કાત્યાયનીમા
કાત્યાયનીમા
આજે કાત્યાયનીમાનું નોરતું હતું. દીકરી માનસી કોલેજના છેલ્લા વર્ષમાં માઇક્રોબાયોલોજી વિષય સાથે ભણતી હતી. છેલ્લા બે વર્ષમાં વિશ્વમાં થયેલ મહામારી અને તેના પ્રોજેક્ટને કારણે તે મનથી ખૂબ જ થાકી ગઈ હતી એટલે તહેવારોમાં વિશેષ રસ ન હતો, છતાં કોરોના પછી પહેલી નવરાત્રીમાં બહાર જવા મળશે એમ વિચારતા તે ફટાફટ આરતી, સામગ્રી, થાળ, સ્તુતિ વગેરેની તૈયારી કરવા લાગી.
આજે સામગ્રીમાં માનસીની અતિપ્રિય બાજરાની કુલેર અને રસમલાઈ બનાવ્યાં હતાં. તૈયાર થઈ બધા હોલમાં આવ્યા ત્યારે માનસીએ થાળ ધરાવી દીધો હતો અને આરતીની તૈયારી પણ થતી હતી.
એકદમ સરળ સ્વભાવ અને ગ્રે રંગના વસ્ત્રોમાં શોભતી માનસી આજે ખુશ હતી. કેમ કે કોવિડ અંગેના તેના ગ્રુપ પ્રોજેક્ટને પ્રથમ ઇનામ મળ્યું હતું.
આરતી પૂરી થયા પછી બધા ગરબામાં જવા નીકળ્યા ત્યારે રાતના નવ થઈ ગયા હતા. તેવામાં મોટી બહેનને ઘરેથી ફોન આવ્યો કે મોટીબેનની તબિયત સારી નથી. જરા શરદી ને ફ્લ્યુની અસર છે તો આજે આવી નહીં શકે.
માનસીને થયું દુનિયા આખી કોરોના સામે ઝઝૂમી પણ હજી તેના વાયરસ રહી ગયા છે અને ફરી આ વાયરસનો નાશ કેમ કરવો તે અંગે વિચારી રહી.