. બધા ભાભી વિરુદ્ધ થઈ ગયા ત્યારે સરિતા ખૂબ ખુશ થઈ જતી. સરિતા એ સાબિત કરવા માંગતી હતી કે એ સર્વગુણસંપન્ન છે. સોહમ હોસ્પિટલમાંથી આવે ત્યારે શાંતિ જોઈતી હોય એના બદલે સ્વરૂપા વિષે ઢગલે ફરિયાદો સાંભળવી પડતી. સરિતા તો ભાભીને મહેણાટોણાં મારવામાંથી ઊંચી જ આવતી ન હતી. દરવખતે સ્વરૂપાનું કોમળ હૃદય ઘવાતું જ રહેતું. હવે તો સોહમને પણ એના આંસુની કિંમત રહી ન હતી.
એક સમય એવો આવ્યો કે બંને જણે છુટાછેડા લઈ લીધા. ભાઈ તથા ભાભી ને છૂટા પાડવામાં એનો જ હાથ હતો.
જયારે એ સાસરે આવી ત્યારે કુદરતે જ જાણે કે એને સજા આપી હોય તેમ એની નાની સરખી ભૂલ પર એને મારઝૂડ થતી હતી. એના દરેક કામમાંથી એની ભૂલો કાઢવામાં આવતી.
ઘણીવાર એને થતું કે એ પિયર જાય પણ પિયરમાં હવે કોઈ રહ્યું ન હતું. ભાઈ એના કામમાં મશગૂલ રહેતો હતો. હવે પિયરમાં ભાભી પણ ન હતી. એને જાણી જોઈને ભાભીને પિયર ભેગી કરીને ભાઈની જિંદગી બગાડી હતી. એ તો એનો સૌથી મોટો અપરાધ હતો. એની સજા પૃથ્વી પરની કોઈ કોર્ટ આ અપરાધ બદલ સજા આપી શકે એમ ન હતું.