એકસો આઠ (૧૦૮)
એકસો આઠ (૧૦૮)
માનિતી બધાને ગમતી. એ તો ખરેખર બધાની માનિતી જ હતી. અને કેમ ના હોય ! બધાના કામમાં મદદ કરવા માટે જ જાણે કે ભગવાને એને સર્જી હતી. મદદ તો એ તન, મન અને ધનથી કરતી તે પણ કોઈ જ અપેક્ષા વગર. મારે એને પહેલીવાર મળવાનું થયું ત્યારે મેં પૂછી જ લીધું કે મેં આવું નામ કોઈનું સાંભળ્યું નથી. ત્યારે એની બાજુમાં બેઠેલી એની બહેનપણી બોલી ઊઠી, "એનું નામ તો માલતી છે પણ આ નામ એના ગુણોને ધ્યાનમાં રાખીને બધા એ પાડ્યું છે "હું જેમ જેમ એના પરિચયમાં આવતી ગઈ તેમ તેમ મને પણ અનુભવ થવા લાગ્યો કે એનું નામ માનિતી જ હોવું જોઈએ. અમારી બદલી વલસાડ થઈ હતી. ત્યારે મને વડોદરા છોડવાની ઈચ્છા ન હતી. બધા પરિચિતોને છોડી ને જવાનું દુઃખ હતું તે ઉપરાંત નવી જગ્યાએ કેવા માણસો મળશે એવી પણ ચિંતા હતી. પરંતુ માનિતીના પરિચયમાં આવ્યા પછી એ શહેરમાં પણ મને ગમવા માંડ્યું. માનિતી નોકરી કરતી હતી. એનો પગાર જ દર મહિને ૭૦ હજાર જેટલો હતો. પરંતુ સીધી સાદી જીવન શૈલી કોઈને પણ સ્પર્શી જાય એવી હતી. એકવાર મારે એના ઘેર જવાનું થયું. એનું ઘર પણ સીધુ સાદું. મને ખૂબ ગમી ગયું. એણે જ મને કહ્યું, "ચલો, મારૂ ઘર બતાવું. "ત્રણ માળનું ઘર હતું. નીચે રસોડુ અને બેઠકખંડ. ઉપરના માળે ભગવાન માટે બનાવેલી ભવ્ય રૂમ અને બેડરૂમ. પરંતુ ત્રીજા માળે પિરામિડ આકારનો ધ્યાન કરવા માટેનો રૂમ. મારાથી પૂછ્યા વગર ના રહેવાયું અને મેં પૂછી જ લીધું કે, " તમારા પતિ અને બાળકો કયાં છે ? "મારી સામે જોઈ હસીને બોલી, " જેણે લગ્ન કર્યા હોય એને પતિને બાળકો હોય. "હું સ્તબ્ધ બની ગઈ. થોડી પળો હું એની સામે જોઈ જ રહી. તેથીજ એ બોલી, " મેં લગ્ન કરેલા કોઈ પણ દંપતિને સુખી નથી જોયા. મારા મમ્મી પપ્પા વચ્ચે દરરોજ નાનીમોટી વાતે ઝગડા થતાં. મોટીબેનનો પુત્ર માંડ બે મહિનાનો હતો ત્યારે બેનનું અકસ્માતમાં મૃત્યુ થયું. જીજાજીએ બાળકને એમની મમ્મી ને સોંપી ફરીથી લગ્ન કરી પરદેશ જતા રહ્યાં. નાની બહેન નો પતિ દારૂડીયો હતો બહેનને પુષ્કળ મારઝૂડ કરતો હતો. તેથી નાની બહેને આત્મહત્યા કરી લીધી. ભાઈના લગ્ન થયાં પરંતુ ભાભી એટલી જબરી આવી કે ભાઈને કયારેય નાસ્તો કરવાની જરૂર જ ના પડે. કારણ એની ગાળો અને મહેણાં ટોણાંથી જ એનું પેટ ભરાઈ જતું. બીજા ભાઈની પત્ની બિમાર રહેતી હતી એ વાત એ લોકો એ છુપાવી હતી. બસ, આ બધું જોયા પછી મને લગ્ન કરવાની ઈચ્છા જ ના થઈ. રજાઓમાં હું રક્તપિત્તના આશ્રમમાં જઈ એ લોકોની સેવા કરૂ છું. મૌન આશ્રમમાં જઈ થોડા દિવસ મૌન રાખું કે ધાર્મિક ચોપડીઓનું પઠન કરૂ. હવે પંદર દિવસ પછી હું નિવૃત્ત થવાની છું. આમ પણ હું તંદુરસ્ત છું. બસ, બને તેટલું બીજા માટે જીવવું છે. "
એના નિવૃત્તિના દિવસે એના ભાણીયાઓ, ભત્રીજાઓ બધા હાજર હતાં. મને હતું કે આ લોકો માનિતી ને લેવા આવ્યા હશે. થોડા દિવસ બાદ મેં ફોન કર્યો તો જાણવા મળ્યું કે એની નાની બહેનની બેબી ડિલિવરી પર આવી છે એટલે એ સુરત ગઈ છે. એ આવી બે મહિના પછી. મને એને મળીને આનંદ થયો. બીજા અઠવાડિયેએ અમદાવાદ જતી રહી કારણ કે મોટી બહેનના દીકરાને ડાયાબિટીસ વધી જતાં એને દવાખાને દાખલ કરેલો એટલે માનિતીની જરૂર હતી. ત્યારબાદ તો માનિતી વલસાડમાં મને મળતી જ નહીં. જયારે અમે પાછા વડોદરા જવાના હતાં ત્યારે મે કહ્યું, "સારૂ થયું કે આપણે મળી ગયાં. પણ હું જતાં જતાં એક વાત જરુર કહીશ કે, " તારુ નામ માનિતી નહિ પણ એકસો આઠ હોવું જોઈએ. કારણ બિમાર વ્યક્તિ માટે એમ્બ્યુલન્સ ૧૦૮ બોલાવવામાં આવે છે. એમ દરેક જણ જરૂર વખતે તારો ઉપયોગ જ કરે છે. "
"મન જુએ તો બોલાવે. બધાને મારી પર વિશ્વાસ છે કે હું ના નહિ કહું. મા વગર ની વ્યક્તિને મદદ કરી એમાં શું થઈ ગયું. મારા પૈસાથી મેં દવાખાનામાં બિલ પણ ભરી દીઘા છે. "
જતાં જતાં હું બોલી, "સારુ ૧૦૮ હું રજા લઉં પણ એટલું યાદ રાખજે કે તને જિંદગીમાં જયારે પણ જરૂર પડે ત્યારે હું તારા માટે ૧૦૮ બનવા તૈયાર છું." હું માનું છું કે મારે એવી જરૂર નહિ પડે છતાંય જરૂર પડશે તો જરૂર યાદ કરીશ. મારા ભાણીયાઓ તથા ભત્રીજાઓ પણ આ જમાનામાં મને કાર્ડ લખે છે તો લખે છે કે, "પ.પૂ શ્રી ૧૦૮ માસી કે ફોઈ લખી મને ઉચ્ચ સ્થાન પર બેસાડી છે."
ત્યારબાદ અમારો સંપર્ક ઓછો થતો ગયો. એક દિવસ માનિતીની મિત્રનો મારા પર ફોન આવ્યો કે માનિતી બધાની સેવા કરવા દોડતી રહેતી હતી. એમાં એને કોરોના થઈ ગયો. એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એ વખતે જ એક પડોશી એને ત્યાં કોઈ કામે ગયા. એની હાલત જોઈને એમણે ૧૦૮ ને ફોન કર્યો એનું મૃત્યુ ૧૦૮માં જ થયું. છેલ્લી ઘડીએ એની પાસે કોઈ જ ન હતું એનું અને એને અગ્નિદાહ પણ કોર્પોરેશનવાળા એ આપ્યો.
એના મૃત્યુના સમાચાર એના ભાણીયાઓ અને ભત્રીજાઓને આપ્યા તો એ લોકો દોડી આવ્યા અને માનિતીના વિલ વિષે તપાસ કરી તો ખબર પડી કે એને એની બધી મિલકત જરૂરિયાતવાળી જુદીજુદી સંસ્થાઓમાં આપવાનું લખ્યું છે. તેથી એ બધા ગુસ્સે થઈ તરત જતાં રહ્યાં પણ બોલતાં ગયાં કે હવે મૃત્યુ ક્રિયા પણ આ સંસ્થાવાળા જ કરશે. આપણે શું ? "
મને થયું કે જિંદગીભર બધાએ એનો લાભ લીધો. એને પ. પૂ. શ્રી. ૧૦૮ લખી ઉચ્ચ સ્થાન પર બેસાડી એ પણ શું પૈસાના લોભને કારણે ! મનમાં થયું કે આવી વ્યક્તિની મૃત્યુ ક્રિયા થાય કે ના થાય એમને જિંદગીભર પુષ્કળ પુણ્ય કમાઈ લીધું છે.