એને ભક્તિ જાણજો
એને ભક્તિ જાણજો
પરમાત્માને માટે આતુર આંખડી,
અનુરાગે અંજાઈ અવનીમાં ફરે;
અંતરને એકે ક્ષણ ચેન પડે નહિ,
જ્યાં લગ પરમાત્માનું દર્શન ના મળે;
સજ્જન સઘળા એને ભક્તિ જાણજો !
અંગાંગમહીં અંગારા જાણે ઉઠ્યા,
તરસ માટે ના કેમે કરતાં પ્રાણની;
વ્યાકુલ મનડું એક જ જાપ જપ્યા કરે,
બીજી વાત ન દીસે કોઈ કામની;
સજ્જન સઘળા એને ભક્તિ જાણજો !
સ્વર્ગતણા સુખ ખારાં છેક થઈ ગયાં,
ત્રિભુવનના ભોગોમાં રસ લાગે નહીં;
ચારુ સ્વરૂપે સુરતા છે સઘળી મળી,
હરદમ થાયે એનું એકલ ધ્યાન જો;
સજ્જન સઘળા એને ભક્તિ જાણજો !
સંતોના સંગે સુખ ઉત્તમ સાંપડે,
સુણતાં થાક ન લાગે પ્રભુ ગુણગાનને;
શુભને છોડી અશુભ માંહી મન ના રમે,
વિષ માટે ના મૂકે અમૃત પાનને,
સજ્જન સઘળા એને ભક્તિ જાણજો !
આલિંગન કરવાને અંતર ઊછળે,
પ્રભુને મળવા કરે મનોરથ સર્વદા;
રક્ત કરે રણકાર સદાયે સ્નેહનો,
ઝરણાં જીવનમાં જાગે છે પ્રેમના,
સજ્જન સઘળા એને ભક્તિ જાણજો !
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)