અંધશ્રદ્ધા
અંધશ્રદ્ધા
રમાબેન પોતાની વહુને લઈને માતાજી પાસે જાય છે. આખા લેવા, માદળિયું બનાવવા માટે, કૃપા ના પાડતી રહી ને મંદિરે પહોંચી પણ ગયા. દીકરો ઓફિસ ગયો ને સાસુ વહુ મંદિરે ગયા. કૃપાના લગ્ન ને બે વરસ માંડ થયા હતા. બંનેનો નિર્ણય હતો પણ સાસુમાને કેમ સમજાવવા ?
માતાજીના ભૂઈમાએ દીકરો જ આવે તે માટે આખા આપ્યા કે ગળી જા. ભસ્મ ભભૂતિની પડીકી બાંધી આપી. ને માદળિયું પણ હાથે બાંધી આપ્યું. કૃપા ના પાડતી રહી કે મનન વઢશે એને ન ગમે આવું બધું. રમાબેન તો ખીજાય ગયા કે હવે તું મને સમજાવીશ કે મનન ને શું ગમે ને શું ન ગમે ?
સાસુ-વહુ બંને ઘરે આવ્યા. છેક રાત્રે મનન આવ્યો ત્યારે બધી વાત કરી. મનન ને ગુસ્સો તો બહુ આવ્યો પણ મમ્મીને શું બોલે ? મનન ને એમ કે સમય જતા સારું થઈ જશે.
એમ કરતાં કરતાં નવરાત્રી આવી ગઈ. રમાબેન વળી કોઈ માતાજીના ઉપાસક પાસે કૃપાને લઈ ને ગયા. વળી પાછું બધું પહેલાના જેવું જ. ભસ્મ ને માદળિયું.
રમાબેન નવદુર્ગા મા ની મૂર્તિ સામે હાથ જોડી ઊભા રહ્યા. ખોળો પાથરી માનતા કરી કે હે માતાજી ! તારી કૃપા થશે તો ધ્યાન મનન કીર્તન કરીશ. પહેલા ખોળે દીકરો આવશે તો નવ કન્યા જમાડીશ.
મનન આ સાંભળીને હસ્યો. રમાબેન ચોંકી ગયા. પાછળ વળીને જોયું તો દીકરો. મનન કહેવા લાગ્યો માતાજીની કૃપા એ તને મળેલી તારી વહુ કૃપા જ છે. મનન કરવું છે તો હું પણ ઘરે જ છું. ને દીકરો આવશે તો નવ કન્યા શોધીશ ક્યાં ? આ જો મંદિરમાં નવે નવ રમાબેન દીકરો માગવાં જ આવ્યા છે.
મમ્મી, આ અંધશ્રદ્ધામાંથી બહાર આવો. કૃપાને બાળક આવે એ પહેલા એને 'મા' ની મમતાની જરુર છે. રમાબેન દીકરા- વહુને ભેટી પડ્યા.
માતાના અંશને પૃથ્વી પર આવતા ન રોકો. વિચારો. દીકરા ના ઘરે દીકરો રમાડવા માટે વહુ ક્યાંથી લાવશો ?