આજની શિખામણ
આજની શિખામણ
મને જ્યારે જ્યારે એમ થયું કે હવે હું નહી લડી શકુ ત્યારે હું મંદિર જાઉં છું. જ્યારે ચાલીને પરસેવે રેબઝેબ થઈને અકળાયેલી હું દાદાના દરબારમાં પહોંચુ ત્યારે મને જે શાંતિનો અનુભવ થાય છે એની કોઈ કલ્પના પણ ના કરી શકે. હું ત્યાં કોઈ ફરિયાદ નથી કરતી કે ના કોઈ માંગણી કરુ છું. બસ બે હાથ જોડી એટલું જ કહું છું દાદા મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. હું જાણું છું મારા જીવનમાં જ્યારે પણ કંઈક સારું થાય છે ત્યારે એ તમારા આશીર્વાદથી જ થાય છે અને મને એ પણ ખબર છે તમે મારી સાથે ક્યારેય કંઈ ખોટું તો થવા જ નહીં દો.
દાદા હું જેમને પ્રેમ કરું છું જે મારી સાથે ગમે તે કારણથી જોડાયેલા છે એ બધાંને મદદની જરૂર હોય ત્યારે બસ હું સક્ષમ હોઉં. બીજું તો બધું તમે છો જ.
બસ આ નાનકડો વાર્તાલાપ મારા અને મારા હનુમાનજી વચ્ચે ગાઢ વિશ્વાસનું પ્રતીક છે. મને દરેક વખતે એ વાત સંભળાયા જ કરે છે કે જાણે મારા પ્રભુ મને કહેતાં હોય કે, "હું તારી સાથે જ છું. બસ તું હિંમત ના હારજે. મારા પર વિશ્વાસ રાખજે. શ્રધ્ધા, પ્રામાણિકતા અને પ્રેમ સાથે આગળ વધજે. મંઝિલ સુધી પહોંચવાની ઉતાવળ ના કરતી તારે રસ્તામાં ઘણા વિસામા કરવાના છે. તું દરેક લડાઈ જીતવાની તૈયારી રાખજે અને હારી જાય તોય હિંમત ના હારજે."
મને ખબર છે કે સફળતા મહેનત વગર નહી મળે પણ ક્યારેક ક્યારેક રસ્તામાં જ થાકી જવાય છે. ક્યારેક લોકોથી તો ક્યારેક પોતાની જાતથી લડી લડીને કંટાળી જવાય છે. ક્યારેક તો એવી સ્થિતિ બને કે પોતાના સપનાને રાતના અંધારામાં જ ખોઈ દેવું પડે છે. ક્યારેક આ બધું છોડીને ભાગી જવાનું મન થાય છે.
પણ પછી એક વિચાર આવે કે આપણે એકલાં તો નથી આ લડાઈમાં, આપણી સાથે વિશ્વાસ છે, આપણા પ્રભુજી છે અને સાચા સાથી પણ તો છે. ચાલો એ પ્રયત્ન કરી લઈએ કદાચ આ આખરી પ્રયત્ન પછી મંઝિલ હોય.
મા-બાપના આશિર્વાદ છે, ભગવાની કૃપા છે, મિત્રોનો ટેકો છે પછી હિંમત અને પ્રામાણિકતા પણ છે તો હવે જે થાય એ બધું જ સ્વીકાર્યુ.
હિંમત ના હારજે પ્રભુજી સાથે છે.