ચૂપ મર હવે
ચૂપ મર હવે
એક શિક્ષકે એના વિદ્યાર્થીઓને કહ્યું, "પશ્ચિમમાં એવી ઘણી કથાઓ છે જેમાં મુખ્ય પાત્ર એના આત્માના બદલામાં શેતાન પાસેથી પોતે જે જોઈતું હોય એ માગી લેતું હોય છે. જેમ કે, ગ્રીમ્સની એક પરિકથામાં એક માણસ એના આત્માના બદલામાં સંપતિ અને પત્ની માગે છે. એ જ રીતે, એક કથામાં મુખ્ય પાત્ર પોતાના આત્માના બદલામાં ભૂતકાળમાં પાછા જવાની પરવાનગી માગે છે. એ ભૂતકાળમાં પાછો જઈને એક ગુનાનું રહસ્ય શોધી કાઢે છે. જો કે, સી એસ લૂઇસની પેરેલેન્દ્રા કથામાં પ્રોફેસર બદલામાં કંઈ પણ માગ્યા વિના એનો આત્મા શેતાનને આપે છે....." આવાં અનેક ઉદાહરણ આપ્યા પછી એ વિદ્યાર્થીઓને પૂછે છે, "સ્વતંત્ર ભારતમાં આવી કોઈ કથાઓ ખરી ?"એક વિદ્યાર્થી ડરતાં ડરતાં આંગળી ઊંચી કરીને કહે છે, "સાહેબ, કથામાં નહીં પણ સ્વતંત્ર ભારતમાં આવું વાસ્તવમાં થતું હોય છે. તમે કહેતા હો તો હું તમને ઉદાહરણો આપું." શિક્ષક કહે છે, "આપો." અને વિદ્યાર્થી કહે છે, "આપણા ત્યાં મોટા ભાગના રાષ્ટ્રપતિઓ, ઉપરાષ્ટ્રપતિઓ અને રાજ્યપાલો એમનો આત્મા શાસક પક્ષને વેચી દેતા હોય છે અને બદલામાં એમને જોઈએ એ પદ મેળવી લેતા હોય છે."શિક્ષકે એ વિદ્યાર્થીને ખૂબ ખખડાવ્યો. કહ્યું: "ચૂપ મર હવે."