વિયોગ કે ત્યાગ
વિયોગ કે ત્યાગ
પ્રેમલનાં પરિવારની દિક્ષાનું મુહૂર્ત નીકળ્યું. ધર્મપ્રેમી પરિવાર સાગમટે દિક્ષા લેવાનો હતો.
પ્રેમલ દ્વિઘા અનુભવી રહ્યો હતો. એક બાજુ પ્રિયા સાથેનો પ્રેમ અને બીજી બાજુ ધર્મ.
પ્રેમ અને ધર્મ બંને જીવનનાં પાયાં હતાં, બુનિયાદ હતી પણ વીજળીને ચમકારે પ્રણયનું મોતી પરોવાયું નહીં.
પ્રિયા અને પ્રેમલ બાળપણથી મિત્રો હતાં.
સમય જતાં મૈત્રી પ્રેમમાં પરિણમી પણ પ્રિયાનાં ઘરેથી સંમતિનું સિગ્નલ આવ્યું નહીં.
પ્રેમલે તો ધર્મનું પલ્લુ નમાવ્યું દિક્ષા લઈ પ્રેમવિજયજી મહારાજ સાહેબ થઈ ગયાં.
દિક્ષા લેતાં પહેલાં એક નાનો મેસેજ મોકલી દીધો કે "આપણે હવે મળશું નહીં,
મારો મારગ સંયમનો, એકલવાયો."
પણ એમ તો એકાએક પ્રિયા પરિસ્થિતિનો સ્વીકાર કેવી રીતે કરી શકે.એણે તો,
"સપનાં ઉપર સપનાં ગોઠવી,
ભીંતડાંમાં જીવનનો ધબકારો મૂક્યો હતો.
પ્રેમની વેલથી સજાવ્યું હતું.
જ્યારે કળીઓ બેઠી,
ત્યાં તો ઝંઝાવાતી પવન ફૂંકાયો,
અને પ્રેમની વેલ સંકોચાઈ ગઈ.
જરા પૂછી લો એ કળીઓને,
આ વિરહ, વ્યથા, વિયોગ કે ત્યાગ ?"
પ્રિયાએ આજીવન કુંવારા રહેવાનો ભેખ લીધો. એનો પ્રેમલ પ્રત્યેનાં પ્રેમે ગુરુવંદનનું રૂપ લીધું.
પ્રેમવિજયજી મહારાજ સાહેબ જયાં જયાં વિહાર કરતાં ત્યાં અચુક એમનાં દર્શને જતી એ પણ કોઈ જાતનાં પૂર્વગ્રહ કે આવિર્ભાવ વગર.
તેમનાં વિરહને, વિયોગને 'ત્યાગ' નામ મળ્યું.
તેમને ધર્મને નામે પોતાનો પ્રેમ ન્યોછાવર કર્યો, બલિદાન આપ્યું અને સાત્વિક જીવન જીવીને પ્રેમ અમર કર્યો.